Gujarat Bio CNG

Gujarat Bio CNG: બનાસ બાયો CNG મોડલ બન્યું રાષ્ટ્રીય ઉદાહરણ

  • Gujarat Bio CNG: બાયો સીએનજી પ્લાન્ટ્સને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત સરકારે સ્ટેટ બજેટમાં ₹60 કરોડની જોગવાઈ કરી છે
  • બાયો સીએનજી ગેસ અને જૈવિક ખાતરના વેચાણથી પ્લાન્ટ દીઠ વાર્ષિક આશરે ₹12 કરોડની આવક થવાનો અંદાજ
  • આ પ્રોજેક્ટથી દર વર્ષે કાર્બન ઉત્સર્જનમાં લગભગ 6750 ટનનો ઘટાડો, ‘ગ્રીન ગુજરાત’ ના સંકલ્પને મળશે વેગ

ગાંધીનગર, 26 માર્ચ: Gujarat Bio CNG: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘વેસ્ટ ટુ વેલ્થ’, આત્મનિર્ભર ભારત અને હરિત ઊર્જાના વિઝનને સાકાર કરીને ગુજરાતનું વિકાસ મોડલ હવે રાષ્ટ્રીય સ્તરે એક સફળ ઉદાહરણ તરીકે ઉભર્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં વિકસિત કરવામાં આવેલ બનાસ બાયો-સીએનજી પ્લાન્ટ મોડલને કેન્દ્રીય જળશક્તિ મંત્રાલય અને કેન્દ્રીય સહકારિતા વિભાગના સંયુક્ત પ્રયાસો થકી દેશના લગભગ 15 રાજ્યો પોતાને ત્યાં અમલી કરવાની દિશામાં આગળ વધી રહ્યા છે. બનાસ ડેરી દ્વારા વિકસિત આ પ્રોજેક્ટ ગાયના છાણ જેવા જૈવિક કચરાને સ્વચ્છ બળતણ અને જૈવિક ખાતરમાં રૂપાંતરિત કરીને ગ્રામીણ અર્થતંત્રની તસવીર બદલી રહ્યો છે.

બાયો સીએનજી (Gujarat Bio CNG) માટે ગુજરાત સરકાર દ્વારા બજેટમાં ₹60 કરોડની ફાળવણી

Gujarat Bio CNG

ગુજરાત સરકારે આ નવીન પહેલની વ્યાપક સંભાવનાઓને ધ્યાનમાં રાખીને બાયો સીએનજી સેક્ટરને પોતાની બજેટની પ્રાથમિકતાઓમાં ટોચ પર રાખ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે સહકારી દૂધ ઉત્પાદન મંડળીઓ દ્વારા નવા પ્લાન્ટ સ્થાપિત કરવા માટે ₹60 કરોડની વિશેષ જોગવાઈ કરી છે. બજેટમાં આ જોગવાઈ કરવાનો ઉદ્દેશ ડેરી ક્ષેત્રને સ્વચ્છ ઊર્જા ઉત્પાદનનું કેન્દ્ર બનાવવાનો અને ગ્રામીણ અર્થતંત્રને આત્મનિર્ભર બનાવવાનો છે. ઉલ્લેખનીય છે કે, આ યોજના હેઠળ રાજ્યમાં તબક્કાવાર રીતે લગભગ 10 બાયો સીએનજી પ્લાન્ટ સ્થાપિત કરવાનો પ્લાન પ્રસ્તાવિત છે.

ખેડૂતો, ઉદ્યોગો અને પર્યાવરણ જાળવણી માટેનું ‘વિન-વિન’ સંયોજન છે બનાસ બાયો-સીએનજી પ્લાન્ટ મોડલ

બનાસકાંઠામાં દૈનિક 40 મેટ્રિક ટન ગોબર પ્રોસેસિંગની ક્ષમતાવાળો બનાસ બાયો-સીએનજી પ્લાન્ટ છેલ્લા 6 વર્ષોથી સફળતાપૂર્વક કાર્યરત છે, જે એક સાબિત થયેલું મોડલ છે. તેની સફળતાથી પ્રેરિત થઈને બનાસકાંઠામાં 5 મોટા બાયો-સીએનજી પ્લાન્ટ શરૂ કરવા માટે કામ ચાલી રહ્યું છે. હાલમાં, આયોજિત 5 પ્લાન્ટ્સમાંથી 2 પ્લાન્ટ્સ કાર્યરત થઈ ગયા છે, જ્યારે ત્રીજો પ્લાન્ટ પૂરો થવાના અંતિમ તબક્કામાં છે.

દરેક પ્લાન્ટ દૈનિક લગભગ 100 મેટ્રિક ટન (1 લાખ કિલો) છાણને વૈજ્ઞાનિક પદ્ધતિથી પ્રોસેસ કરે છે. આશરે ₹50-55 કરોડના ખર્ચે નિર્મિત આ પ્લાન્ટ આધુનિક ટેક્નોલોજી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું ઉત્તમ ઉદાહરણ છે, જે સાબિત કરે છે કે ઇકોલોજી અને ઇકોનોમી કેવી રીતે એકબીજાને સમાંતર ચાલી શકે છે, અને કેવી રીતે પર્યાવરણ સંરક્ષણ, ખેડૂતોની સમૃદ્ધિ અને ઔદ્યોગિક પ્રગતિ આ ત્રણેય એકસાથે શક્ય બની શકે છે.

આ પણ વાંચો:- Organic Farming Gujarat: પ્રાકૃતિક ખેતી અપનાવવી જ પડશે: રાજ્યપાલનું નિવેદન

પશુપાલકો માટે બાયો-સીએનજી પ્લાન્ટ (Gujarat Bio CNG) બની રહ્યો છે વધારાની આવકનો સ્ત્રોત

બનાસકાંઠામાં સ્થાપિત બાયો-સીએનજી પ્લાન્ટ્સ આશરે 20 કિલોમીટરની ત્રિજ્યામાં આવેલા 20-25 ગામોના પશુપાલક પરિવારોને આવરી લે છે, જેઓ નિયમિતપણે છાણનો પુરવઠો પૂરો પાડે છે. ખેડૂતોને છાણ માટે પ્રતિ કિલોગ્રામ ₹1 ચૂકવવામાં આવે છે, જે અંદાજે 400-450 પશુપાલક પરિવારોને વધારાની આવક પણ પૂરી પાડે છે. ગાયના છાણના સંગ્રહ અને પરિવહન માટે લગભગ 13 ટ્રેક્ટર-ટ્રોલીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જે પ્રતિ ટ્રીપ લગભગ 4-4 મેટ્રિક ટનની ક્ષમતા સાથે છાણને પ્લાન્ટ સુધી પહોંચાડે છે, જેનાથી ગ્રામીણ વિસ્તારોમાં રોજગાર અને સ્થાનિક આર્થિક પ્રવૃત્તિઓમાં પણ વધારો થાય છે.

એટલું જ નહીં, આ પ્લાન્ટ વિવિધ ઉત્પાદનો આધારિત આર્થિક મૉડલ પર કાર્ય કરે છે, એટલે કે પ્લાન્ટમાં ગેસ ઉપરાંત ખાતર કે અન્ય ઉત્પાદનો દ્વારા પણ આવક મેળવી શકાય છે. આ મૉડલ હેઠળ દરરોજ આશરે 1,800 કિલોગ્રામ કોમ્પ્રેસ્ડ બાયોગેસ (CNG)નું ઉત્પન્ન થાય છે, જે આશરે ₹75 પ્રતિ કિલોગ્રામના ભાવે બજારમાં ઉપલબ્ધ કરાવવામાં આવે છે. આ ઉપરાંત, લગભગ 25 મેટ્રિક ટન ઘન જૈવિક ખાતર અને 75 મેટ્રિક ટન પ્રવાહી જૈવિક ખાતરનું ઉત્પાદન થાય છે, જે અનુક્રમે આશરે ₹6 પ્રતિ કિલોગ્રામ અને ₹0.50 પ્રતિ કિલોગ્રામના ભાવે વેચાય છે. આ ત્રણેય ઉત્પાદનો પ્લાન્ટ માટે દરરોજ ₹3 લાખથી વધુની આવક ઉત્પન્ન કરે છે, જે વાર્ષિક આશરે ₹12 કરોડ સુધી પહોંચી શકે છે.

બાયો-સીએનજી પ્લાન્ટ્સથી રાજ્ય સરકારના ‘ગ્રીન ગુજરાત’ના સંકલ્પને મળી રહ્યો છે વેગ

Gujarat Bio CNG

ગુજરાતનો આ નવીન પ્રોજેક્ટ માત્ર ઊર્જા ક્ષેત્રે જ નહીં, પરંતુ પર્યાવરણ સંરક્ષણ તરફ પણ એક ક્રાંતિકારી પગલું છે. આ મૉડલ વાર્ષિક આશરે 6,750 ટન CO2e (કાર્બન ડાયોક્સાઇડ સમકક્ષ) ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જન ઘટાડવાની ક્ષમતા ધરાવે છે, જે આબોહવા પરિવર્તનના વૈશ્વિક પડકાર સામે ગુજરાતના નોંધપાત્ર યોગદાનને દર્શાવે છે. સ્વચ્છ ઇંધણનું ઉત્પાદન, રસાયણમુક્ત જૈવિક ખાતરની ઉપલબ્ધતા અને વૈજ્ઞાનિક કચરા વ્યવસ્થાપનનો આ ત્રિકોણીય સંગમ ‘ગ્રીન બનાસકાંઠા’થી આગળ વધીને ‘ગ્રીન ગુજરાત’ના વ્યાપક સંકલ્પને વાસ્તવિકતામાં રૂપાંતરિત કરી રહ્યો છે.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો