કેન્દ્ર સરકારે બીજેપી સાંસદ સની દેઓલને આપી Y કેટેગરીની સુરક્ષા, જાણો શું છે કારણ?
નવી દિલ્હી,16 ડિસેમ્બરઃ ભાજપ સાંસદ સની દેઓલને કેન્દ્ર સરકારે વાય કેટેગરીની સુરક્ષા પ્રદાન કરી હતી. હવે 11 જવાનો અને બે પીએસઓ એમની સાથે રહેશે. સની પંજાબના ગુરદાસપુર સંસદીય વિસ્તારના સાંસદ છે. હાલ આંદોસલન કરી રહેલા ખેડૂતોએ ભાજપના સાંસદો અને ધારાસભ્યોને ઘેરાવ કરવાની ધમકી આપી છે એટલે સનીને સુરક્ષા અપાઇ હતી.
ગુરદાસપુર ભારત અને પાકિસ્તાનની સરહદ પરનો વિસ્તાર છે એટલે સની પર હુમલાનું જોખમ રહે છે એવી દલીલ કરવામાં આવી હતી. સની અવારનવાર પોતાના મતવિસ્તારની મુલાકાત લેતા રહે છે. પંજાબ, હરિયાણા અને ઉત્તર ભારતનાં કેટલાંક રાજ્યોમાં હાલ ભાજપ વિરોધી વાતાવરણ હોવાનું મનાય છે એટલે સનીને આ સુરક્ષા આપવામાં આવી હતી.
પંજાબમાં કૃષિ કાયદાઓનો ઘણો વિરોધ થઈ રહ્યો છે ત્યારે સની દેઓલની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. ખેડૂત સંગઠનોએ ભાજપના નેતાઓ અને મંત્રીઓની ઘેરાબંધી અંગે પણ વાત કરી છે. ભાજપને પંજાબ, હરિયાણા અને ઉત્તર ભારતના અન્ય રાજ્યોમાં વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.
સની દેઓલ પંજાબથી આવે છે, તેથી લાંબા સમયથી કૃષિ કાયદાના મુદ્દે તેમની મૌન વિશે પ્રશ્નો ઉભા થયા હતા. જો કે, બાદમાં તેમણે એક નિવેદન બહાર પાડતાં કહ્યું હતું કે તેમની સરકાર હંમેશા નિર્ણય ખેડૂતોની તરફેણમાં લે છે, સરકાર ખેડૂતોની વાત સાંભળવા માટે તૈયાર છે અને તેઓ ખેડૂતોની સાથે છે.
પંજાબમાં વિધાનસભાની ચૂંટણી પૂર્વે ભારતીય જનતા પાર્ટીને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. પહેલા અકાલી દળે સાથ છોડ્યો, ત્યારબાદ કૃષિ કાયદાના મુદ્દે ખેડૂતોનો વિરોધ વધી રહ્યો છે. સરકાર અને ખેડૂતો વચ્ચે અનેક રાઉન્ડની વાતચીત કરવામાં આવી છે, પરંતુ પરિણામ મળ્યું નથી.
ઉલ્લેખનીય છે કે, સની દેઓલના પિતા અને બોલિવૂડ સુપરસ્ટાર ધર્મેન્દ્રએ પણ ટ્વિટ કરીને ખેડૂતોના મુદ્દા પર ચિંતા વ્યક્ત કરી હતી, ધર્મેન્દ્રએ ટ્વિટ કર્યું હતું કે, આ ઠંડા હવામાનમાં ખેડૂતો દિલ્હીના રસ્તાઓ પર બેઠા છે, તેથી સરકારે જલ્દી કંઇક કરવું જોઈએ. જો કે બાદમાં આ ટ્વિટ ડિલિટ કરી લીધું હતું.
આ પણ વાંચો…
સરકારની ચેતવણીઃ કોરોનાની રસીની કોઇ આડ અસર નહીં થાય તેની કોઇ ખાતરી નથી