૭૦ જેટલી આરોગ્ય સંસ્થાના સઘન સંચાલન સાથે કોરોના દર્દીઓની કરાઈ રહી છે સારવાર
- વિભાગીય નાયબ નિયામકશ્રી, આરોગ્ય કચેરી, રાજકોટના પરિશ્રમ અને પરિણામલક્ષી કામગીરી પાસે પાછી પાની કરતો કોરોના વાયરસ
- ૭૦ જેટલી આરોગ્ય સંસ્થાના સઘન સંચાલન સાથે કોરોના દર્દીઓની કરાઈ રહી છે સારવાર
- કોરોનાની સારવાર માટે પોરબંદર-દ્વારકા-મોરબી જિલ્લા કક્ષાની હોસ્પિટલ ખાતે ૧૦૦ થી ૧૫૦ બેડની વ્યવસ્થા ઉભી કરાઈ
- તંત્ર દ્વારા જિલ્લાની ૩૪ ખાનગી હોસ્પિટલોને ૧૮૨૫ બેડ સાથે ૬૦ વેન્ટીલેટર લોન દ્વારા ફાળવવામાં આવ્યા: વિભાગીય નાયબ નિયામકશ્રી ડો.રૂપાલી મહેતા
કહેવત છે કે “પરિશ્રમ એ જ પારસમણિ”. આ કહેવતને જિલ્લા વહીવટી તંત્ર અને વિભાગીય નાયબ નિયામકશ્રીની આરોગ્ય કચેરીએ સાર્થક કરી બતાવી છે. જેના કારણે રાજકોટ આજે કોરોનાની ભયકંર સ્થિતિમાંથી બહાર આવી રહ્યું છે. ત્યારે એ વાત કહેવામાં કોઈ શંકા નથી રાજકોટ અવશ્ય કોરોના સામે વિજયી થશે, તેવી આશા ડો.રૂપાલી મહેતાએ વ્યક્ત કરી હતી.
અહેવાલ: પ્રિયંકા પરમાર,રાજકોટ
રાજકોટ, ૦૫ ઓક્ટોબર: કોઈ પણ લક્ષ્યને સિધ્ધ કરવા માટે તેના પાયામાં નક્કર આયોજન અને લક્ષ્ય પ્રત્યે સમર્પણની ભાવનાનું વિશેષ મહત્વ રહેલું છે. જેના થકી કોઈ પણ પડકારો અને મુશ્કેલીઓને મક્કમ ગતિ સાથે પાર પાડી શકાય છે. હાલ ગુજરાત સરકાર અને તબીબી જગત કોરોના સામે બાહોશી સાથે લડાઈ લડી રહ્યા છે. ત્યારે આ લડાઈમાં રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર અને વિભાગીય નાયબ નિયામક, આરોગ્ય કચેરી પણ નિષ્ઠાવાન અને પરિણામલક્ષી કામગીરી કરી રહી છે. જેના કારણે આજે રાજકોટ જિલ્લામાં કોરોનાને કારણે થતાં મૃત્યુ દરમાં ઘટાડો થયો છે તેમજ વયોવૃધ્ધ વ્યક્તિઓ સંપૂર્ણ સ્વસ્થ થઈને ઘરે પરત ફરી રહ્યા છે.
કોરોનાની વિકટ પરિસ્થિતિમાંથી રાજકોટને બહાર લાવવા માટે ૩૫ લોકોના સ્ટાફ સાથે કાબિલે-દાદ કામગીરી કરનાર વિભાગીય નાયબ નિયામકશ્રી, આરોગ્ય કચેરી, રાજકોટ ડો. રૂપાલી મહેતાએ જણાવ્યું હતું કે, રાજકોટ ઝોન હેઠળ ૬ જિલ્લા (રાજકોટ-જામનગર-પોરબંદર-ભુજ-કચ્છ-મોરબી-દેવભુમિ દ્વારકા) અને રાજકોટ-જામનગર એમ બે કોર્પોરેશનનો સમાવેશ થાય છે. જનઆરોગ્ય માટે સંપૂર્ણ પ્રતિબધ્ધતા અને સંબંધિત જિલ્લાના કલેકટરશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી, મ્યુનિસિપલ કમિશ્નરશ્રી, અગ્ર સચિવ આરોગ્ય અને આરોગ્ય કમિશ્નર સહિતના વડાઓ સાથે સંકલન સાધીને વિભાગીય નાયબ નિયામકશ્રી આરોગ્ય કચેરી દ્વારા કુલ ૭૦ જેટલી આરોગ્ય સંસ્થા અને તબીબી સેવાઓનું મોનીટરીંગ અને મેન્ટરીંગ કરવામાં આવી રહ્યું છે.
