cyclone Multipurpose shelter delvada

Biparjoy: બિપરજોયનું એક વર્ષ: આ રીતે સરકારને મળી ‘ઝીરો કેઝ્યુલ્ટી’ સફળતા

google news png

ગાંધીનગર, 14 જૂન: Biparjoy: વર્ષોથી આપદા વ્યવસ્થાપન મુદ્દે ભારતમાં કોઈ ગહન વિચારણા અને કામગીરી ન થવાના લીધે, નાગરિકોને અપાર મુશ્કેલીઓ વેઠવી પડી છે. કુદરતના ફટકા સામે મનુષ્યની લાચારી દેખીતી હતી પણ નક્કર આયોજન અને દૂરંદેશી વિઝનના અભાવે, આ લાચારીમાં જાણે ઉમેરો થતો હતો. કુદરતી આફતો જે દેશ પર હંમેશા તલવારની જેમ લટકતી હોય, ત્યારે જરૂર હતી એક એવા વિઝનની, જે આપદા વ્યવસ્થાપનને સાચા અર્થમાં જમીન પર ઉતારે. વર્ષ 2001માં કચ્છમાં આવેલા ઘાતકી ભૂકંપ બાદ માત્ર 13 દિવસની અંદર જ, ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળની (GSDMA) રચના બાદ આપદા વ્યવસ્થાપનને ઝીરો કેઝ્યુલ્ટીના ઉદ્દેશ તરફ લઇ જવાની શરૂઆત થઇ ગઇ હતી.

આપદા પહેલા નક્કર આયોજન, ગુજરાતનું મોડલ દેશમાં લાગુ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપદા વ્યવસ્થાપનની પ્રક્રિયા બદલી નાખી. જે રીતે આતંકવાદ અને સુરક્ષા સામે તેમણે ‘ઝીરો ટોલરન્સ’ની નીતિ અપનાવી છે, તે જ રીતે આપદા વ્યવસ્થાપન મુદ્દે પણ તેમનો અભિગમ ‘ઝીરો કેઝ્યુલ્ટી’નો છે. તેમણે આપદા બાદ રાહત પહોંચાડવાની સાથોસાથ, આવનાર આપદાની પૂર્વતૈયારીઓ પર વિશેષ ભાર મુક્યો અને છેવાડાના માનવી સુધી એ તૈયારીઓ પહોંચે, તે બાબત કેન્દ્રસ્થાને હતી. સરકારના તમામ વિભાગો વચ્ચેનું સંકલન સુદૃઢ કરવામાં આવ્યું અને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ, વર્ષ 2003માં GSDMA ઍક્ટના માધ્યમથી આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળને વિશેષ સત્તાઓ આપવામાં આવી.

હવે ગુજરાતનું આ મોડલ, દેશવ્યાપી લાગુ થઇ ગયું છે. આ મોડલના પ્રભાવી અમલીકરણથી વર્ષ 2023ના જૂન મહિનામાં આવેલા બિપરજોય વાવાઝોડા દરમિયાન ઝીરો કેઝ્યુલ્ટીની સફળતા મળી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં, એક ચોક્કસ કમ્યુનિકેશન પ્લાન, લાઇઝનીંગ, ફિલ્ડ સપોર્ટ, સ્થળાંતર માટે શેલ્ટર હોમની વ્યવસ્થા અને આપદા બાદની સ્થિતિની કામગીરી માટેનું ઝીણવટભર્યું આયોજન કરવામાં આવ્યું હતું.

ડેટા ડ્રિવન ડિસીઝન મેકિંગ: 17 દિવસમાં 2 કરોડ 64 લાખ મેસેજ મોકલ્યા

આપદામાં જાનહાનિ ટાળવામાં એક મહત્વપૂર્ણ બાબત સમયસર લોકોને કુદરતી આપદા વિશે સચોટ માહિતી પહોંચાડવાની હતી. આપદા સમયના અનુભવોથી સરકારના ધ્યાને આવ્યું છે કે જો અસરગ્રસ્ત વિસ્તારોમાં રહેતા લોકો સુધી સમયસર માહિતી પહોંચી જાય, તો તેમનું સ્થળાંતર સરળ બની જાય છે. બિપરજોય વાવાઝોડાં સમયે ગુજરાતમાં સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) મારફતે, એક વિશેષ સૉફ્ટવેરની મદદથી તમામ નેટવર્કના મોબાઇલ ધારકોને હવામાન વિભાગના અપડેટ મોકલવામાં આવ્યા હતા.

બિપરજોયના (Biparjoy) સમયગાળામાં 1 જૂનથી 17 જૂન 2023 દરમિયાન, 2 કરોડ 64 લાખ સંદેશ બનાસકાંઠા, કચ્છ, મહેસાણા, સાબરકાંઠા, પાટણ, દ્વારકા, જામનગર, મોરબી અને જૂનાગઢના અસરગ્રસ્ત વિસ્તારોમાં તમામ મોબાઇલ ઓપરેટર્સના વપરાશકર્તાઓને મોકલવામાં આવ્યા હતા. આ સમયે સરકારે એક નવીન પહેલ અંતર્ગત આ સંદેશા ટીવી પર પણ સ્ક્રોલ મેસેજ સ્વરૂપે પ્રસારિત કર્યા હતા. આ સંદેશા અંગ્રેજી અને ગુજરાતી બન્ને ભાષાઓમાં પ્રસારિત કરવામાં આવ્યા હતા અને લોકોને સમયસર માહિતી મળવાથી સ્થાળાંતર સરળ બની ગયું હતું. ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા ચોક્કસ ટ્રેકિંગ અને રિયલ ટાઇમ ડેટાથી સરકારને સમગ્ર મશીનરીને પ્રભાવિત વિસ્તારોમાં મોકલવામાં પણ સરળતા રહી હતી.

ઇન્ફ્રાસ્ટ્રક્ચર: 76 મલ્ટિપર્પઝ સાયક્લોન શેલ્ટર્સનું નિર્માણ

વાવાઝોડાંઓ સામે પૂર્વતૈયારીના ભાગરૂપે સૌથી જરૂરી બીજી વસ્તુ એ છે કે પ્રભાવિત વિસ્તારોના નાગરિકોને સુરક્ષિત સ્થળોએ લઇ જવામાં આવે. રાજ્યની જનતાને સુરક્ષિત રાખવા માટે રાજ્ય સરકારે દીર્ઘદ્રષ્ટિ વાપરીને દરિયાકિનારાના વિસ્તારોમાં 76 અદ્યતન સુવિધાઓ ધરાવતા મલ્ટિપર્પઝ સાયક્લોન શેલ્ટર્સ (MPCS) નું નિર્માણ કર્યું છે. બિપરજોય સમયે આ આશ્રયસ્થાનોના લીધે રાજ્યમાં ઝીરો કેઝ્યુલ્ટી જાળવવામાં મદદ મળી હતી.

આ પણ વાંચો:- Bridge of Forgiveness: વર્ષો વીતી ગયા, અને અનિરુધને તેની ગર્લફ્રેન્ડ મીરાના પ્રેમમાં…..

₹271 કરોડના ખર્ચે રાજ્યમાં 10 જિલ્લાઓમાં આ 76 મલ્ટિપર્પઝ સાયક્લોન શેલ્ટર્સનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેમાં જૂનાગઢમાં 25, ગીર સોમનાથમાં 29, પોરબંદરમાં 4, દેવભૂમિ દ્વારકામાં 4, કચ્છમાં 4, અમરેલીમાં 2, જામનગરમાં 1, નવસારીમાં 1, ભરૂચમાં 5 અને અમદાવાદમાં 1 શેલ્ટરનો સમાવેશ થાય છે. આ સિવાય સરકારે ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન અંતર્ગત અલગ અલગ તાલુકાઓમાં 2213 સેફ શેલ્ટર સ્થળોની ઓળખ કરી હતી. આશ્રયસ્થાનોમાં કમ્યુનિટી કિચનની મદદથી નાગરિકોને ફ્રેશ ભોજન પ્રદાન કરવામાં આવ્યું હતું.

લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને મેડિકલ ટીમ દ્વારા આ શેલ્ટર હોમ્સની નિયમિત વિઝિટ કરીને આરોગ્ય તપાસ પણ કરવામાં આવી હતી. વાવાઝોડા પૂર્વે ટૂંક સમયમાં જ રાજ્ય સરકારના પ્રયાસોથી 10 જિલ્લામાંથી 1174 ગર્ભવતી મહિલાઓ, 7526 વૃદ્ધો, 30631 બાળકો સહિત કુલ 1 લાખ 56 હજારથી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું.

પશુઓ અને વન્યજીવો માટે પણ ખાસ આયોજન

સરકારની સંવેદનશીલતા એ બાબત પરથી પણ સ્પષ્ટ થાય છે કે બિપરજોય (Biparjoy) સમયે ગીરના સિંહોના રેસ્ક્યુ માટે પણ એસઓપી તૈયાર હતી. ગીર સિવાય કચ્છમાં નારાયણ સરોવર અભ્યારણ્ય, માતાના મઢ અને પોરબંદરના બરડામાં ખાસ રેસ્ક્યુ ટીમ તહેનાત કરવામાં આવી હતી. એશિયાટિક સિંહોને બચાવવા માટે નવ ડિવિઝનમાં 58 કન્ટ્રોલ રૂમ બનાવીને 184 ટીમની રચના કરવામાં આવી હતી. હાઇટેક સિસ્ટમની મદદથી એક ટીમ સતત સિંહોનું ટ્રેકિંગ કરતી હતી. સિંહોનો રહેણાંક વિસ્તાર સાત નદીઓના પટમાં હોવાથી, પૂરના સમયે સિંહોના રેસ્ક્યુ માટે ખાસ ટીમો તૈયાર હતી. કચ્છ, દ્વારકા, જામનગર અને મોરબી જિલ્લામાંથી 52 હજારથી વધુ પશુઓને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા હતા.

આપદા મિત્ર: જન ભાગીદારીથી ક્ષમતા નિર્માણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપદા વ્યવસ્થાપનને પ્રભાવી બનાવવા માટે તેમાં જનભાગીદારી પર પૂરતો ભાર મૂક્યો છે. આપદા વ્યવસ્થાપનની પ્લાનિંગના ભાગરૂપે આજે રાજ્યમાં ગામડાઓ સુધી લોકોને તાલીમ આપીને સજ્જ કરવામાં આવી રહ્યા છે. વર્ષ 2016માં NDMA દ્વારા ‘આપદા મિત્ર’ યોજના જાહેર કરવામાં આવી હતી. આ યોજનાનો ઉદ્દેશ આપદાથી પ્રભાવિત થઇ શકે તેવા દરેક જિલ્લામાં વોલન્ટિયર્સને જરૂરી તાલીમ આપવાનો છે.

આ યોજના અંતર્ગત ભારતના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 1 લાખ કમ્યુનિટી વોલન્ટિયર્સને તાલીમ આપવાનો લક્ષ્યાંક છે જેમાંથી ગુજરાતના 17 જિલ્લામાં 5500 આપદા મિત્ર તૈયાર કરવામાં આવ્યા છે. એસડીઆરએફ સાથે મળીને તેમને આપદા સમયે મદદરૂપ બનવા માટે જરૂરી તાલીમ આપવામાં આવી છે. તેમને ડિઝાસ્ટર રિસ્પૉન્સ માટે જીવન બચાવની જરૂરી સ્કિલ્સ, કોર્ડીનેશન, તેમજ આસિસ્ટન્સની તાલીમ અને ઇમરજન્સી રિસ્પોન્સ કિટ આપવામાં આવી છે. બિપરજોય સમયે 383 આપદા મિત્રોએ એસડીઆરએફની ટીમ સાથે ગુજરાતના 8 જિલ્લામાં સેવા આપી હતી.

આ રીતે જનભાગીદારીનો વ્યાપ વધારીને લોકોને આપદા સામે વધુ સુરક્ષિત કરવાની દિશામાં આ પહેલ છે. તેના લીધે સ્થાનિક કક્ષાએ એક અનુભવી નેતૃત્વ પણ તૈયાર થઇ રહ્યું છે, જે આગામી સમયમાં આપદા વ્યવસ્થાપનમાં મદદરૂપ બની રહેશે.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો