Banner Vaibhavi Joshi

Randhan Chhath 2024: રાંધણ છઠ અને સાતમના આપણી સંસ્કૃતિમાં કેટલા મહત્વ છે; જાણીએ આ લેખમાં..

(વિશેષ નોંધ: આજ સુધી રાંધણ છઠ (Randhan Chhath 2024) અને સાતમ માત્ર તમારાં ઘરમાં પરંપરાગત રીતે ઉજવાય છે એટલાં પૂરતું કરતાં હો તો ન કરવી. બીજું કે હું આજદિન સુધી જોતી આવી છું કે ઘણા ઘરોમાં એક ગેસની પૂજા નથી કરી અથવા એક ગેસ નથી ઠાર્યો એટલે એ ગેસ પર આજે ખાલી ચા તો બનાવી જ શકાય ને…એવો સગવડીયો તહેવાર બને તો ન ઉજવવો કે પછી ઘરમાં ગેસ ચાલુ ન કરાય પણ બહાર જઈને તો ખવાય જ ને એવું બધું કરવું હોય તો છઠ અને સાતમ ન કરવી. જો આ તહેવારની ધાર્મિક માન્યતાઓ સાથે એની પાછળનાં વૈજ્ઞાનિક કે પર્યાવરણીય તથ્યો જાણીને અને સમજીને કરવું છે તો આજનો લેખ અંત સુધી જરૂર વાંચશો એવી નમ્ર વિનંતી.)

શ્રાવણ મહિનો એટલે તહેવારોનો મહિનો. આ મહિનામાં જેટલા તહેવારો આવે છે, તેટલા તો ભાગ્યે જ કોઈ બીજા મહિનામાં આવતા હશે. શ્રાવણ વદ આઠમે જન્માષ્ટમીની દેશભરમાં ઉજવણી કરવામાં આવે છે. પરંતુ આ જન્માષ્ટમીની પહેલા પણ કેટલાક તહેવારો આવે છે. જેનુ આપણી સંસ્કૃતિમાં આગવું મહત્વ છે. ગઈકાલે બધા એ ખૂબ હર્ષોઉલ્લાસથી નાગ પાંચમની પૂજા કરી હશે અને આજે શ્રાવણ વદ છઠની તિથિ જેને રાંધણ છઠ તરીકે મનાવવામાં આવે છે.

ભારતીય સંસ્કૃતિમાં બાળ-આરોગ્યની કામના હેતુ મનાવવામાં આવતુ પર્વ એટલે શીતળા સાતમ. આ તહેવારની પરંપરાગત ઉજવણી કરવા માટે રાંધણ છઠની ઉજવણી કરવામાં આવે છે. આ તહેવાર અલગ-અલગ રાજ્યમાં અલગ-અલગ નામે મનાવવામાં આવે છે.

ગુજરાતમાં તેને રાંધણ છઠ તો ક્યાંક આ પર્વને ‘હલષષ્ઠી’, ‘હળછઠ’, ‘હરછઠ’, ‘ચંદન છઠ’, ‘તિનછઠી’, ‘તિન્નિ છઠ’, ‘લલહી છઠ’, ‘કમર છઠ’, અથવા ‘ખમર છઠ’નાં નામથી પણ ઓળખવામાં આવે છે. ભારતના કેટલાક પૂર્વી ભાગોમાં તેને ‘લાલાય છઠ’ પણ કહેવામાં આવે છે. આ તહેવારમાં સ્ત્રીઓ પોતાના પુત્રના લાંબા આયુષ્ય અને સમૃદ્ધિની કામના માટે ઉપવાસ રાખે છે.

ધાર્મિક માન્યતાઓ અનુસાર, આ દિવસે શ્રીકૃષ્ણનાં મોટા ભાઇ બલરામનો પણ જન્મ થયો હતો. એટલે આ તહેવાર ભગવાન શ્રીકૃષ્ણનાં મોટા ભાઈ શ્રી બલરામજીની જન્મજયંતિ તરીકે પણ ઉજવવામાં આવે છે. બલરામજીનું મુખ્ય શસ્ત્ર એ હળ છે. આ કારણોસર તેમને ‘હળધર’ પણ કહેવામાં આવે છે. કદાચ એટલે પણ આ તહેવારને અલગ-અલગ પ્રાંતોમાં હળછઠનાં નામથી ઓળખવામાં આવે છે. જોકે આ વાતમાં મતમતાંતર પણ પ્રવર્તે છે. ઘણી જગ્યાએ ભાદરવા સુદ છઠનો ઉલ્લેખ છે પણ મારી દ્રષ્ટિએ શ્રાવણ વદ છઠ વધારે યોગ્ય બેસે છે કેમ કે જો શ્રાવણ વદ આઠમનાં કૃષ્ણનો જન્મ હોય તો બલરામ એમનાં કરતાં મોટા હતા.

રાંધણ છઠનાં દિવસે રસોઈ તૈયાર કરી સાતમનાં દિવસે ઠંડી રસોઈ આરોગવાની પરંપરા છે. આ દિવસે ઘરમાં વહેલી સવારથી રસોઈ બનવાનું શરૂ થઈ જાય છે. ઘરે ઘરે વડા, થેપલા, પુરી, પાત્રા, ભરેલા ભીંડા, તળેલા મરચા, કંકોડાનું શાક, તીખી સેવ, ખીર સહિતની અનેક વાનગીઓ બનાવવામાં આવે છે. આ બધી વાનગીઓ બનાવ્યા પછી રાંધણ છઠની રાત્રે ઘરના ચૂલ્હાની સાફ સાફાઈ કરાય છે. આખો દિવસ રસોઈ કર્યા બાદ ઘરની મહિલાઓ ચુલાને સાફ કરી, ઠંડો કરીને કંકુ-અક્ષત વડે તેની પૂજા કરે છે. ચૂલો ઠંડા કર્યા પછી તેનો ઉપયોગ કરવામાં આવતો નથી. હકીકતમાં તો આ પણ અગ્નિદેવ પ્રત્યે ઋણ સ્વીકારનું પર્વ માનવામાં આવે છે.

આ પણ વાંચો:- Neem Coated Urea: લીમડો લાવ્યો હજારો મહિલાઓની જીવનમાં મીઠાશ; જાણો વિગત…

રાંઘણ છઠની રાતે માન્યતા પ્રમાણે માતા શીતળા ઘરે ઘરે વિહાર કરવા માટે આવે છે અને ચૂલામાં આળોટતા હોવાથી આ દિવસની સાંજે કે રાતે જ ચૂલા અથવા ગેસને વિધી પૂર્વક ઠારી દેવામાં આવે છે. જો માતા શીતળાને તમારા ઘરનાં ચૂલાથી ઠંડક મળશે તો માતા શીતળા સુખી થવાનાં આશીર્વાદ આપી બીજા ઘરે જાય છે. માટે રાંધણ છઠનાં દિવસે સાંજે કે રાતે ચૂલો ઠારવાની પરંપરા છે. આધુનિક જમાનમાં ગેસ આવી ગયા છે તો ચૂલાની જગ્યાએ ગેસને પણ ઠારવાની પરંપરા રહેલી છે.

એ સિવાય રાંધણ છઠનાં દિવસે આંબાનાં રોપ વાવવાની પરંપરા છે. શહેરમાં આ પરંપરા વિસરાઈ ગઈ છે પરંતુ ગામડાઓમાં આ પરંપરા હજી પણ જળવાઈ રહી છે. આ પરંપરાનો હેતુ કુટુંબીજનોને આમ્રવૃક્ષની શીતળતા મળતી રહે તેવી ભાવના સાથે આંબાનાં રોપ વાવવામાં આવે છે. આ બધી માન્યતાઓ હકીકતમાં તો પર્યાવરણનાં જતન સાથે સંકળાયેલી છે.

આ રીતે જાતજાતનાં છોડ લગાવવાથી આસપાસનું વાતાવરણ હર્યુ ભર્યું રહે અને પર્યાવરણમાં સંતુલિતતા જળવાઈ રહે તે જ આશયથી આ બધું ધાર્મિક માન્યતાઓ સાથે જોડી દેવાયું. આપણે જે રીતે આપણી જરૂરિયાતો માટે આડેધડ પ્રકૃતિનો સર્વનાશ કરીયે છીએ તો આ રીતે સમયોચિત પ્રકૃતિને પાછું પણ આપવું જ રહ્યું. આ બધા તહેવારની ભાવના સાથે પ્રકૃતિનું જતન પણ કરી શકાય એવા જ આશયથી આપણા પૂર્વજો એ આ બધું ધર્મ સાથે જોડી દીધું.

Rakhi Sale 2024 ads

શ્રાવણ વદ છઠ પછી આવે શ્રાવણ વદ સાતમનો તહેવાર જે શીતળા સાતમ તરીકે ઉજવવામાં આવે છે. ચૂલો, સગડી કે ગેસનાં ચૂલા એ તો ઘરનાં દેવતા છે. ભારતની ભાતીગળ સંસ્કૃતિ આ અગ્નિદેવનાં ઉપકારને કેમ ભૂલી શકે? માટે સ્ત્રીઓ શીતળા સાતમને દિવસે સગડી તથા સાધન સામગ્રીનું પૂજન કરીને કૃતજ્ઞતા અનુભવે છે.

