About The kashmir files: એક નગ્નતા એ અનેકને નગ્ન કર્યા
About The kashmir files: ‘ધ કાશ્મીર ફાઇલ્સ’એ અત્યાર સુધીમાં આઠ દિવસમાં કુલ 116.5 કરોડ રૂપિયાની કમાણી કરી છે. નિષ્ણાતોનું માનવું છે કે, બીજા સપ્તાહના અંત સુધીમાં ફિલ્મ 200 કરોડના આંકડાને સ્પર્શી જશે. હમણાંનો સામાન્યતઃ ટ્રેન્ડ એવો છે કે કોઇ પણ ફિલ્મ અઠવાડિયામાં રિલીઝના સાતમા આઠમા દિવસે ઘર ભેગી થવાની તૈયારીમાં હોય છે એટલે કે અંતિમ ચરણ પર હોય છે, પરંતુ ‘ધ કાશમીર ફાઇલ્સે’ આઠમાં દિવસે સૌથી વધુ કમાણી કરી છે.
પ્રભાસ સ્ટારર ‘બાહુબલીઃ ધ કન્ક્લુઝન’ એ તેના આઠમાં દિવસે 19.75 કરોડ રૂપિયા અને આમિર ખાનની ફિલ્મ ‘દંગલ’ એ 18.59 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. ‘ધ કાશ્મીર ફાઇલ્સ’એ આઠમાં દિવસે 22 કરોડની કમાણી કરી બાહુબલી 2 અને દંગલનો રેકોર્ડ તોડી નાખ્યો છે.
કમાણીના આંકડા કરતા વધુ મહત્વની વાત છે ફિલ્મની સફળતાની; આ ફિલ્મ પહેલા દિવસે લગભગ આખા દેશમાં માંડ 650 સ્ક્રીન્સમાં રિલીઝ થઈ હતી, તેની સામે પ્રભાસની જ ફિલ્મ ‘રાધે શ્યામ’ રિલીઝ થઇ હતી. એવું કહેવામાં આવી રહ્યું હતું કે, વિવેક રંજન અગ્નિહોત્રીની ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ ‘પ્રભાસના તોફાન’નો સામનો કરી શકશે નહીં. પરંતુ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ હવે 4 હજારથી વધુ સ્ક્રીનમાં ચાલી રહી છે. અને સ્ક્રિન્સની સંખ્યામાં રોજ વધારો થઇ રહ્યો છે – ઓન પબ્લિક ડિમાન્ડ.
પહેલા દિવસે કેટલાક થિએટરોએ તો મોટા બેનર સુધ્ધાં લગાડ્યા ન હતા. શોલે બાદ આ પહેલી ફિલ્મ છે જેણે પાછળથી ઉપાડો લીધો છે અને આ ફિલ્મનો જુવાળ બે-ચાર મહિના સુધી થંભે એવું પ્રતીત થતું નથી.
વેલ, ફિલ્મના રિવ્યુઓ તમે રોજ વાંચો છો એટલે એને ટાળીએ, ફિલ્મ જોઈ હોય કે નહિ જોઈ હોય તેનો વિષય પણ તમે જાણી જ ગયા છો. “કાશ્મીરી પંડિતો નરસંહાર”
જેમ જેમ ફિલ્મની સફળતાનો ગ્રાફ ઊંચે જતો ગયો તેમ તેમ પક્ષો-વિપક્ષો તેમજ કેટલાક લોકો અને કહેવાતા બુધ્ધીજીવીઓના કપડાં નીચે ઉતારતા ગયા. ૧૯૯૦ના “કાશ્મીરી પંડિતોના નરસંહાર”ની નગ્નતાએ ૨૦૨૨માં કોંગ્રેસ, શિવસેના સહીત ભાજપના તમામ વિરોધીઓને વૈચારિક રીતે નગ્ન કરી દીધા છે. ફક્ત મુસ્લિમો નારાજ ન થાય તે માટે સતત ફિલ્મની વિરુદ્ધ કૉમેન્ટ્સ કરીને બુદ્ધિનું પ્રદર્શન જ કર્યું છે. આ ફિલ્મથી શા માટે મુસ્લિમ નારાજ થાય ? પાકિસ્તાન સમર્થિત મુસ્લિમ આતંકવાદીઓની સચ્ચાઈ બતાવવાથી ભારતીય મુસ્લિમોએ શા માટે નારાજ થવું જોઈએ? હકીકતમાં આ જ રીતે રાજકીય પક્ષોએ ‘મુસ્લિમ નારાજગી’ ના નામે આતંકવાદીઓના મામલે અણછાજતી તરફદારી કરી આડકતરી રીતે દેશ અને દુનિયા સમક્ષ આખીને આખી મુસ્લિમ કોમની આતંકવાદીઓના સમર્થક હોવાની છાપ ઉભી કરી નાખી છે અને દુઃખદ અને દુર્ભાગ્યપૂર્ણ વાત તો એ છે કે ૯૭-૯૮% મુસ્લિમો જાણતા-સમજતા હોવા છતાં ચુપકીદી સેવે છે, તેમની આ ચુપકીદી જ તેમને શંકાના દાયરામાં ઉભા કરી દે છે. આ છાપ મુસ્લિમો જ દૂર કરી શકે જો તેઓ ઈચ્છે તો.
