cm somnath puja

Somnath Laddu Prasad: સોમનાથ ટ્રસ્ટ અંદાજે ૧ કરોડના ખર્ચે લાડુ પ્રસાદના રૂપમાં બાળકોને અપાશે

  • Somnath Laddu Prasad: સોમનાથ ટ્રસ્ટ દ્વારા આંગણવાડીના ભૂલકાઓ માટે લાડુના દૈનિક પોષણ પ્રસાદ વિતરણનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી
  • આગામી એક વર્ષમાં ૭ લાખ લાડુ વિતરણ, પ્રત્યેક લાડુ પ્રસાદ પેકિંગ ઇકોફ્રેન્ડલી મટીરીયલથી કરાય છે
  • આશરે 1 કરોડના ખર્ચથી લાડુ પ્રસાદ રૂપમાં 28 ટન પોષણયુક્ત આહાર બાળકોને વિતરણ કરાશે
  • ઇકો ફ્રેન્ડલી મટીરિયલથી કરવામાં આવ્યું છે પ્રત્યેક લાડુનું પેકિંગ
google news png

સોમનાથ, 18 ઓગસ્ટ: Somnath Laddu Prasad: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભક્તિ, ભવ્યતા અને દિવ્યતાના પ્રતિક એવા ભગવાન સોમનાથ મહાદેવના ભાવપૂર્વક દર્શન-અર્ચન અને જલાભિષેક પવિત્ર શ્રાવણ માસના અંતિમ સોમવારે કર્યા હતા. મુખ્યમંત્રીએ આ શ્રાવણ માસના પ્રત્યેક સોમવારે પૌરાણિક શિવ મંદિરોના દર્શન-પૂજનનો ઉપક્રમ શ્રદ્ધાપૂર્વક પ્રયોજયો છે. તદઅનુસાર, શ્રાવણ માસના પ્રથમ સોમવારે ગાંધીનગર નજીકના ધોળેશ્વર મહાદેવ, ત્યારબાદ બીજા સોમવારે ભરૂચના કાવી-કંબોઇ ખાતેના સ્તંભેશ્વર મહાદેવ અને ત્રીજા સોમવારે ઐતિહાસિક ધરોહર સમાન વડનગરના હાટકેશ્વર મહાદેવના દર્શન-પૂજન તેમણે કર્યા હતા.

પવિત્ર શ્રાવણ માસના છેલ્લા સોમવારે મુખ્યમંત્રી દ્વાદશ જ્યોતિર્લિંગના પ્રથમ જ્યોતિર્લિંગ અને સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ સોમનાથ મહાદેવના દર્શન પૂજન માટે પહોંચ્યા હતા અને ભોળાનાથના ચરણોમાં શિશ ઝુકાવીને શ્રદ્ધાપૂર્વક દર્શન કરીને સૌના મંગલની તથા રાજ્ય-રાષ્ટ્રની પ્રગતિ અને સુખાકારીની પ્રાર્થના કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ અવસરે સોમનાથ ટ્રસ્ટ દ્વારા ગીર સોમનાથ જિલ્લાના આંગણવાડીના નાના ભૂલકાઓ માટેના લાડુપોષણ પ્રસાદ (Somnath Laddu Prasad) વિતરણનો શુભારંભ પણ કરાવ્યો હતો.

Somnath Laddu Prasad

વડાપ્રધાન અને સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ નરેન્દ્રભાઈ મોદીએ “પોષણ ભી પઢાઈ ભી”નો મંત્ર આપીને ભૂલકાઓના અભ્યાસ સાથે પોષણની પણ ચિંતા કરી છે.સોમનાથ ટ્રસ્ટ દ્વારા વડાપ્રધાનની પ્રેરણા અને માર્ગદર્શનમાં આ અભિગમને આગળ ધપાવતા આગામી એક વર્ષ માટે ગીર સોમનાથ જિલ્લામાં ૭ લાખ લાડુ પ્રસાદ (Somnath Laddu Prasad) વિતરણનો સેવાયજ્ઞ શરૂ કરવામાં આવ્યો છે. અંદાજે ૧ કરોડ રૂપિયાના ખર્ચે સોમનાથ મહાદેવ ટ્રસ્ટ ૨૮ ટન લાડુનો પોષણક્ષમ આહાર આંગણવાડીના બાળકો સુધી પહોંચાડશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આરંભ કરાવેલા આ દૈનિક પોષણ પ્રસાદ વિતરણમાં આપવામાં આવનારા લાડુના પેકિંગ માટે સોમનાથ ટ્રસ્ટે માનવ હસ્તક્ષેપ વિનાનું ઓટોમેટીક પેકેજીંગ મશીન વિકસાવ્યું છે. આ મશીનના ઉપયોગથી એર ટાઈટ રીતે અને સંપૂર્ણ સ્વચ્છતા સાથે લાડુ પેક કરવામાં આવે છે.

આ પણ વાંચો:- Janmashtami-2025: આજે જન્માષ્ટમી પર એક અલગ સંવાદ મારાં અંતરમન સાથેનો…!!: વૈભવી જોશી ‘ઝીલ’

એટલું જ નહીં, પર્યાવરણ જાળવણીના વડાપ્રધાનના સંકલ્પને અનુરૂપ આ લાડુના પેકિંગમાં બાયોડીગ્રેડેબલ મટીરીયલનો ઉપયોગ કરવામાં આવેલો છે. સોમનાથ દાદાના પોષણ પ્રસાદનું વિતરણ આગામી એક વર્ષ સુધી અવિરત કરવાનું આયોજન પણ સોમનાથ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે.

વડાપ્રધાનના માર્ગદર્શનમાં સોમનાથ ટ્રસ્ટ સામાજિક સેવાની પરંપરા પણ નિભાવતું આવ્યું છે. ટ્રસ્ટ દ્વારા દર વર્ષે કેરીની સિઝનમાં “કેરી મનોરથ” યોજીને જિલ્લાની આંગણવાડીના બાળકોને અંદાજિત ૨૫૦૦ કિલો કેરીનું વિતરણ કરવામાં આવે છે. થોડા સમય પહેલાં જ કચ્છની મીઠી મધુરી ખારેકનો સોમનાથ દાદાને મનોરથ કરીને ૧૫૦૦ કિલો ખારેક આંગણવાડીમાં વિતરણ કરવામાં આવી હતી. વિશેષ રૂપે ગીર સોમનાથની આંગણવાડીઓમાં સોમનાથ ટ્રસ્ટ દ્વારા દૈનિક ૫૦ ગ્રામ મગફળી અને ગોળની ચિક્કી પોષણ આહાર સ્વરૂપે એક વર્ષ સુધી વિતરણ કરવામાં આવી હતી.

“સૌના નાથ સોમનાથ” એ ધ્યેય સાથે સમાજના દરેક વર્ગને સ્પર્શતી સેવાઓ સોમનાથ ટ્રસ્ટ પુરી પાડતું આવ્યું છે. સોમનાથ મહાદેવને અર્પિત થતા પીતાંબર તથા માતા પાર્વતીને અર્પિત થતી સાડીઓ વસ્ત્રપ્રસાદ સ્વરૂપે છેલ્લા બે વર્ષમાં ૧૭,૦૦૦થી વધુ જરૂરિયાતમંદોને પહોંચાડવામાં આવી છે.

દર મહિને દાંત રોગ નિદાન કેમ્પ, કૃત્રિમ અંગ વિતરણ, ફિઝિયોથેરાપી સેવા, સર્વ રોગ નિદાન કેમ્પની સેવાનો હજારો લોકોને લાભ મળે છે. ટ્રસ્ટની ગીર ગૌશાળામાં ઉત્તમ ગૌવંશનું સંવર્ધન તથા રાજ્યની ગૌશાળાઓમાં નંદી પ્રસાદ આપીને ગુજરાતની ગૌશાળાઓમાં ગીર ગાયોના વંશ સુદ્રઢીકરણનું કાર્ય પણ સોમનાથ ટ્રસ્ટ કરે છે.

OB banner

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં અખંડ સેવાની ધૂણી ચલાવતું સોમનાથ મંદિર ટ્રસ્ટ ભક્તો માટે સ્વચ્છતા, પવિત્રતા, સ્વાસ્થ્ય અને સમાનતાનો પર્યાય છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોમનાથ ટ્રસ્ટની બહુવિધ સેવાકીય પ્રવૃત્તિઓની પણ જાણકારી મેળવી હતી. સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી જે. ડી. પરમાર અને સેક્રેટરી યોગેન્દ્ર દેસાઈએ મુખ્યમંત્રીનું સોમનાથ મદિર પરિસરમાં સ્વાગત કર્યુ હતું.

Somnath Laddu Prasad

મુખ્યમંત્રીની સોમનાથ મુલાકાત દરમિયાન જિલ્લા પંચાયત પ્રમુખ મંજૂલાબહેન મૂછાર, ધારાસભ્ય પ્રદ્યુમનભાઈ વાજા, ભગવાનભાઈ બારડ, કાળુભાઈ રાઠોડ, વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા પ્રમુખ પલ્લવીબહેન જાની, કલેક્ટર એન.વી.ઉપાધ્યાય, જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર, જિલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજા, અગ્રણી ઝવેરીભાઇ ઠકરાર, સંજય પરમાર, પૂર્વ ધારાસભ્ય જશાભાઈ બારડ, રાજશીભાઈ જોટવા, અગ્રણી મહેન્દ્રભાઈ પીઠિયા, માનસિંહ પરમાર સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો