દેવગઢ બારીઆ તથા ધાનપુર તાલુકામાં 330 ચેકડેમ બનાવવામાં આવેલ છે, જે માત્ર કાગળ પર છે:પરેશ ધાનાણી
મુખ્યમંત્રીશ્રી ને પરેશ ધાનાણીનો રજૂઆત
ગાંધીનગર,૨૯ સપ્ટેમ્બર: દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના લખણાગોજીયા ગામના રહીશશ્રી ભારતસિંહ પ્રતાપભાઈ વાખળાની તા. ૫-૯-૨૦૨૦ની રજૂઆત બિડાણ સહિત આ સાથે મોકલું છું. રજૂઆતમાં જણાવ્યા મુજબ, મનરેગા યોજના અંતર્ગત વર્ષ ૨૦૨૦-૨૧માં દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકામાં ૧૨૪ તથા ધાનપુર તાલુકામાં ૨૦૬ નવીન ચેકડેમ બનાવવામાં આવેલ છે, જે માત્ર કાગળ પર બનાવવામાં આવેલ છે, જે ચેકડેમની યાદી નીચે મુજબ છે :
દેવગઢ બારીઆ તાલુકા પંચાયત
નં. | ગામનું નામ | ચેકડેમની સંખ્યા | નં. | ગામનું નામ | ચેકડેમની સંખ્યા |
૧ | અંતેલા | ૩ | ૧૪ | નવીબેડી | ૬ |
૨ | ભુવાલ | ૭ | ૧૫ | પંચેલા | ૫ |
૩ | ફાંગીયા | ૬ | ૧૬ | પાંચીયાસાળ | ૩ |
૪ | ઝાબ | ૧૫ | ૧૭ | રેઠાણા | ૪ |
૫ | જુના બારીઆ | ૫ | ૧૮ | રુવાબારી | ૨ |
૬ | કાકલપુર | ૫ | ૧૯ | સાગારામા | ૩ |
૭ | કાળીયાગોટા | ૩ | ૨૦ | સીંગેડી | ૫ |
૮ | કેળકુવા | ૫ | ૨૧ | ટીડકી | ૪ |
૯ | કોળીના પુવાળા | ૪ | ૨૨ | ટીમરવા | ૩ |
૧૦ | કુવા | ૯ | ૨૩ | ઉધાવલા | ૧૩ |
૧૧ | લવારીયા | ૪ | ૨૪ | વાંદર | ૨ |
૧૨ | નગવાવ | ૧૮ | ૨૫ | વિરોલ | ૨ |
૧૩ | મેઘામવડી | ૬ | કુલ | ૧૨૪ |
ધાનપુર તાલુકા પંચાયત
નં. | ગામનું નામ | ચેકડેમની સંખ્યા | નં. | ગામનું નામ | ચેકડેમની સંખ્યા |
૧ | પીપેરો | ૪૩ | ૧૧ | ખલતાગરબડી | ૧૧ |
૨ | તરમકાચ | ૧૫ | ૧૨ | ચહુનળા | ૬ |
૩ | કોટંબી | ૨૩ | ૧૩ | ખોખબેડ | ૩ |
૪ | ડુમકા | ૧૨ | ૧૪ | ઉડાર | ૪ |
૫ | પાવ | ૨૨ | ૧૫ | વેડ | ૫ |
૬ | સજોઈ | ૧૩ | ૧૬ | પીપોદરા | ૩ |
૭ | ડુંગરપુર | ૯ | ૧૭ | પાનમ | ૫ |
૮ | ગડવેલ | ૧૦ | ૧૮ | નળુ | ૩ |
૯ | કાકડખીલા | ૮ | ૧૯ | ધનારપાટીયા | ૧૦ |
૧૦ | નાટકી | ૧૭ | કુલ | ૨૦૬ |
ઉક્ત વિગતે ૩૩૦ ચેકડેમ માત્ર કાગળ ઉપર બનાવવામાં આવેલ છે. આ ચેકડેમ બનાવવા માટે નક્કી એજન્સીઓ શ્રી હરિઓમ સપ્લાયર્સ અને શ્રી રાજ ટ્રેડર્સ અનુક્રમે તાલુકા ભાજપ પ્રમુખ અને રાજ્ય સરકારના મંત્રીના પુત્રની છે. કોરોના વાયરસના કારણે રાજ્ય સરકારની તમામ કામગીરી તા. ૩૦-૫-૨૦૨૦ સુધી બંધ હતી ત્યારે આ લોકો દ્વારા તા. ૨-૫-૨૦૨૦થી મસ્ટર કાઢી ખોટી હાજરી પૂરવામાં આવેલ. જે મજુરો લીધા એ તમામ તેમની હાઈસ્કૂલના બાળકોના ખોટા જોબ કાર્ડ બનાવી, પોસ્ટ ઓફિસમાં નવું ખાતું ખોલી, ખોટી સહીઓ કરી મજુરોના નામે પૈસા ઉપાડી ભ્રષ્ટાચાર કરવામાં આવેલ છે, જે ભ્રષ્ટાચાર અંદાજિત રૂા. ૧૭ કરોડ રકમનો છે. મનરેગા યોજનામાં રાજ્ય સરકારના મંત્રી, તેમના પુત્ર, તાલુકા ભાજપ પ્રમુખે આટલો મોટો ભ્રષ્ટાચાર કરેલ હોઈ તેમની સામે તપાસ કરી એફ.આઈ.આર. દાખલ કરવા જણાવેલ છે. આ ચેકડેમના કૌભાંડમાં જિલ્લા કક્ષાના સ્થાનિક અધિકારીઓના સહયોગથી પેપરવર્ક ઉભું કરીને ભ્રષ્ટચાર આચરવામાં આવેલ છે, જેમાં સામેલ તાલુકા વિકાસ અધિકારીશ્રી, નિયામકશ્રી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અને અન્ય અધિકારી/કર્મચારીઓ સામે તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવા માંગણી કરેલ છે.
સદર બાબતે તાત્કાલિક આપશ્રીની કક્ષાએથી જરૂરી તપાસ કરાવી, ભ્રષ્ટાચારમાં સમાવિષ્ટ પદાધિકારીઓ તથા જિલ્લા/તાલુકા કક્ષાના અધિકારી/કર્મચારીઓ સામે તટસ્થ અધિકારી મારફત તાત્કાલિક તપાસ કરાવી કાયદેસરની કાર્યવાહી કરવા મારી વિનંતી સહ ભલામણ છે.