રાજકોટ જિલ્લાના ૨૫૯ ગામોમાં હજુ સુધી કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી
- રાજકોટ જિલ્લાના એવા ગામો જે પ્રેરણાનો રાહ ચીંધે છે
- રાજકોટ જિલ્લાના ૨૫૯ ગામોમાં હજુ સુધી કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી
- રાજકોટ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા કોરોના સંક્રમણને કાબૂમાં લેવા ડોર ટુ ડોર સર્વેલન્સની કામગીરી
અહેવાલ: નરેશ મહેતા, રાજકોટ
રાજકોટ,૧૪ સપ્ટેમ્બર:રાજકોટ જિલ્લામાં વધતા કેસો વચ્ચે હજુ પણ ઘણા ગામોમાં લોકોની જાગૃતિને લીધે કોરોનાનો પગપેસારો થયો નથી. રાજકોટ જિલ્લાના ૨૫૯ ગામમાં હજુ સુધી કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. રાજકોટ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા જિલ્લાના ગામડાઓમાં કોરોનાની લોકજાગૃતિ તેમજ ડોર ટુ ડોર સર્વેની કામગીરી અવિરત ચાલુ છે. રાજકોટ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. મિતેશ ભંડેરીએ જણાવ્યું હતું કે રાજકોટ જિલ્લાના ૨૫૯ ગામોમાં હજુ સુધી એક પણ કે કોરોનાનો નોંધાયો નથી.
રાજકોટ જિલ્લામાં કુલ ૫૯૦ ગામો છે જેમાંથી જિલ્લાના કુલ ૧૧ તાલુકામાં જ્યાં કેસ નોંધાયો નથી તેવા ગામોની સંખ્યા તાલુકા વાઈઝ જોઈએ તો રાજકોટ તાલુકાના ૪૩, લોધિકા તાલુકાના ૧૬, પડધરી તાલુકાના ૩૧, ગોંડલ તાલુકાના ૨૩,કોટડા સાંગાણી તાલુકાના ૨૨, ધોરાજી તાલુકાના પ, ઉપલેટા તાલુકાના ૨૬, જેતપુર તાલુકાના ૭, જામકંડોરણા તાલુકાના ૨૨,જસદણ તાલુકાના ૨૮ અને વિંછીયા તાલુકાના ૩૬ મળીને કુલ ૨૫૯ ગામમાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી.
માર્ચ મહિનાથી અત્યાર સુધી સપ્ટેમ્બર દરમિયાન પણ આ ગામમાં કોરોનાનો કેસ ફરક્યો નથી તેની પાછળનું કારણ ગામ લોકોની જાગૃતિ ઉપરાંત ભીડભાડવાળા સંક્રમિત વિસ્તારોમાં આ ગામના લોકોની નહિંવત અવરજવર, સરકારશ્રીની માર્ગદર્શિકા અનુસાર સોશિયલ ડિસ્ટન્સિગ તેમજ જરૂરી લેવાયેલા પગલા છે.