આ ફિલ્મની વિરુદ્ધ બીજી દલીલ કરવામાં આવે છે – “હિન્દૂ-મુસ્લિમ” વિભાજનની
આ ફિલ્મથી હિન્દૂ-મુસ્લિમ વચ્ચે વિભાજન થશે જેવી વાહિયાત દલીલો પણ ફિલ્મને નીચે દેખાડવા કરવામાં આવે છે. આવા તર્ક-કુતર્કને સત્ય સાબિત કરવા તેમજ ‘કાશ્મીરી પંડિતો” ની દુઃખદ સત્યતાને નબળી પાડવા માટેભાગે “ગુજરાત ૨૦૦૨” દંગાને આગળ ધરવામાં આવે છે. વાસ્તવમાં દંગા અને નરસંહાર વચ્ચે બહુ મોટું અંતર છે, દંગા ક્ષણિક આવેગ કે આક્રોશમાંથી નોર્મલ ડિલિવરીથી જન્મતા હોય છે જયારે નરસંહાર વિકૃત અને વિધ્વંશક માનસિકતા વડે સિઝેરિઅન ડિલિવરીથી જન્માવાતા હોય છે.
કોંગ્રેસીઓના બબુચક નેતાઓએ આ ફિલ્મને ભાજપની ફિલ્મ હોવાનો વાણી-વિલાસ પણ કર્યો છે તેનું કારણ છે કે આ લોકો સારી રીતે જાણે છે કે “કાશ્મીરી પંડિતોનો નરસંહાર” એ રાજીવ ગાંધીની અભૂતપૂર્વ બહુમતીથી બનેલી શક્તિશાળી સરકારની નિર્બળતાની, નપુસંક્તાની દેન છે. ઇન્દિરા ગાંધીની હત્યા બાદ એકતરફી સંવેદનાને કારણે રાજીવ ગાંધી વડાપ્રધાન તો બની ગયા પરંતુ લાયક અને જાણકારી ન હોવાથી અનેક છબરડા વાળ્યા ને દેશ-દુનિયામાં બિનઅસરકારક સરકારનું પ્રતીક બની ગયા. ૧૯૮૪થી અને એથીય વિશેષ ૧૯૮૯થી એક આખો દાયકો કેન્દ્રમાં તડજોડ-ગઠબંધનથી બનેલી લંગડી ઘોડી જેવી સરકારોનો રહ્યો જેનો ફાયદો આતંકીઓ અને કાશ્મીરની પાકિસ્તાની સમર્થક અને સમર્પિત સરકારોએ ઉઠાવ્યો.
૧૯૯૦ના “કાશ્મીરી પંડિતોના નરસંહાર” વખતે ભલે વી.પી.સિંહની સરકાર હોય પરંતુ એની તૈયારી તો કોંગ્રેસી રાજીવ ગાંધી સરકાર દરમ્યાન જ થઇ હતી. એટલે જ તમામ કોંગ્રેસી/સમર્થિત સરકારો આ ‘નરસંહાર’ પર ઢાંકપિછોડો જ કરતી આવી હતી અને છે. બાકી દેશના ઇતિહાસમાં સૌથી વધુ દંગા કોંગ્રેસી શાસન/શાસિત રાજ્યો-પ્રદેશોમાં જ થયા છે, (ભાજપ ન હતો, આરએસએસ-જનસંઘ નબળા હતા ત્યારે પણ દંગા થતા જ હતા) અને આ તથ્ય મુસ્લિમો પણ જાણતા હોવા છતાં, કોંગ્રેસે/અન્ય પક્ષોએ ફક્ત તેમનો ઉપયોગ જ કર્યો છે તે હકીકત જાણવા છતાં તેઓ ભાજપ-મોદીને હરાવવા જ મતદાન કરે છે. મુસ્લિમ નેતાઓ ટીવી ડીબેટમાં સતત કહેતા હોય છે “આ દેશ અમારો પણ છે” પરંતુ મોદી અને ભાજપ લોકશાહી દેશના ચૂંટાયેલા પ્રધાનમંત્રી/પક્ષ હોવા છતાં તેમને આવકારતા-સ્વીકારતા નથી. શા માટે ?