Rocket attack on Ukrainian station: પૂર્વી યુક્રેનમાં રેલવે સ્ટેશન પર રશિયાએ છોડ્યું રોકેટ, 35ના મોત અને 100થી વધુ લોકો ઘાયલ
Rocket attack on Ukrainian station: યૂક્રેનના પૂર્વ ભાગમાં નાગરિકોને બહાર કાઢવા માટે ઉપયોગમાં લેવામાં આવી રહેલા રેલવે સ્ટેશન પર રશિયાના રોકેટ હુમલામાં 30થી વધુ લોકોના મોત અને 100થી વધુ લોકો ઘાયલ થયા હોવાનો દાવો યુક્રેન દ્વારા થયો
નવી દિલ્હી, 08 એપ્રિલઃ Rocket attack on Ukrainian station: યુક્રેન પર રશિયાના હુમલામાં અત્યાર સુધીમાં અનેક સૈનિકો અને સામાન્ય નાગરિકોના મોત નિપજ્યા છે. આ લડાઈ (War) હજી કેટલા દિવસ સુધી ચાલશે તે નક્કી નથી. ત્યાં યૂક્રેનના પૂર્વ ભાગમાં નાગરિકોને બહાર કાઢવા માટે ઉપયોગમાં લેવામાં આવી રહેલા રેલવે સ્ટેશન પર રશિયાના રોકેટ હુમલામાં 30થી વધુ લોકોના મોત અને 100થી વધુ લોકો ઘાયલ થયા હોવાનો દાવો યુક્રેન દ્વારા થયો છે.
યૂક્રેનના રેલવે પ્રમુખ ઓલેકસંડ્ર કેમિશિને મેસેજિંગ એપ ટેલિગ્રામ પર જણાવ્યું કે, શુક્રવારે ડોનેત્સ્ક ક્ષેત્રના ક્રામાતોર્સ્ક શહેરમાં આ હુમલો થયો હતો. પ્રાદેશિક ગવર્નર પાવલો કિરિલેન્કોએ જણાવ્યું હતું કે, હુમલા સમયે હજારો લોકો રેલવે સ્ટેશન પર હાજર હતા અને યુક્રેનના પૂર્વ ભાગમાં રશિયન દળોના હુમલા વચ્ચે સલામત વિસ્તારોમાં જવાની તૈયારી કરી રહ્યા હતા.
યુક્રેનના રેલવે વિભાગે નિવેદનમાં જણાવ્યું હતું કે, ક્રામાતોર્સ્ક શહેરમાં રેલવે સ્ટેશન પર બે રોકેટોએ હુમલો કર્યો હતો. ઓપરેશનલ ડેટા અનુસાર, ક્રામાતોર્સ્ક રેલવે સ્ટેશન પર રોકેટ હુમલામાં 30થી વધુ લોકો માર્યા ગયા હતા અને 100થી વધુ લોકો ઘાયલ થયા હતા.
બીજી તરફ રશિયાએ આ હુમલા અને જાનહાનિના અહેવાલો પર તાત્કાલિક કોઈ કોમેન્ટ કરી નથી. રશિયાએ 24 ફેબ્રુઆરીએ યુક્રેન પર હુમલો કર્યા પછી નાગરિકોને નિશાન બનાવવાનો ઇનકાર કર્યો હતો.
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ રશિયાને અસિમિત બદમાશ ગણાવ્યું હતું. રેલવે સ્ટેશન પર હુમલા બાદ સોશિયલ મીડિયા પર જાહેર કરવામાં આવેલા નિવેદનમાં ઝેલેન્સ્કીએ કહ્યું હતું કે, તેઓ નાગરિકોને નષ્ટ કરી રહ્યા છે. આ એવું અનિષ્ટ છે જેની કોઈ મર્યાદા નથી અને જો તેને સજા કરવામાં નહીં આવે તો તે કદી અટકશે નહીં.
આ પણ વાંચોઃ The girl’s body was found in Asaram ashram: આશારામના આશ્રમમાં ઉભેલી એક કારમાંથી છોકરીની લાશ મળતા હોબાળો- વાંચો શું છે મામલો?
ઉલ્લેખનીય છે કે, ડોનેત્સ્ક વિસ્તારમાં સ્થિત ક્રામાતોર્સ્ક શહેરમાં આવેલા જે ટ્રેન સ્ટેશન પર રશિયાએ મિસાઈલ હુમલો કર્યો છે, તે સ્ટેશનનો ઉપયોગ નાગરિકોને ભગાડવા કરાયો હતો.
ડોનબાસમાં રશિયા કરી શકે છે મોટો હુમલો
તાજેતરમાં યુક્રેનના તંત્રએ પૂર્વયુક્રેનના નાગરિકોને ડોનબાસ પ્રદેશ પર રશિયાના મોટા આક્રમણથી બચવા માટે આ છેલ્લી તક હોવાનું જણાવતા, ત્યાંના નાગરિકોમાં આ વિસ્તાર છોડવાની હોડ ચાલી રહી છે અને તેઓ ત્યાંથી બહાર નીકળવા માટે કપરા સંઘર્ષનો સામનો કરી રહ્યા છે.
આ દરમિયાન રશિયાએ પૂર્વ અને દક્ષિણમાં તેના સૈનિકોને ફરીથી તૈનાત કર્યા છે. તેનો હેતુ ઓક્યુપાઇડ ક્રિમિયા અને ડોનબાસમાં ડોનેત્સ્ક અને લુગાન્સ્કના રશિયાને સમર્થિત અલગતાવાદી રાજ્યો વચ્ચે જમીની સંપર્ક બનાવવાનો છે. તાજેતરમાં યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ તેમના રાત્રિના સંબોધનમાં જણાવ્યું હતું કે બુચામાં જે ભયાનકતા સામે આવી છે તે માત્ર શરૂઆત હોઈ શકે છે. બુચાથી માત્ર 30 કિલોમીટર દૂર બોરોદીયાંકા શહેરમાં જાનહાનિની સંખ્યા વધુ હોઈ શકે છે અને હાલત ભયાનક હોઈ શકે છે.