About PM Security breach: ના, આ ચૂક તો નથી જ !
About PM Security breach: પાકિસ્તાની બોર્ડરથી ફક્ત દસ કિલોમીટર, આતંકની રીતે સંવેદનશીલ રાજ્ય અને વડાપ્રધાન મોદીનો કાફલાને વીસ મિનિટ સુધી એક ફ્લાયઓવર પર ફક્ત એસપીજી કમાન્ડોના સહારે રોકાઈ રહેવું પડે તે ચૂક તો ન કહેવાય.
બેશક એસપીજી કમાન્ડો જાનની બાજી લગાવીને પણ પ્રધાનમંત્રીને સુરક્ષિત રાખવાની જીગર અને જોશ ધરાવે છે અને આ જ જીગરને કારણે આજે પ્રધાનમંત્રી જીવિત છે. શક્યતા ઘણી હતી, શક્યતા ઘણી ઉભી કરવામાં આવી હતી પરંતુ શક્યતા સત્યતામાં પરિવર્તિત નહિ થઇ તે માટે ઈશ્વરનો આભાર.
કોઈપણ રાજ્યમાં પ્રધાનમંત્રી જાય ત્યારે તેમની સુરક્ષાની પ્રાથમિક અને પ્રમુખીય જવાબદારી સ્થાનિક પોલીસની જ હોય છે. સ્વાભાવિક છે એસપીજી કમાન્ડો એ સુરક્ષાનો છેલ્લો અને ઘાતક ઘેરો છે પરંતુ રસ્તા વિશેની જાણકારી અને રસ્તા ખાલી રાખવાની સત્તા તેમજ જવાબદારી સ્થાનિક પોલીસ જ ધરાવે છે. એસપીજી કમાન્ડો રસ્તા ખાલી કરાવવાની ડ્યુટી માટે નથી હોતા.
જયારે પણ પ્રધાનમંત્રી રાજ્યનો પ્રવેશ કરે ત્યારે મુખ્યમંત્રી, મુખ્ય સચિવ અને ડીજીપી સ્વાગત કરે અને સાથ આપે પરંતુ આ ઘટનામાં કોંગ્રેસ શાસિત પંજાબ રાજ્યના મુખ્યમંત્રી ગાયબ, મુખ્ય સચિવ તેમજ ડીજીપીની કાર કાફલામાં હતી પરંતુ કાર બંને ખાલી. ઉપરથી ફ્લાયઓવર સુધી પ્રદર્શનકારીઓ પહોંચી ગયા. વીસ મિનિટ સુધી વડાપ્રધાન હાઈરિસ્ક ઝોન, હાઈરિસ્ક પોઝિશનમાં રહ્યા હતા.
મુખ્યમંત્રી ચન્નીએ ચૂક સ્વીકાર કરવાને બદલે બહાના કરવાનું શરુ કર્યું અને બેશરમ કોંગ્રેસી નેતા, વક્તા-પ્રવક્તાઓએ ખાલી ખુરશીથી માંડી અચાનક માર્ગ બદલાવના વાહિયાત તર્ક-કુતર્ક આપવા માંડ્યા.
પહેલી વાત મુખ્યમંત્રી ચન્નીએ કોરોના સંક્રમિતો સાથે સંસર્ગમાં આવ્યાનું બહાનું કાઢ્યું. અપરિપક્વતા એટલી કે એ જ મુખ્યમંત્રી માસ્ક વગર પ્રેસ કોન્ફરન્સ કરી નાખે છે, પોતાના કેમેરામૅનો અને કાર્યકર્તાઓ સાથે ફરવા નીકળી પડે છે.
ખાલી ખુરશીને મુદ્દે તો આખી કોંગ્રેસ રાજનૈતિક મુર્ખામી કરી રહી છે. જો પ્રધાનમંત્રીની રેલીમાં કોઈ આવ્યું જ ન હોય, મેદાન અને ખુરશી ખાલી હોય તો કયો રાજકીય પક્ષ રેલી રોકવાની કોશિશ કરે? મેદાન ખાલી જ હતું પ્રધાનમંત્રીની જ નામોશી થાત. વાસ્તવમાં મેદાનમાં હજારો લોકો ઉપસ્થિત હોવાના વિડીયો જોવા મળ્યા છે.
છેવટે કોંગ્રેસના કાયમી અધ્યક્ષ સોનિયા ગાંધીએ પંજાબના મુખ્યમંત્રી ચન્નીને પૂછવાની, ફરજ પડી. જે રીતે એક્સપર્ટસ ના ખુલાસા સાથે એક પછી એક વિડીયો અને દસ્તાવેજ સામે આવી રહ્યા છે, જે રીતે એક પછી એક કોંગ્રેસી નેતાઓએ બચાવ કરવો પડી રહ્યો છે, જે રીતે પંજાબ સરકાર એક્શન લઇ રહી છે, તે જોતા એટલું તો ચોક્કસ છે કે આ માત્ર ચૂક નથી, એક વ્યવસ્થિત પ્લાન હતો. એક વર્ષ પહેલાનો મીમ વિડીયો સામે આવ્યો છે જેમાં આ રીતે જ વડાપ્રધાન મોદીને પુલ પર અધવચ્ચે રોકીને તેમની સાથે બદસલૂકી કરવામાં આવી રહી છે. આ વિડીયોનું લાઈવ રૂપાંતરણ થતું હોય તેવું દ્રશ્ય ઉભું થયું હતું.
સુપીમ કોર્ટે પણ આ મુદ્દે અસંતોષ તો વ્યક્ત કર્યો જ છે. વડાપ્રધાનના કાર્યક્રમનું આયોજન કેટલાક દિવસો અને મહિના પહેલા થતું હોય છે તેમ છતાં અણધારી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વૈકલ્પિક રુટ/રસ્તાની વ્યવસ્થા દરેક સત્તાધીશો રાખતા જ હોય છે એટલે છેલ્લી ઘડીવાળી દલીલ ટકતી જ નથી. કોંગ્રેસી પ્રવક્તાઓનું આ બહાનું હાસ્યાસ્પદ છે. લાખ બચાવ કરવામાં આવે, કરોડ દલીલ કરવામાં આવે એક વાત સ્પષ્ટ છે કે કોંગ્રેસ શાસિત પંજાબ રાજ્યના મુખ્યમંત્રીએ કોઈકના ઈશારે મોટો ખેલ પાર પાડવાની જવાબદારી નિભાવી છે એવો સંદેહ જરૂર પ્રકટ થાય છે.