Domestic Violence: કોઈ એક ઘર એવું નથી કે જે ડોમેસ્ટિક વાયોલેન્સથી વાકેફ ન હોય!
“ડોમેસ્ટિક વાયોલેન્સ”(Domestic Violence)
હેલ્લો મિત્રો! Domestic Violence: આજે હું આવી છું આપના બધાંની વચ્ચે એક ટોપિક લઇને કે જેનું શીર્ષક છે: ” ડોમેસ્ટિક વાયોલેન્સ !” ઘર ઘરની વાત! એક નહીં બધાં જ ઘરે આ સામાન્ય સમસ્યા છે. કોઈ એક ઘર એવું નથી કે જે ડોમેસ્ટિક વાયોલેન્સથી વાકેફ ન હોય! નહીંતર એવી લોક કહેવત બંને જ નહીં કે,” ઘર હોય તો બે વાસણ ખખડે પણ ખરા!”
જ્યારે પતિ પત્ની ઘરે કોઈ પણ વાત પર કંકાસ કરે છે ત્યારે તે બંને માત્ર પોતાનો જ મૂડ ખરાબ નથી કરતાં પરંતુ પોતાની આસપાસના લોકોનો પણ મૂડ ખરાબ કરી નાંખતા હોય છે. એક વ્યક્તિ ઘર ચલાવવા માટે કમાય અને બીજી વ્યક્તિ ઘર સંભાળીને પોતાનું જીવન વ્યતિત કરતાં હોય છે કે જ્યાં એક જ વ્યક્તિનું આખા ઘરમાં રાજ ચાલતું હોય છે. તેને પોતાનાં ઘરમાં એવી રીતે રાજ કરવું હોય છે કે જાણે પોતે રાજા હોય અને બીજાં તેની પ્રજા નહીં પરંતુ તેનાં ગુલામ હોય! અને કોઈ વાત ન માને અથવા તો કોઇ વાત પર પોતાનું અલગ મંતવ્ય પણ જણાવે તો તે વ્યક્તિ જાણે તેની દુશ્મન બની જતી હોય છે અને તેની માટે પછી ઘરમાં ઊંચા અવાજે વાત કરીને પોતાની સરમુખત્યારશાહી સાબિત કરવા માંગતી હોય છે.
આ પણ વાંચો:- Work’s muhurt: સારું કામ કરવા માટે સારા સમય ની રાહ જોવાની જરૂર નથી
ઉપરાંત તે જ વ્યક્તિ પોતાની આ જ ધૂનમાં મારામારી પણ કરતી હોય છે જેથી તેની સિવાયનાં બધાં લોકો દબાવમાં રહે! છેક ડોમેસ્ટિક વાયોલેન્સ (Domestic Violence) સુધી વાત પહોંચી જાય તો પણ તેને ભાન નથી રહેતું કે તેને આવું ન કરવું જોઈએ અને બીજાં લોકો કે જે તેની સાથે રહે છે તે તેનાં સાથી છે તેમનાં મિત્ર છે; ન કે કોઇ ગુલામ! તેમનાં પર ઘર સંભાળી લેવાની વાત હોય છે અને જો તે પોતાનો મત નથી આપી રહ્યાં મતલબ કે મતભેદ થાય અને પોતાનું મંતવ્ય વ્યક્ત કરે તો તે ઘરનાં સારા માટે જ કરતાં હશે! કોણ પોતાનું ઘર ચાલતું હોય અને ચાલતી નાવમાં કાણું પાડવાની મૂર્ખતાભરી વાતમાં સાથ આપવાનું છે?
પતિ પત્ની સાથે રહીને પણ જો એકબીજાને સમજી ન શકે તો શું મતલબ છે? એવામાં પણ જો પતિ પત્ની ઘરમાં કોઈ પણ સમયે કજિયા કંકાસ કરે એટલે જો તેઓનું બાળક હોય તો તેમનાં ઝગડાની અસર સીધી તેમનાં બાળકનાં માનસિક સ્વાસ્થ્ય પર પડતી હોય છે. આ વાતની ખબર તે બંનેને હોય છે પણ સમજવા માટે કોઈ બેમાંથી એકેય તૈયાર નહીં થાય! પતિ પત્ની બંનેને સાથે રહેવાનું છે તો તેમને સમજવું જોઈએને! કોઈ બહારની વ્યક્તિ આવીને તેઓને સમજાવવાની કોશિશ કરશે તો તે પણ તેમને ત્રીજી વ્યક્તિની દખલઅંદાજી જેવું લાગશે!
શું આ ડોમેસ્ટિક વાયોલન્સ આપણે અટકાવી ન શકીએ? શું દરેક પરિણીત વ્યક્તિ (નર કે નારી) બંને એ સમજવાની જરૂર નથી? કે સમસ્યાના નિવારણ માટે ચર્ચા વિચારણા કરીને પણ ઉકેલ લાવી શકાય છે?! ઉપરાંત જરૂર જેવું લાગે તો પોતાનો ઘમંડ બાજુમાં મૂકીને વડીલોની પણ મદદ લઈ શકે છે જેથી વાતનું વતેસર જ ન થાય ને ઘરમાં શાંતિ જળવાઈ રહે!
આ સાથે, હું મારી કલમને વિરામ આપું છું, મળીશ હું નવા ટોપિક અને નવાં લેખ સાથે ખૂબ જ જલ્દી! ✍🏼પૂજા અનિલકુમાર પટેલ (ચીકી)