આરોગ્યકર્મીઓની સમય સુચકતાથી મોટા દડવા ગામમાં કોરોનાના સંક્રમણ ફેલાતું અટક્યું
કોરોના સંક્રમિત વ્યક્તિ ગામમાં આવે એ પહેલાં જ તેમને નિદાન માટે મોકલતા કોરોનાનું સંક્રમણ ફેલાતું અટકયું
અહેવાલ: શુભમ અંબાણી,રાજકોટ
રાજકોટ, ૦૭ નવેમ્બર: રાજકોટ જિલ્લામાં કોરોના વાયરસની વૈશ્વિક મહામારીને નાથવા રાત-દિવસની મહેનત અને પ્રજાજનોના સહકારથી કોરોનાના નિયંત્રણ માટે કાળજીપૂર્વકની કામગીરી કરી રહયાં છે. તેવા સમયે મોટા દડવા ગામમાં કોરોનાના સંક્રમણને ફેલાતું અટકાવવામાં પ્રજા અને આરોગ્ય તંત્રના સંયુક્ત પ્રયાસોના પરિણામે બહારગામથી આવેલ કોરોના સંક્રમિત વ્યક્તિથી કોરોનાનું સંક્રમણ ફેલાતું અટકયું હતું.
મોટા દડવા ગામના રહેવાસી પરેશભાઇ પરમારના સંબંધીઓ ઉત્તરપ્રદેશના મિર્ઝાપુરમાંથી તેમના વતન મોટા દડવા સહ પરિવાર આવવાના હતા. આ બાબતની જાણ પરેશભાઇએ મોટા દડવા ગામના સબસેન્ટરમાં ફરજ પરના ડો.જીગ્નેશને કરી. ડોકટર દ્વારા કોરોનાની પરિસ્થિતિની ગંભીરતાને સમજી પ્રથમ આ પરિવારના ત્રણ સભ્યોનું ટેલિફોનિક સ્ક્રીનિંગ કરતા જાણવા મળ્યું કે તેમનામાં કોરોનાના માઈનર લક્ષણ છે. જેને ધ્યાને લઈ તેમને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મોટા દડવાના આરોગ્યકર્મીઓ દ્વારા તાલુકાની હોસ્પિટલમાં ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા, આ ત્રણ પૈકી બે લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તાલુકા હેલ્થ ઓફિસર ડો.રમેશ સોલંકી તથા આરોગ્યની ટીમ દ્વારા પોઝિટિવ દર્દીઓને રાજકોટ પી.ડી.યુ. હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા.
હાલ એ બે સંક્રમિત સભ્યો રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આમ, ગામમાં કોરોનાના સંક્રમિત વ્યક્તિ દાખલ થાય એ પહેલાં જ પ્રજા અને આરોગ્ય તંત્રના સુમેળ ભર્યા સંકલનથી તેનું સંક્રમણ અન્ય લોકોમાં ફેલાતું અટકી ગયું.