દવાઓ અને તબીબી સાધનોનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે જ-ડો. જે.કે.નથવાણી
રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે કોરોના સંબંધી તમામ દવાઓ અને તબીબી સાધનોનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે જ-ડો. જે.કે.નથવાણી
રાજકોટની પંડિત દીનદયાળ ઉપાધ્યાય(સિવિલ) હોસ્પિટલ ખાતે કોરોના સામેના યુધ્ધમાં લડવા માટે જરૂરી તમામ દવાઓ અને તબીબી સાધનોનો પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવાનું ડો. જે.કે.નથવાણીએ જણાવ્યું છે.
આ અંગેની વિગતો આપતાં પંડિત દીનદયાલ ઉપાધ્યાય હોસ્પિટલના સ્ટોર અને ઓકસીજન વિભાગના ઇન ચાર્જ મેડિકલ ઓફિસર ડો. જે.કે.નથવાણીએ જણાવ્યું હતું કે, રાજકોટ શહેર તથા ગ્રામ્ય વિસ્તારના નાગરિકોને કોરોના સંબંધી સારવાર માટે જે-જે દવાઓ જરૂરી છે, અને કોરોનાગ્રસ્ત નાગરિકોની સારવાર કરતા ડોકટર્સ અને અન્ય પેરામેડિકલ સ્ટાફ માટે જે કંઇ પણ સાધનોની આવશ્યકતા છે, તે તમામ વસ્તુઓ પૂરતી માત્રામાં હોસ્પિટલ ખાતે પ્રાપ્ય છે જ. અન્ય જિલ્લાઓમાંથી સારવાર માટે આવતા કોરોનાના દર્દીઓ માટે પણ પર્યાપ્ત પ્રમાણમાં આ જથ્થો રાખવામાં આવે જ છે.
એન-૯૫ માસ્ક, પર્સનલ પ્રોટેકશન ઇકવીપમેન્ટ(પી.પી.ઇ.) કીટ, ટ્રીપલ લેયર માસ્ક, સેનિટાઇઝર, રબ્બર ગ્લોવ્ઝ વગેરે જેવી વસ્તુઓ, રેન્ડમ બ્લડ શુગર સ્લીપ, ટોસિલીઝુમેબના ઇન્જેક્શન્સ, રેમ્ડેસીવીર એઝિથ્રોમાઇસીન-હાઇડ્રકસીકલોરોકવીન વગેરે જેવી દવાઓનો જરૂરી જથ્થો હોસ્પિટલ ખાતે છે જ, જેથી કોઇ પણ પ્રકારની ઇમરજન્સીને પહોંચી વળવા માટે હોસ્પિલ તમામ રીતે સુસજ્જ છે, તેમ તેમણે ઉમેર્યું હતું.