Honesty of RPF Rajkot: સૌરાષ્ટ્ર મેલમાં છૂટી ગયેલ ₹86,750ની કિંમતી વસ્તુઓ મુસાફરને પરત કરી
Honesty of RPF Rajkot: RPF રાજકોટની ઈમાનદારી: સૌરાષ્ટ્ર મેલમાં છૂટી ગયેલ ₹86,750ની કિંમતી વસ્તુઓ મુસાફરને પરત કરી
- સતર્કતા અને ત્વરિત કામગીરી દ્વારા રેલવે સુરક્ષા દળે કર્તવ્યનિષ્ઠાનું ઉદાહરણ પૂરું પાડ્યું
રાજકોટ, 22 ડિસેમ્બર: Honesty of RPF Rajkot: પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનના રેલવે સુરક્ષા દળ (RPF) એ સતર્કતા, ઈમાનદારી અને સંવેદનશીલતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડતા એક મુસાફરનો કિંમતી સામાન શોધી કાઢી સુરક્ષિત રીતે પરત કર્યો છે.
તારીખ 20 ડિસેમ્બર, 2025 ના રોજ ટ્રેન સંખ્યા 22945 (મુંબઈ સેન્ટ્રલ–ઓખા સૌરાષ્ટ્ર મેલ) માં મુંબઈથી વિરમગામની મુસાફરી કરી રહેલા એક મુસાફરનું પર્સ કોચમાં છૂટી ગયું હતું. આ અંગેની જાણ થતા જ RPF કંટ્રોલ રૂમ, રાજકોટની સૂચના મુજબ વાંકાનેર સ્ટેશન પર તૈનાત RPF ટીમ દ્વારા ત્વરિત કામગીરી હાથ ધરવામાં આવી હતી.
આ પણ વાંચો:- RJT DRM honored: રાજકોટ ડિવિઝનના 6 રેલકર્મીઓ સન્માનિત
વાંકાનેર પોસ્ટ પર તૈનાત હેડ કોન્સ્ટેબલ પરાક્રમ સિંહ અને કોન્સ્ટેબલ રોહિતે સંબંધિત કોચમાં સઘન તપાસ કરી હતી અને પોતાની સજાગતા તેમજ ઈમાનદારીનો પરિચય આપી મુસાફરનું પર્સ શોધી કાઢ્યું હતું. પર્સમાં રોકડ રકમ, ઈલેક્ટ્રોનિક ઉપકરણો અને બેંક કાર્ડ્સ સહિત અંદાજે ₹86,750 ની કિંમતની મિલકત હતી. સામાન મળ્યા બાદ મુસાફરને તરત જ આ અંગે જાણ કરવામાં આવી હતી.
મુસાફર વાંકાનેર RPF પોસ્ટ પર હાજર થતા, જરૂરી વેરીફિકેશન અને દસ્તાવેજી પ્રક્રિયા પૂર્ણ કરી ‘સુપરતગી પંચનામા’ દ્વારા તમામ સામાન તેમને સુરક્ષિત રીતે સોંપવામાં આવ્યો હતો. પોતાનો કિંમતી સામાન પરત મળતા મુસાફરે RPF સ્ટાફની તત્પરતા અને ઈમાનદારીની હૃદયપૂર્વક પ્રશંસા કરી આભાર વ્યક્ત કર્યો હતો.
આ પ્રશંસનીય કામગીરી બદલ રાજકોટ ડિવિઝનલ રેલવે મેનેજર (DRM) ગિરિરાજ કુમાર મીના અને ડિવિઝનલ સિક્યુરિટી કમિશનર કમલેશ્વર સિંહ દ્વારા સંબંધિત સ્ટાફની કર્તવ્યનિષ્ઠાના વખાણ કરવામાં આવ્યા છે. આ ઘટના રેલવે સુરક્ષા દળ દ્વારા મુસાફરોની સુરક્ષા અને તેમના સામાનની સલામતી સુનિશ્ચિત કરવાની પ્રતિબદ્ધતાનું જીવંત ઉદાહરણ છે.

