અનંત પટેલની કલમે હળવું હાસ્યઃ મહામારીની આડઅસરો કે સુઅસરો ..?
- ઘરમાં ઉંમરલાયક પતિ પત્ની બે જ જણ એકલાં રહેતાં હોય તો ય પણ જો બેમાંથી એકાદ જણને જો ઉધરસ આવે કે છીંક આવે તો બીજી વ્યક્તિ હવે એકદમ એલર્ટ થઇ જાય છે….પહેલાં આવું કશું થતું ન હતું..
- રસ્તે ચાલતાં ચાલતાં કોઇનો ફોન આવી જાય ને વાત શરૂ કરીએ અને એ દરમિયાન ચાલતાં ચાલતાં બોલવાને લીધે જો હાંફ ચઢે અને એની સામેના છેડા પરની વ્યક્તિને અનુભૂતિ થાય તો એ ગભરાઇ જાય છે ને “અરે તમે અંકલ, સાચવજો હોં તમને હાંફ ચઢતી લાગે છે ” કહી એ ફોન ઝડપથી પતાવી દે છે..
- આવી જ રીતે કોઇને ફોનમાં કોઇ ઉધરસ ખાય તો એ સાંભળીને એ ડરી જતા હોય છે અને તરત જ તે વ્યક્તિના ખબર અંતર પૂછવા લાગી જાય છે તેમ જ ટેસ્ટ બેસ્ટ કરાવી લેવા સલાહ સૂચન આપવા લાગી જાય છે..
- કોઇના ઘરમાં, અડોશ પડોશમાં કે મોલમાં કે ઓફિસમાં તમારી આજુ બાજુમાં કોઇ ઉધરસ ખાય કે છીંક ખાય તો કેટલી બધી બીક લાગી જાય છે, આપણે ભયભીત થઇને આજુ બાજુ જોવા લાગીએ છીએ.. અને અહીંથી જલદી ભાગો એવું મનમાં થઇ જ જાય છે..
- આવા જ જાહેર સ્થળે આપણને ખુદને પણ જો છીંક કે ઉધરસ આવે તો મનમાં ચિંતા થાય છે, ને એમાં ય જો હાથ રૂમાલ ભૂલી ને આવ્યા હોય તો એનું ભારે ટેન્શન થઇ જાય છે..
- વર્ષો પહેલાં લોકોને તાવ આવતો હતો, ઉધરસ પણ આવતી હતી, શ્વાસ પણ ચઢતો હતો છતાં આજે આ જ લક્ષણો થી જે ભય ઉભો થઇ જાય છે છે એવું કશું એ વખતે કોઇને થતું ન હતું. લોકો દવાખાને જઇ શાંતિથી દવા લેતા હતા અને મોટા ભાગના લોકો સાજા પણ થઇ જતા હતા…અરે આજે ય મહદ અંશે બધા સાજા થઇ જ જાય છે પણ કોરોનાનો હાઉ તો જબર દસ્ત છે…
- દુકાનોમાં, બસ સ્ટેશનો પર, બેંકોમાં કે અન્ય કોઇપણ જાહેર સ્થળો પર પોતાના કામ કાજ અર્થે આવતા લોકો સોશીયલ ડિસ્ટન્સ માટેના નિયમોનું જડબે સલાક પાલન કરતા જોવા મળે છે જે ઘણી જ સારી અસર છે.
- લોકો કારણ વગર ઘરની બહાર જતા સ્વયંભૂ રીતે બંધ જ થઇ ગયા છે..
- મોટા સમારંભો, જલસા, ભોજન સમારંભો, સભાઓ, મેળાવડા વગેરે પર નિયંત્રણો હોવાથી લોકોના ખર્ચમાં કાપ પડ્યો છે જે ઘણી સારી અસર થયેલી છે…..
- દવાખાનાં તેમ જ અન્ય જાહેર સ્થળો, કચેરીઓ વગેરેમાં સ્વચ્છતાનું ધોરણ બહુ જ ઉંચુ જોવા મળે છે..
- લોકોમાં શિસ્ત પાલનનું ધોરણ વધી ગયું છે..
- લોકોમાં પોતાની રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે જાગ્રુતિ આવી ગઇ છે…
- લોકો બહારનું ખાવાને બદલે મનગમતી વાનગીઓ યુ ટુબ પર આવતી રેર્સિપિઓ જોઇને ઘેર જ બનાવતા થઇ ગયા છે અને પોતે બનાવેલી વાનગીઓના ફોટા વોટ્સ અપ ઉપર એક બીજાને શેર કરતા થયા છે…
- લોક ડાઉનને કારણે પતિ દેવો ઘરે રહેવાથી કેવા કેવા ફાયદા કે ગેર ફાયદા પતિ પત્નીઓને થયા છે એની તો વાત થાય એમ જ નથી. જો કોઇ સ્વૈચ્છિક સંસ્થા આ બબતે સર્વે કરાવે તો ઘણી જ રસપ્રદ વિગતો જરૂર જાણવા મળે…
- સંતાનોને મમ્મી પપ્પાનો પ્રેમ પહેલી જ વાર સંયુક્ત રીતે માણવા મળ્યો…… ક્યાંક આનાથી કશું ઉલટુ ય બન્યુ હશે..!! .
- મોટા ભાગના કાર્યક્રમો હવે ઓનલાઇન થવા લાગ્યા છે એ ભવિષ્ય માટે સારી નિશાની છે…..ક્યાંય બહાર જવાનું જ નહિ, પેટ્રોલની બચત, નાસ્તા પાણીની બચત, સમયની પણ બચત….પાછું એ કાર્યક્રમોનું રેકર્ડીંગ પણ થાય એટલે ફરી વાર સરળતાથી જોઇ શકાય…જો ઓન લાઇન માં તમે હાજર ન રહી શકો તો પણ એને પાછળથી ય તમે તમારી અનુકૂળતાએ માણી શકો છો…..
વાહ ભાઇ ફાયદા હી ફાયદા , કોરોનાને તો આપણે એક દિવસ ભગાડી જ દેવાના છીએ પણ એમાંથી મળેલા ફાયદા તો સહુ સતત યાદ રાખશે અને અનુસરશે એમાં બે મત છે જ નહિ.. – anantpatel135@yahoo.com
નોંધઃ દર રવિવારે વાંચો દેશ કી આવાઝ વેબસાઇટ પર અનંત પટેલની કલમે લઘુકથા, વાર્તા…
આ પણ વાંચો…