માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ (school) માટે ૬૦૦૦ થી વધુ જગ્યાઓની ભરતીમાંથી P.T અને કલાના શિક્ષકોની બાદબાકી થતાં હજારો તાલીમાર્થી ઉમેદવારોમાં રોષ
ગાંધીનગર, 20 જાન્યુઆરીઃ રાજ્ય સરકાર દ્વારા ઘણા વર્ષો પછી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં (school) ભરતી પ્રક્રિયા હાથ ધરાઈ છે. જેમાં અલગ અલગ વિષયની ૬૦૦૦ થી વધુ જગ્યાઓ માટે ભરતી થનાર છે. જેમાં વ્યાયામ (P.T) અને કલા વિષયની એક પણ જગ્યા ફાળવવામાં ન આવતા હજારો બી.પી.એડ, બી.પી.ઇ, ડી.પી.એડ,એમ.પી.એડ ,એ.ટી.ડી ,ફાઈન આર્ટ અને સંગીત વિષયના તાલીમાર્થી યુવાનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે.
રાજ્યમાં પાંચ હજારથી વધુ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ (school) વ્યાયામ ,ચિત્ર અને સંગીત શિક્ષક વિહોણી છે , એક બાજુ સરકાર ખેલ મહાકુંભ ,કલા મહાકુંભ , ખેલો ઇન્ડિયા , ફીટ ઇન્ડિયા ,યોગ દિવસ જેવા કાર્યક્રમો કરીને તાયફા કરે છે અને બીજી બાજુ શાળામાં આ વિષયના શિક્ષકોની ભરતી કરવામાં નથી આવતી . શું આ રીતે “રમશે ગુજરાત ને જીતશે ગુજરાત”! બાળકોને રમાડશે કોણ?? ગુજરાત રાજ્યની તમામ યુનિવર્સીટીઓમાં મોંઘી ફી લઈને ચાલતા વ્યાયામ અને કલા શિક્ષક બનવા માટેના કોર્સ અને તે કોર્સના તાલીમાર્થી ભાઈઓ-બહેનોનું શું???
સરકારના જવાબદાર અધિકારીઓ આ બાબતે ગોળ ગોળ જવાબ આપી રહ્યા છે. મહેકમનું અને ફાજલ શિક્ષકોનું બહાનું આગળ ધરીને આ વિષયની ભરતીમાંથી બાદબાકી કરી દેવામાં આવતાં હજારો બીપીએડ/ડીપીએડ/બીપીઇ/એમપીઇ/એમપીએડ/એટીડી અને સંગીત વિશારદ સાથે TAT ની પરીક્ષા કરેલા તાલીમાર્થી ભાઈઓ – બહેનોની હાલત કફોડી બની છે.
અન્ય રાજ્યોમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વ્યાયામ અને કલાના વિષય માટે ફરજીયાત શિક્ષક મુકવામાં આવે છે . તો ગુજરાતમાં કેમ નહી ? ગુજરાત સરકાર દ્વારા આ વિષયોને મહત્વ આપવામાં આવે.આ વિષયોને મહેકમની બહાર મુકવામાં આવે અથવા ચાર વર્ગોએ ફરજીયાત આ વિષયના કાયમી શિક્ષકની નિમણુંક કરવામાં આવે.રાજ્યની સંવેદનશીલ સરકાર દ્વારા ઝડપથી આ બાબતે નિર્ણય લેવામાં આવે અને વિદ્યાર્થીઓ અને તાલીમાર્થીના હિતમાં સત્વરે આ વિષયની મોટા પ્રમાણમાં ભરતી કરવામાં આવે તેવી તાલીમાર્થીઓની માંગણી છે.
આ પણ વાંચો….