Gujarat covid-19: રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેરની શક્યતાઃ નમસ્તે ટ્રમ્પ બાદમાં હવે ટી-20 ક્રિકેટ બન્યું ગુજરાતમાં સંક્રમણનું કારણ…?
ગાંધીનગર, 18 માર્ચઃ ગુજરાતમાં ફરી એકવાર કોરોના વિસ્ફોટ થયો છે અને ૯૦ દિવસના અંતરાલ બાદ ૧૧૨૨ કેસ (Gujarat covid-19) નોંધાયા છે. છેલ્લાં ૨૪ કલાકમાં સુરતમાં સૌથી વધુ ૩૪૫ અને અમદાવાદમાં ૨૭૧ કેસ નોંધાયા છે. આ ઉપરાંત અમદાવાદ, સુરત અને વડોદરામાં એક-એક એમ ત્રણ કોરોના દર્દીના મોત થયા છે. ૧૧૨૨ નવાં કેસો સામે આજે ૭૭૫ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં હવે નવાં કેસોની સામે ડિસ્ચાર્જનું પ્રમાણ પણ ઘટી રહ્યું છે. આજે સુરતમાં ૩૪૫, અમદાવાદમાં ૨૭૧, વડોદરામાં ૧૧૪ અને રાજકોટમાં ૧૧૨ કેસ નોંધાયા છે.
ગાંધીનગરમાં ૨૪, ભરૂચમાં ૨૧, ભાવનગરમાં ૨૦, મહેસાણામાં ૧૯, જામનગરમાં ૧૯, ખેડામાં ૧૮, પંચમહાલમાં ૧૮, કચ્છમાં ૧૪, આણંદમાં ૧૩, દાહોદમાં ૧૨, જૂનાગઢમાં ૧૨, નર્મદામાં ૧૨ અને સાબરકાંઠામાં ૧૦ કેસ નોંધાયા છે. આ સિવાયના તમામ જિલ્લાઓમાં ૯ કે તેથી ઓછાં કેસ નોંધાયા છે. આજે અમદાવાદ, સુરત અને વડોદરામાં એક-એક કોરોના દર્દીના મૃત્યુ થયા છે અને રાજ્યનો કુલ મૃત્યુઆંક ૪૪૩૦ થયો છે. ઉલ્લેખનીય છે કે આ મૃત્યુઆંક માત્ર અને માત્ર કોરોના(Gujarat covid-19)ના કારણે મૃત્યુ પામતા દર્દીઓનો જ છે. કો-મોર્બિડ દર્દીઓ એટલે કે કોરોના સિવાયની કોઇ બિમારી હોય અને દર્દીનું મૃત્યુ થાય તો તેવાં મોતને સરકાર દ્વારા કોરોનાથી થયેલું મૃત્યુ ગણવામાં આવતું નથી અને તેનાં આંકડા જાહેર કરવામાં આવતા નથી. નવાં ૧૧૨૨ કેસની સામે આજે ૭૭૫ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે અને કુલ ડિસ્ચાર્જનો આંક ૨,૭૧,૪૩૩ થયો છે. હાલની પરિસ્થિતે રાજ્યમાં એક્ટિવ કેસોની સંખ્યા ૫૩૧૦ છે, જે પૈકી ૬૧ દર્દી વેન્ટિલેટર પર અને ૫૨૪૯ દર્દીઓ સ્ટેબલ છે અને રાજ્યનો રિકવરી રેટ ૯૬.૫૪ છે.
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ક્રિકેટ મેચના આયોજનમાં એકઠી થયેલી લાખોની મેદની બાદ આ પરિસ્થિત સર્જાઇ છે. ગુજરાત ક્રિકેટ એસોસિએશન અને રાજ્ય સરકારને પણ અંતે બ્રહ્મજ્ઞાાન લાધતા હવે વિવિધ નિયમો અને પ્રતિબંધો જાહેર થઇ રહ્યા છે, પરંતુ હવે સમય વીતી ચૂક્યો છે અને જનતા ફરી રાત્રિ કરફ્યૂ અને વિવિધ નિયમોના વમળમાં ફરી સપડાઇ છે.
એક વર્ષ પહેલાં ફેબુ્રઆરી-૨૦૨૦માં મોટેરા વિસ્તારમાં આવેલા આ જ સ્ટેડિયમમાં તત્કાલિન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને બોલાવી મોટો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. ત્યારે સ્ટેડિયમ અને ટ્રમ્પના આગમનના કારણે અમદાવાદમાં રાજ્યભરમાંથી લાખો લોકો એકઠાં થયા હતા. આ સમયે ભારતમાં કોરોના પ્રવેશી ચૂક્યો હતો અને મહામારીનો ભય તોળાતો હોવા છતાં મોટાપાયે આ આયોજનને યથાવત્ રાખવામાં આવ્યું હતું. આ આયોજનના ત્રણ અઠવાડિયા બાદ ગુજરાત કોરોનામાં સપડાયું હતું અને લોકડાઉનના કાળા દિવસો શરૂ થયો હતો. જો કે આ ઘટનામાંથી સરકારે કોઇ બોધપાઠ લીધો ન હોય તેમ ફરી આ જ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ક્રિકેટ મેચોનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો…