જામનગર શહેરમાં તહેવારો ને અનુલક્ષીને ફૂડ શાખાના દરોડા અખાદ્ય સામગ્રીનો નાશ કરાયો

મીઠાઈ-ફરસાણ ની ૧૦ દુકાનો માંથી મીઠાઈ-ફરસાણ ના નમૂના લેવાયા: ૧૬ કિલો અખાદ્ય તેલનો નાશ કરાયો
અહેવાલ: જગત રાવલ, જામનગર
જામનગર, ૧૨ નવેમ્બર: જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા દિવાળીના તહેવારોને અનુલક્ષીને મીઠાઇ-ફરસાણ ના વિક્રેતાઓને ત્યાં અવિરત દરોડા પાડવામાં આવી રહ્યા છે, અને તૈયાર મીઠાઈ ફરસાણ ના નમુનાઓ એકત્ર કરી ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. સાથોસાથ અખાદ્ય તેલ ના જથ્થાનો કરવામાં આવી રહ્યો છે. જેના અનુસંધાને મીઠાઇ ફરસાણની દુકાનોમાં દરોડા પાડી મીઠાઈ ફરસાણ ના નમૂનાઓ એકત્ર કરાયા છે ઉપરાંત ૧૬ કિલો અખાદ્ય તેલનો નાશ કરવામાં આવ્યો છે.

જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા ગોકુલ નગર વિસ્તારમાં આવેલી દેવરાજ નમકીન નામની દુકાનમાંથી તીખા ગાંઠિયા ના સેમ્પલ લેવાયા હતા, ત્યારે બાજુમાં જ આવેલી હરિઓમ સ્વીટ માંથી મલાઈ કેક નું સેમ્પલ લેવાયું છે. ઉદ્યોગ નગર વિસ્તારમાંથી શક્તિ ગૃહ ઉદ્યોગ મા કાજુ પિસ્તા ના સેમ્પલો એકત્ર કરાયા છે. અને પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલાયા છે.
જામનગરમાં જનતા સોસાયટી વિસ્તારમાં આવેલી શ્રીજી ડેરી ફાર્મ માં થાબડીના સેમ્પલો લેવાયા છે, જ્યારે ગોકુલ નગર વિસ્તારમાં આવેલી ન્યુ ખોડિયાર ફરસાણ માંથી તીખા ગાંઠિયા અને ખેતેશ્વર સ્વીટ એન્ડ ફરસાણ માંથી બુંદીના લાડુ ના સેમ્પલો લેવાયા છે.
આ ઉપરાંત અક્ષર સ્વીટ એન્ડ ફરસાણ માર્ટ નામની હરિયા સ્કુલ સામે આવેલી દુકાનમાંથી મોહનથાળ નું સેમ્પલ લેવાયું છે. ઈન્દિરા માર્ગ પર શ્રી ગોરસ ડેરી ફાર્મ માં થી ચોકલેટ બરફી, સત્યમ કોલોની મેઇન રોડ પર આવેલી પટેલ સ્વીટ અને ફરસાણ માંથી ભાખરવડી ઉપરાંત હરિયા સ્કુલ સામે આવેલી શિવાલય ડેરીમાંથી મેંગો બરફી ના સેમ્પલો એકત્ર કરીને પૃથકરણ માટે લેબોરેટરીમાં મોકલી અપાયા છે. જામનગર શહેરના ૨૦ જેટલા ફરસાણના વિક્રેતાઓને ત્યાં પણ ફરસાણ બનાવવા માટે ઉપયોગમાં લેવાતા તેલ અંગે પણ ટી.પી.સી. ચકાસણીની કામગીરી હાથ ધરવામાં આવી હતી, અને ૧૬ કિલો જેટલું ખરાબ તેલ કે જેના સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો.