Gazal: સાંજ ને સંગાથ કેવો….રોનક જોષી ‘રાહગીર’
🔥 આ સમાચારને WhatsApp પર જરૂર શેર કરો 📲
📲 WhatsApp પર શેર કરોસાંજ ને સંગાથ કેવો આ ક્ષિતિજ પર આથમે,
રવિ ને રત્નાકર તો ત્યાં એકાંતમાં જઈને મળે.
મૌન ગાતું થઈ ગયું પગરવ વગરની આ પળે,
યાદનાં પુષ્પો હવે હૈયાના આંગણ પર ખરે.
મન હતું તરસ્યું સદીઓથી મિલન કાજે અહીં,
તૃપ્તિ નયનોના જ નીરથી પળ પળે પળ એ લણે.
સત્ય કે આભાસની પરવા નથી મુજને હવે,
અસ્તિત્વ મારું ધબકતુ થઈને એ જાણે તરે.
ભય નથી છૂટા પડ્યાનો, આશ પણ કોઈ નથી,
શ્વાસ આ તારા વિચારોમાં જ રહીને તો ફળે.
લોક શોધે અસ્તિત્વના તે પુરાવાઓ ભલે,
ને પરિચય તો હવે તારા જ ચહેરામાં જડે.
હોય તું પાસે ને પાસે, છે સતત અહેસાસ આ,
‘રાહગીર’ તારું સ્મરણ જાણે રગેરગમાં ભળે.
