મુખ્યમંત્રીશ્રી આજે સવારે શ્રીમતી અંજલિ બહેન રૂપાણી સાથે ભદ્રકાળી મંદિરે પહોંચ્યા હતા.
અમદાવાદ, ૧૬ નવેમ્બર: મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ વિક્રમ સંવત 2077ના નૂતનવર્ષ દિવસે અમદાવાદના ભદ્રકાળી મંદિરમાં ભક્તિભાવ પૂર્વક પૂજન અર્ચન કર્યા હતા. શ્રીમતી અંજલિ બહેન રૂપાણી સાથે આજે સવારે મુખ્યમંત્રીશ્રી ભદ્રકાળી મંદિર પહોંચ્યા હતા.
મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના સૌ નાગરિક ભાઈ બહેનોને દિપાવલી અને નૂતન વર્ષની શુભકામના પાઠવતા કહ્યું કે, ગુજરાતની જનતા ખૂબ સુખ શાંતિ અને સમૃદ્ધિ પામે, ગુજરાત સલામત રહે, અમદાવાદ ધબકતું રહે, નવા વર્ષમાં કોરોનાનો સંક્રમણ કાળ સમાપ્ત થાય, લોકોનું આરોગ્ય અને તંદુરસ્તી જળવાઈ રહે અને નવા વર્ષમાં ગુજરાત ખૂબ જ વિકાસ કરે તથા સૌનો સાથ સૌનો વિકાસ એ મંત્ર ફળીભૂત બને તેવી પ્રાર્થના તેમણે કરી છે
આ વેળાએ અમદાવાદના મેયર શ્રીમતી બિજલ બહેન પટેલ સહિતના અગ્રણીઓ સંગઠન પદાધિકારીઓએ મુખ્યમંત્રીશ્રીને આવકાર્યા હતા અને અભિવાદન કર્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ મંદિર પરિસરમાં દર્શનાર્થીઓને પણ સાલમુબારક પાઠવી અભિવાદન ઝીલ્યું હતું.