રાજકોટ: એઇમ્સના નિર્માણથી ગુજરાતના દર્દીઓને ગુજરાત બહાર નહિ જવું પડે,

- એક જ સ્થળે અનેકવિધ રોગની ઉચ્ચ કોટિની સારવાર નજીવા દરે પ્રાપ્ત થશે
- એઇમ્સ એટલે વિશ્વની શ્રેષ્ઠ ટેક્નોલોજી અને અદ્યતન સાધનોથી સુસજ્જ સંસ્થા અહીં તબીબી ક્ષેત્રના શ્રેષ્ઠ ડોકટરોની ટીમ આપશે સેવા
અહેવાલ: રાજકુમાર સાપરા, રાજકોટ
રાજકોટ, ૨૯ ડિસેમ્બર: રાજકોટ-એઇમ્સના નિર્માણથી ગુજરાતના દર્દીઓને ગુજરાત બહાર નહિ જવું પડે,કારણ કે અહીં તેમને મળી રહેશે શ્રેષ્ઠ સારવાર. એઇમ્સના ડેપ્યુટી ડિરેક્ટર શ્રમદીપ સિંહાના જણાવ્યા મુજબ કોઈ પણ ગંભીર રોગના દર્દીઓને સારામાં સારી સારવાર અહીં જ ઉપલબ્ધ થતાં તેમને અન્ય એઇમ્સ કે મલ્ટીપલ સુપરસ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે જવાની જરૂર નહીં પડે.
આ સાથે એઇમ્સમાં કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના પણ લાભ દર્દીઓને આપવામાં આવશે. દવા તેમજ સ્ટેન્ટ સહીત સર્જરીની અનેક વસ્તુ કેન્દ્રના નિયત દરે દર્દીઓને ઉપલબ્ધ થતા નજીવા દરે દર્દીઓને સારવાર પુરી પાડવામાં આવશે.

રાજકોટ એઇમ્સ ખાતે ટ્રોમા, જનરલ સર્જરી, હૃદય, ગાયનેક, ટીબી, કિડની, મગજ સહિતના ગંભીર રોગની સારવાર ઉપલબ્ધ થશે.
મેગા સિટીના નિર્માણની જેમ એઇમ્સ ક્લસ્ટર ૧,૫૧,૮૦૦ સ્કવેર મીટરમાં ફેલાયેલું રહશે, જેના માટે ખુબ વિશાળ સંખ્યામાં વિવિધ સ્થળોએ બાંધકામ કરવામાં આવશે, તેમ એઇમ્સના ડેપ્યુટી ડિરેક્ટરશ્રી શ્રમદીપ સિંહાએ જણાવ્યું છે.તબીબી સારવાર માટે જરૂરી હોસ્પિટલ્સ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર તેમજ શૈક્ષણિક ભવનોના નિર્માણની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે. રાજકોટ એઇમ્સ ખાતે હોસ્પિટલ્સ, ઓડિટોરિયમ, ગેસ્ટ હાઉસ, પી.જી.યુ.જી. હોસ્ટેલ, ડાઇનિંગ હોલ, નર્સિંગ સ્ટુડન્ટ્સ હોસ્ટેલ સહીત અનેક બ્લોક્સ તૈયાર કરવામાં આવશે.
૭૧ હજાર સ્કવેર મીટરમાં ૭૫૦ બેડની હોસ્પિટલ નિર્માણ પામશે. ૨૨,૫૦૦ સ્કવેર મીટરમાં મેડિકલ કોલેજ, નર્સિંગ કોલેજ અને એડમીન બિલ્ડીંગ તૈયાર કરાશે. ૨૫૦૦ સ્કવેર મીટરમાં ઓડિટોરિયમ તેમજ કોન્ફરન્સ હોલ, ૩૭૦૦ સ્કવેર મીટરમાં ૨૫૦ વ્યક્તિના સમાવેશ સાથેનું નાઈટ શેલ્ટર, ૬૫૦ સ્કવેર મીટરમાં ૧૪ રૂમનું ગેસ્ટ હાઉસ, ૧૨૦૦૦ સ્કવેર મીટર થી વધુ એરિયા માં વિવિધ કેટેગરીના આવાસ તૈયાર કરવામાં આવશે. ૭૪૦૦ સ્કવેર મીટરમાં ૩૧૨ વિદ્યાર્થીઓની ક્ષમતાની પી.જી. હોસ્ટેલ, ૫૭૫૦ સ્કવેર મીટરમાં ૨૪૦ ગર્લ્સ અને ૨૪૦ બોયઝની ક્ષમતાની યુ.જી. હોસ્ટેલ, ૧૭૩૦ સ્કવેર મીટરમાં ડાઇનિંગ હોલ, ૪૦૦૦ સ્કવેર મીટરમાં વર્કિંગ નર્સિંગ હોસ્ટેલ અને ૪૫૦૦ સ્કવેર મીટરમાં ૨૮૮ નર્સિંગ છાત્રોની હોસ્ટેલ નિર્માણ થશે. ૨૫૦ સ્કવેર મીટરમાં શોપિંગ કોમ્પ્લેક્સ અને રેસ્ટોરન્ટ ઉપરાંત રમતગમત પ્રવૃત્તિ માટે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું નિર્માણ પણ હાથ ધરાશે તેમ શ્રમદીપ સિંહાએ વધુ વિગત આપતા જણાવ્યું હતું.

રાજકોટ ખાતે એઇમ્સનું ઈ-ખાતમુર્હત – સમગ્ર કાર્યક્રમને આખરી ઓપ… તડામાર તૈયારી
રાજકોટ ખાતે એઇમ્સનું ઈ-ખાતમુર્હત ૩૧ મી ડિસેમ્બરના રોજ સવારે ૧૦.૦૦ કલાકે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં યોજાશે. પરાપીપળીયા અને ખંઢેરી ગામ પાસે એઇમ્સના સ્થળે આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલ, મહામહિમ રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત રાજકોટ ખાતે ઉપસ્થિત રહેવાના હોઈ વહીવટી તંત્ર તેમજ એઇમ્સના સભ્યો દ્વારા તડામાર તૈયારી હાલ ચાલી રહી છે. સ્ટેજ પાસે લેવલીંગ તેમજ રસ્તાનું કામ હાલ પુરજોશમાં ચાલી રહ્યું છે.
આ પણ વાંચો….
- આરોગ્ય વનમાં ઔષધ માનવ આકર્ષણનું કેન્દ્ર, યુવાઓ માટે બન્યુ રોજગારીનો સ્ત્રોત
- નવી સોલાર પોલિસી-ર૦ર૧ જાહેર કરતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી