How to grow millet: પોષકતત્વોનો ખજાનો બાજરો: જાણો પ્રાકૃતિક ખેતીથી બાજરો ઉગાડવાની રીત
How to grow millet: પ્રાકૃતિક કૃષિ ‘લેખમાળા-૩૬ : સુરત જિલ્લો’
ઓછા પાણીમાં પણ સારી રીતે ઉગી શકતો બાજરો: પ્રાકૃતિક ખેતીથી ઉગાડવામાં આવતાં બાજરાની માંગમાં થઈ રહ્યો છે સતત વધારો
બાજરાની વાવણી સામાન્ય રીતે ચોમાસાની શરૂઆત સાથે કરવામાં આવે છે, જ્યારે જમીનમાં ભેજ પૂરતો હોય છે

સુરત, 11 ઓગસ્ટ: How to grow millet: રાજ્યના રાજ્યપાલ તેમજ મુખ્યમંત્રી પ્રાકૃતિક કૃષિને વેગ આપવા માટે ખેડૂતોને સતત પ્રોત્સાહિત કરી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસોથી આજે પોષક તત્વો અને ઉર્જાથી ભરપૂર આ પ્રાચીન અનાજના મહત્વને વિશ્વએ જાણ્યું છે. અને તેને “શ્રીઅન્ન” (મિલેટસ) થી ઓળખવામાં આવે છે. રાજ્ય સરકારના સક્રિય પ્રયાસોથી આજે રાજ્યના ખેડૂતો મિલેટ ધાન્યોના ઉત્પાદન કરવા પ્રેરાય રહ્યા છે. ધાન્યોને સુપરફૂડ માનવામાં આવે છે. મિલેટ્સમાં જુવાર, બાજરો, રાગી, કોદરો, કુટકી, કંગની, ચેના, સાંવા વગેરેનો સમાવેશ થાય છે. આ ધાન્યો અસંખ્ય સ્વાસ્થ્ય લાભ પણ પ્રદાન કરે છે.
આજે આપણે જાણીશું કે પ્રાકૃતિક ખેતીથી કેવી રીતે બાજરાનું વાવેતર કરી શકાય…પ્રાકૃતિક ખેતી દ્વારા બાજરો ઉગાડવો એ પરંપરાગત અને ઇકો-ફ્રેન્ડલી પદ્ધતિ છે જે જમીનની ફળદ્રુપતા જાળવી રાખે છે એટલું જ નહીં પરંતુ પાકની ગુણવત્તા અને પોષક મૂલ્યમાં પણ વધારો કરે છે. બાજરો દુષ્કાળ સહનશીલ પાક છે અને ઓછા પાણીમાં પણ સારી રીતે ઉગી શકે છે, જે તેને પ્રાકૃતિક ખેતી માટે યોગ્ય બનાવે છે.
આ માટે સૌ પ્રથમ તો ખેતરને રાસાયણિક ખાતરો અને જંતુનાશકોથી મુક્ત કરવું જોઈએ જેથી જમીનની જૈવિક પ્રવૃત્તિ જળવાઈ રહે. છાણિયું ખાતર, જીવામૃત, બીજમૃત અને ઘનજીવનામૃત જેવા જૈવિક ખાતરોનો ઉપયોગ જમીનની ફળદ્રુપતા વધારવા અને પાકને રોગોથી સુરક્ષિત રાખવા માટે કરવામાં આવે છે.
આ પણ વાંચો:- Aatmanirbharata in Defence Sector: સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભરતા વિષય પર સેમિનાર
How to grow millet: બાજરાની વાવણી સામાન્ય રીતે ચોમાસાની શરૂઆત સાથે કરવામાં આવે છે, જ્યારે જમીનમાં ભેજ પૂરતો હોય છે. બીજને વાવણી પહેલાં બીજ અમૃતમાં પલાળીને રાખવાથી રોગો સામે લડવાની તેમની ક્ષમતામાં વધારો થાય છે. બિયારણને સીધી હરોળમાં અથવા વાવણી માટે છંટકાવ પદ્ધતિ દ્વારા રોપવામાં આવે છે, જેનાં કારણે પાકનું નિરીક્ષણ અને નિંદણ સરળ બને છે. સિંચાઈની જરૂરિયાત ખૂબ જ ઓછી છે અને મોટાભાગે વરસાદને કારણે તે પૂરી થાય છે, પરંતુ જ્યારે જરૂર પડે ત્યારે પાણી આપી શકાય છે.

નીંદણ નિયંત્રણ માટે રાસાયણિક દવાઓને બદલે હાથેથી નીંદણ કરવું અથવા મલ્ચિંગ જેવા પગલાંનો ઉપયોગ કરવામાં આવે છે. જંતુઓથી બચાવવા માટે લીમડાનું દ્રાવણ, છાશ, લસ્સી અથવા ગૌમૂત્ર જેવા કાર્બનિક અર્કનો છંટકાવ કરવામાં આવે છે. પાક પાક્યા પછી પાકની કાપણી થાય છે. કાપણી કર્યા પછી, અનાજને તડકામાં સૂકવીને સંગ્રહિત કરવામાં આવે છે.
આ સમગ્ર પ્રક્રિયામાં માત્ર પર્યાવરણની જ સુરક્ષા નથી થતી પરંતુ ખેડૂતોનો ખર્ચ પણ ઓછો થાય છે. કેમિકલના કારણે થતાં આરોગ્યના નુકસાનમાંથી પણ લોકોને બચાવી શકાય છે. પ્રાકૃતિક ખેતીથી ઉગાડવામાં આવતાં બાજરામાં સ્વાદ અને પોષણની માત્રા પણ વધુ હોય છે, જેનાં કારણે બજારમાં તેની માંગ પણ વધી રહી છે.
પ્રાકૃતિક ખેતીથી બાજરાની ખેતી વિશે આપણે જાણ્યું, આગામી આર્ટીકલમાં આપણે જાણીશું કે મેદસ્વિતાને અંકુશ કરવા માટે બાજરો કેવી રીતે મદદરૂપ થાય છે અને બાજરામાંથી બનાવેલી વિવિધ વાનગીઓથી આપણાં આરોગ્યને થતાં ફાયદાઓ વિશે માહિતી મેળવીશું.