True story of life: આંગળી ચીંધ્યાનું પુણ્ય!
True story of life: પુરુષની આંખમાં બેઠેલું ઝળહળીયુ, સ્ત્રીના બારે મેઘ કરતા વધુ ભીનું હોય છે! માથું નમે તો આશીર્વાદ મળે, મન નમે તો આશીર્વાદ ફળે!
True story of life: માનવ જીવનના અમૂલ્ય વૈભવ સમી વાતો પૈકી આ લોકવાર્તામાં જીવન ઘડતરની વાતો છે, કાનજી ભુટા બારોટના જીવનમાં બનેલી એક સત્ય ઘટના છે. ધીમે ધીમે સૂરજ નારાયણ આથમણી દિશામાં પોઢી ગયા. વાળુ પાણી કરી ટીંબલા ગામને ચોરે લોકોની ભીડ જામવા લાગી. સૌ કોઈ પોતપોતાનાં મિત્રો, સ્નેહીઓની આસપાસ ગોઠવાવા લાગ્યા. ત્યાં તો ડાયરો જેની રાહ જુએ છે એ કાનજીભાઈ હાથમાં જંતર લઈ પધાર્યા.
પગ પર પગ ચડાવ્યો. જંતરની ચાવીઓ ચડાવી તારનો ઝીણેરો ઝણકાર કર્યો. ઝણકાર ચાલુ રહ્યો ને જાણે કોકની રાહ હોય એમ આડા–અવળી નજર કરતા જંતરની ચાવીઓ ઉતાર ચડાવ કર્યા કરી અને ત્યાં તો પાંચ હાથ પુરી કદાવર આકૃતિ કળાણી. ભરાવદાર ચહેરા પર પૂળો એક મૂછો તેની ગરવાઈ દેખાડતી હતી.
તમામ ડાયરાને “રામ રામ” કહી સૌની આગળ બેઠા. એ હતા ગામના ગામ ધણી જેઠસુર બાપુ. તેઓ શિકાર કરવાના ભારે શોખીન હતા. એમનું અચૂક નિશાન ઊડતા પંખી પાડે દે એવું. જેઠસુર બાપુનું વ્યક્તિત્વ જ એવું કે સૌ કોઈ એમની મરજાદ (માન મર્યાદા)પાળે. એમનું વેણ કોઈ ઉથાપી ના શકે. એ બોલે એ બ્રહ્મ વાક્ય.
પોતે પણ ગામ આખાની, માવતર જેવી જ માવજત કરે, પરંતુ એમનું હૈયુ ગામના બારોટ કાનજીભાઈ ઉપર વિશેષ રાજીપો ઠાલવે. એટલે તો રોજ રાત જામે ને ચોરે કાનજીભાઈની વાર્તાઓ જામે. કલા પારખું જેઠસુર બાપુ, ‘ભલે બાપ’, ‘ખમ્મા બાપ’, ‘ જે હો, જે હો’ પડકાર કરે ને કાનજીભાઈનું જંતર ઝૂમી ઊઠે. વાતુમાં જોરદાર જમાવટ થાય.
‘‘હો ઓ…’’નો આલાપ કરી કાનજીભાઈએ વાર્તા માંડી: “રજપૂતનાં લગ્ન થયાને ઘેર ખૂબ સ્વરૂપવાન રજપૂતાણી આવ્યા. ઘરમાં ખાવા–પીવા પૂરતી સગવડ પણ, વધુ કમાવવાની આશા સાથે રાજપૂત પરદેશ ગયા. રજપૂતાણી ઘરમાં સાવ એકલા એટલે સમય વીતાવવા એક જંતર (બીન, વાજિંત્ર) તૈયાર કર્યું. ધીમે ધીમે બીન બજાવવામાં રજપૂતાણી ભારે પાવરધા થઈ ગયા. તેમના બીન પર પતિના વિરહના સૂર છેડ્યા કરતા.
હવે થયું એવું કે બાજુના જંગલમાંથી એક મૃગ (હરણ) આ બીન સાંભળવા દરરોજ આવવા લાગ્યું. એ કસ્તુરી મૃગ હતું. બીન સાથે મૃગલાને ભારે હેત જાગ્યું. રોજ રજપૂતાણી બીન વગાડે ને મૃગલો સાંભળ્યા કરે. આવડા મોટા ઘરમાં એકલી રજપૂતાણી મૃગલાનો સથવારો મળ્યો. તેને મૃગલો માડી જાયો વીર (માં એ જણ્યો ભાઈ ) લાગવા માંડ્યો. બીન સાંભળવા મૃગલો રોજ આવી અને કસ્તુરીનો એક ગોટો મૂકતો જાય.
આમને આમ બાર વરસ વીતી ગયા. બાર વરસની ભેગી થયેલી કસ્તુરી રજપૂતાણીએ એક સાથે વેચી ત્યારે અઢળક ધન મળ્યું. રજપૂતાણીએ જૂનું મકાન પડાવી નાખી નવું આલિશાન મકાન તૈયાર કરાવ્યું. ઘરમાં ચારેય કોર વૈભવ ને સમૃદ્ધિ છલકાય. હવે રજપૂતાણી પરદેશ ગયેલા પતિની રાહ જોવા લાગી. મનમાં વિચારતી કે પતિ આવે ત્યારે એને બીન સંભળાવીને રાજીના રેડ કરી દેવા છે.
રાજપુત પણ સારુ એવુ ધન કમાઈને ગામ આવવા નીકળ્યા. પણ ઘરે પાછા ફરેલા રજપૂત ઘરનો વૈભવ જોઈ વહેમવશ વિચારે ચડ્યા. કહ્યુ છે ને કે વહેમનું કોઈ ઓસડ નથી (પ્રેમમાં વહેમ બજાવી દે ગેમ). સૂવાનો ડોળ કરીને રાજપૂત તો સૂઈ ગયા. રજપૂતાણીએ ઘરની ઓસરીમાં બીન વગાડવાનું શરૂ કર્યું. રોજની જેમ પેલો મૃગલો આવી પહોંચ્યો. મૃગને કોઈ પુરુષ સમજી, શંકામાં ભડભડ બળી રહેલા ૨જપૂતે તે મૃગલાને બાણથી વીંધી નાંખ્યો.
વચ્ચે વાર્તા અટકી. કાનજીભાઈએ પાણીનો ઘૂંટડો પીધો. જેઠસુર બાપુ સામે સૂચક આંખ માંડી ને વળી વાર્તાને આગળ વધારી. “રજપૂતાણીના મોંમાંથી ચીસ નીકળી ગઈ. દોડીને મૃગના મસ્તકને ખોળામાં લઈ કહેવા લાગી : ‘‘મારા વીર, ભાઈ તે મારો બાર બાર વરસ સથવારો કર્યો, મારું જંતર સાંભળ્યું,
તારી આ ભૂંડી દશા કોણે કરી ?’’ મૃગ હેતભરી નજરે બહેન સામે તાકી રહ્યું. મૃગનો અંતિમ સમય જાણે નજીક હતો. એનો આત્મા કહેવા લાગ્યો : “બહેન, જ્યાં સુધી મારામાં પ્રાણ છે ત્યાં સુધી તારું બીન બજાવ, મારા આત્માને ટાઢક થાશે !” દયામણા ચહેરા સાથે બહેનના ખોળામાં મૃગલાએ અંતિમ શ્વાસ લીધા.
આ કરુણ દુર્ઘટનાથી રજપૂતને ભારે પસ્તાવો થયો પણ જેમ છુટેલુ તીર અને બોલેલુ વેણ પરત ફરતુ નથી એમ હવે ઘણું મોડુ થઈ ગયુ હતુ. તે દિવસથી રજપૂતાણી રોજ મૃગને યાદ કરતાં બીન વગાડે અને રજપૂતની આંખમાંથી ડળક–ડળક આંસુ ઝરે. વીંધેલા વીંધાય, અણવીંધ્યા વનમાં ફરે, તું તારું બીન બજાવ, મારો જીવતા આતમ ઠરે”
કાનજીભાઈના ગળામાં વિરહનો વીરડો ફૂટ્યો. એક પછી એક દુહા લલકારતા જાય છે. મૃગ અને રાજપૂતાણી કરૂણ સંવાદને કાનજીભાઈએ એવી રીતે રજૂ કર્યા કે ત્યાં બેઠેલા સૌ કોઈના હૈયા દ્રવી ઉઠ્યા. પણ એક હૈયું તો જાણે હીંબકે ચડ્યું. એ હૈયું હતું જેઠસુર બાપુનું ! મરણ ઝોલા ખાતા મૃગના દયામણા ચહેરામાં પોતે કરેલા કેટલાય શિકારના મોં દેખાયા. કાળમીંઢ પથ્થર જેવું હૈયું જાણે મીણ થઈ ગયું. મનોમન કંઈક નક્કી કરી ઊભા થયા.
કાનજીભાઈની પાસે જઈને ભેટી પડ્યા ને બોલ્યા : “ધન્ય બાપ, તમે તો મારી આંખ ઉઘાડી નાંખી ભાઈ. મારા શોખને લીધે મેં કેટલાય અબોલ પશુ પક્ષીઓને વીંધ્યા છે, પણ કાનજીભાઈ, આજે તમે તો મારો આત્મા વીંધ્યો.’’ જેઠસુર બાપુની આંખોમાંથી આંસુ છલકાયા. હથેળીમાં જળ લઈ બાપુએ પ્રતિજ્ઞા કરી કે ‘‘આજથી કોઈ મૂંગા જાનવરનો શિકાર નહીં કરું અને જો કરું તો મને સૂરજ નારાયણની આણ્ય.’’
કલાકારનું કામ માત્ર મનોરંજન પીરસવું એ નથી. પણ લોકોના હૈયા સુધી પહોંચી લોકશિક્ષણ આપવાનું પણ છે. લોકવાર્તાના માધ્યમથી કોઈનું હૃદય પરિવર્તન થયું હોય એવી આ વાત ખૂબજ ગર્ભિત અને પ્રાસંગિક ઉપદેશ એ આપે છે કે, તનથી માર્યા જ માર્યા ન કહેવાય : આપણા કવેણ કે અપશબ્દોનો ઉપયોગ કેટલાયને રોજ મારતો હશે ને અમુકના જોમ-જુસ્સા ભર્યા સુવિચારો પણ ઘણાંને વાલિયા લૂંટારામાંથી મહાન વાલ્મીકિ બનાવી શકે છે. વાણી ને પાણીથી ઉજાણી કરવી, ચડામણી નહીં.