જામનગર મુંબઈ વચ્ચે હવે સપ્તાહમાં ચાર વખત ફ્લાઇટ ઉડાન ભરશે
અહેવાલ: જગત રાવલ, જામનગર
જામનગર, ૧૪ ઓક્ટોબર: જામનગર થી મુંબઈ વચ્ચે હવાઈ મુસાફરી કે જે અત્યાર સુધી સપ્તાહમાં બે વખત જ ઉડાન ભરતી હતી. તે હવે બમણી થઇ છે, અને હવે અઠવાડિયામાં ચાર વખત ઉડાન ભરશે. જેથી જામનગર થી મુંબઈ ના મુસાફરોને વધુ સગવડતા પ્રાપ્ત થશે.
લોક ડાઉન ના સમયગાળા દરમિયાન મુંબઈ થી જામનગર વચ્ચેનો સંપુર્ણ વ્યવહાર થંભી ગયો હતો, અને મુંબઈ -જામનગર વચ્ચે ની એકમાત્ર ફ્લાઇટ પણ રોકી દેવાઇ હતી. તે પછી ફ્લાઇટ શરૂ કરવાની જામનગર જિલ્લાના સાંસદ પૂનમબેન માડમ દ્વારા માંગણી કરવામાં આવી હતી, અને કેન્દ્રના ઉડ્ડયન મંત્રાલય સમક્ષ રજૂઆત કરાયા પછી સપ્તાહમાં બે વખત ફ્લાઇટ શરૂ કરાઇ હતી.
જેમાં હવે વધારો થયો છે અને સોમવાર, બુધવાર, શુક્રવાર, અને રવિવારે સપ્તાહમાં ચાર દિવસ ફ્લાઇટ આવન-જાવન કરશે. મુંબઈ થી જામનગર અને જામનગર થી મુંબઈ સપ્તાહમાં ચાર વખત આવશે,અને ઉપડશે.