રોગને મ્હાત આપવા માટે સારવારની સઘન વ્યવસ્થા કેન્દ્ર સ્થાન પર હોય છે. તેથી કોરોના પોઝીટીવ દર્દીઓની સારવાર માટે સમય સુચકતા અને સઘન વ્યવસ્થા સાથે કરેલી કામગીરી અંગે વિગતો આપતા આરોગ્યના વિભાગીય નાયબ નિયામકશ્રી ડો.મહેતાએ જણાવ્યું હતું કે, રાજકોટ કલેકટરશ્રીની સુચના અન્વયે રાજકોટમાં બે ડેડીકેટેડ કોવીડ હેલ્થ સેન્ટરો કાર્યરત કરવામાં આવ્યા છે. જેમાં સમરસ હોસ્ટેલ ખાતે કુલ ૫૨૦ બેડ પૈકી ૩૪૦ બેડ ઓક્સિજન સપ્લાય સાથે અને કેન્સર હોસ્પિટલના ૧૯૨ બેડ પૈકી ૧૭૭ ઓક્સિજન યુક્ત બેડની
વ્યવસ્થા સાથે ફરજ પર નિયુક્ત તબીબી અધિકારી, આયુષ એમ.ઓ તથા નર્સિંગ સ્ટાફ દ્વારા દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે. આ જ પધ્ધતિ અને આયોજન સાથે તાલુકા કક્ષાએ જ દર્દીને સારવાર મળી રહે તેવા હેતુસર સરકારી હોસ્પિટલમાં તમામ ઓક્સિજન બેડ સાથે જસદણમાં ૨૪, ગોંડલમાં ૫૫ અને ધોરાજીમાં ૩૫ બેડ સાથે કોવીડ કેર સેન્ટરો કાર્યરત કરાયા છે.
કોરોના પોઝીટીવ દર્દીઓને કોઈ પણ પ્રકારની હાલાકીનો સામનો ન કરવો પડે, તે માટે રાજકોટ જિલ્લા ગ્રામ્ય તથા કોર્પોરેશન વિસ્તારમાં અત્યાર સુધીમાં ૩૪ જેટલી પ્રાઈવેટ હોસ્પિટલને ૧૮૨૫ બેડ સાથે કોવીડ-૧૯ સારવાર અર્થે નિયુક્ત કરવામાં આવી છે. જેમાં આશરે ૬૦ જેટલા વેન્ટીલેટર લોન ઉપર કોવીડ-૧૯ દર્દીઓ માટે ફાળવવામાં આવ્યા છે. અન્ય જિલ્લાના દર્દીઓને સચોટ સારવાર મળી રહે તે માટે પોરબંદર, દ્વારકા અને મોરબી જિલ્લા કક્ષાની હોસ્પિટલ ખાતે આઈ.સી.યુ. સહિતની ૧૦૦ થી ૧૫૦ બેડની વ્યવસ્થા કરવામાં આવી છે.
કુદરતી આફતને એકતાની શક્તિ વડે ખતમ કરવા રાજકોટ અને અન્ય છ જિલ્લાનો મેડીકલ સ્ટાફ પણ તંત્રની પડખે ઉભો રહ્યો છે. જે અન્વયે અન્ય જિલ્લાઓમાંથી એક તબીબી અધિકારી, પેરામેડિકલ સ્ટાફ, ડ્રાઈવર અને એમ્બ્યુલન્સ વાહન સાથે કુલ ૭૨ ટીમ અને ૨૧૬ કર્મચારીઓને કોવીડ-૧૯ કામગીરી અર્થે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે ડેપ્યુટેશન કરવામાં આવ્યું હતું. જ્યારે રાજકોટમાં વડી કચેરી ગાંધીનગરના સંકલન સાથે આશરે ૧૦૦ સ્ટાફ નર્સને પી.ડી.યુ. હોસ્પિટલ રાજકોટ ખાતે ફરજ પર મુકવામાં આવ્યા છે. તેમજ કર્મયોગી બનીને ૩ ફિઝિયોથેરાપીસ્ટો સિવિલ ખાતે રોટેશન મુજબ અન્ય આદેશ ન થાય ત્યાં સુધી એનેસ્થેસિયા વિભાગ હેઠળ પ્રતિનિયુક્તિથી ફરજો નિભાવી રહ્યા છે.
આરોગ્યલક્ષી કામગીરીની સાથે વહીવટી અને વ્યવસ્થાપનની પણ ઉત્કૃષ્ટ કામગીરી અદા કરી છે. જે સંદર્ભે સારવાર અર્થે જી.એમ.એસ.સી.એલ દ્વારા મળતી પી.પી.ઈ.કીટ, માસ્ક, સેનેટાઈઝર અને એન્ટીજન કીટ દરેક જિલ્લામાં સમયસર પહોંચે તે માટે આ કચેરી દ્વારા વેકસીન વાન દર અઠવાડિયામાં આશરે ત્રણ થી ચાર વખત ગાંધીનગર ખાતે સપ્લાય લેવા જાય છે. તેમજ અમદાવાદ, ગાંધીનગર અને સુરત ખાતેથી રાજકોટ સિવિલને ફાળવવામાં આવેલ વેન્ટીલેટરોની આર.ડી.ડી.ઓફિસના વેકસીન વાન દ્વારા ટ્રાન્સપોર્ટેશનની કામગીરી કરવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે, એક સમયનું કોરોના હોટસ્પોટ ગણાતા જંગલેશ્વરને કોરોનામુક્ત કરવા રાજકોટ સિવિલ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી ત્યાંના અર્બન હેલ્થ સેન્ટર ખાતે સોનોગ્રાફી મશીનની વ્યવસ્થા સહિતની સ્પેશિયાલિસ્ટ ડોક્ટર્સ દ્વારા ઓ.પી.ડી. શરૂ કરવામાં આવી હતી. જેના કારણે જંગલેશ્વર વિસ્તારના દર્દીઓને ખુબ રાહત મળી હતી.