સાતમનાં દિવસે ઘરમાં રસોઇ ન કરવાની પરંપરાનું પાલન કરવામાં આવે છે એટલા માટે રાંધણ છઠનાં દિવસે મહિલાઓ રાંધીને બીજા દિવસ માટેનું ભોજન તૈયાર કરી રાખે છે અને સાતમના દિવસે કથા સાંભળ્યા બાદ પહેલાથી તૈયાર કરેલ ઠંડું ભોજન ગ્રહણ કરે છે.

વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોઈએ તો એક દિવસ ઠંડુ ભોજન જમવાથી આપણા શરીરમાં થતાં અન્ય વિકાર પણ શાંત થઈ જાય છે અને શરીર એકદમ નીરોગી બની રહે છે. એ સિવાય સાતમનાં દિવસે ઠંડું ભોજન કરવાથી કફ સંબંધી બીમારીઓ થવાની સંભાવનાઓ પણ ઓછી રહે છે. વર્ષમાં એક દિવસ ઠંડું ભોજન કરવાથી પેટ અને પાચન તંત્રને પણ લાભ મળે છે.

મા શીતળા એમનાં હાથમાં કળશ, સૂપ, સાવરણી અને ગળામાં લીમડાનાં પાંદડાની માળા ધરાવે છે અને ગધેડા પર સવાર એક ચોક્કસ મુદ્રામાં બેઠા છે. તેમના કળશમાં વાયરસનો નાશ કરનાર, જંતુનાશક, મસૂરનાં સ્વરૂપમાં ઠંડુ આરોગ્યપ્રદ પાણી છે. સ્કંદ પુરાણમાં, તેમની અર્ચના સ્તોત્રને શીતલષ્ટકનાં નામથી દર્શાવવામાં આવી છે. શિવજીએ જાતે જ લોકકલ્યાણ માટે શીતલષ્ટક સ્તોત્રની રચના કરી હતી.

શીતળા માતાએ સાવરણી અને સૂપડું જેવાં ક્ષુદ્ર સેવાનાં સાધનોને તેમની મહત્તા અને ઉપયોગિતા જોઈ તેમણે પોતાની પાસે રાખ્યા છે. માન્યતા એવી છે કે, પ્રસ્તુત સાધનોની પૂજા કરવાથી સંતતિને રોગો થતા નથી, તેમનું આરોગ્ય જળવાય રહે છે. આડકતરી રીતે જોઇએ તો સૂપડું એ સ્વચ્છતા અને શુદ્ધિનું પ્રતીક છે. એ જ રીતે સાવરણી એ પણ સ્વચ્છતા અને સુઘડતાનું પ્રતીક છે. આ સાધનો દ્વારા સ્વચ્છતાં અને સુઘડતા રાખવામાં આવે તો રોગોનું પ્રમાણ આપોઆપ ઘટી જાય છે. એવો આ શીતળા સાતમનાં ઉત્સવનો અમૂલ્ય સંદેશ છે.

એવું માનવમાં આવે છે કે શીતળા સાતમનું વ્રત કરવાથી શીતળા માતા પોતાના ભક્તોને ઓરી તથા ચિકન પોક્સ જેવી બીમારીઓથી રક્ષણ કરે છે. હકીકતમાં શીતળા સાતમ મનાવવા પાછળનું વૈજ્ઞાનિક કારણ વાતાવરણમાં આવતો બદલાવ છે. આ બદલાવથી બચાવ માટે સાફ સફાઈ ખૂબ જરૂરી છે. દેવી શીતળાની પૂજાથી પર્યાવરણને સ્વચ્છ અને સલામત રાખવાની પ્રેરણા પ્રાપ્ત થાય છે અને સફાઈ માટે સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવે છે. જો કોઈ બાળકોની જેમ આ પ્રકારની બીમારી થઈ જાય, તો તેને શીતળા માતાનું પૂજન કરવું જોઈએ જેથી આવી બીમારીઓથી દૂર થઈ શકે જે એક સાંકેતિક સ્વરૂપ છે.

શીતળા માતાની ક્ષમા, સહનશીલતા અને ઔદાર્ય અજોડ છે. જીવનમાં સ્વચ્છતા અને સુઘડતા લાવવા માટે સ્ત્રીઓ આ પવિત્ર પર્વનાં દિવસે શીતળા માતાની આરાધના-ઉપાસના કરે છે. આ સાધન-પૂજા અને કર્મ-પૂજા પોતાના જીવનમાં પણ સાકાર થાય એવી પ્રાર્થના કરે છે. જે વ્રતધારી સાધન-પૂજા અને કર્મ-પૂજાનું મહત્વ સાચા અર્થમાં સમજી ને આ વ્રત કરે છે તેમના ઉપર આદ્યશક્તિ શીતળા માતા અતિ પ્રસન્ન થાય છે અને આજીવન શીતળતાની સુખદ અનુભૂતિ થાય છે.

    દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *