studend class room

Namo Laxmi: ‘નમો લક્ષ્મી’ પોર્ટલ પર શાળા નોંધણીમાં આ જિલ્લાની શાળાઓ મોખરે

Namo Laxmi: શાળા પ્રવેશોત્સવ- કન્યા કેળવણી મહોત્સવ: ૨૦૨૪

google news png

અહેવાલ: ધ્રુવી ત્રિવેદી
ગાંધીનગર, ૨૫ જૂન:
Namo Laxmi: રાજ્યના બાળકોનું શૈક્ષણિક ભાવી વધુ ઉજ્જવળ બનાવવા અને કન્યા શિક્ષણને વધુ પ્રોત્સાહિત કરવા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓ માટે વર્ષ ૨૦૨૪-૨૫ના બજેટમાં ‘નમો લક્ષ્મી યોજના’ અને ધોરણ ૧૦ પછી વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓ માટે ‘નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના’ અમલમાં મુકવામાં આવી છે.

આ નવીન ‘નમો લક્ષ્મી યોજના’ અંતર્ગત અત્યાર સુધી રાજ્યની કુલ ૧૧,૯૬૬ શાળાઓની નોંધણી કરવામાં આવી છે. આ શાળાઓમાંથી ૪,૦૩,૧૬૮ વિદ્યાર્થીનીઓની અરજી માન્ય રાખવામાં આવી છે. જેમાં રાજ્યના કુલ ૩૩ જિલ્લાઓમાંથી ડાંગ, સાબરકાંઠા, ખેડા, વડોદરા અને બનાસકાંઠાની શાળાઓએ મોટી સંખ્યામાં નોંધણી કરાવી છે.

‘નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના’ અંતર્ગત અત્યાર સુધીમાં રાજ્યની ૯૨૪ વિજ્ઞાનપ્રવાહ શાળાઓની નોંધણી થઈ છે. જેમાં ૩૭ હજારથી વધુ વિદ્યાર્થીઓએ આ યોજનાનો લાભ લેવા અરજી કરી છે. આ નોંધણીમાં છોટાઉદેપુર, બોટાદ, ડાંગ, તાપી અને બનાસકાંઠા જિલ્લાઓ મોખરે છે.

આ પણ વાંચો:- Swamiji ni vani Part-32: શું માત્ર ધન-સંપત્તિથી આપણને સંતોષ થવાનો છે? વિચારજો જરૂરથી..

‘નમો લક્ષ્મી યોજના’ હેઠળ જે વિદ્યાર્થીનીના કુટુંબની વાર્ષિક આવક રૂ. ૬ લાખ કે તેથી ઓછી હોય અને જે ગત શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪માં ધોરણ-૮ થી ૧૧માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓ કે જે શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫ માટે ધોરણ- ૯ થી ૧૨માં પ્રવેશ મેળવવા ઈચ્છતી હોય તેમને કુલ રૂ. ૫૦,૦૦૦/-ની સહાય આપવામાં આવે છે. જ્યારે ‘નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના’ હેઠળ જેમના કુટુંબની વાર્ષિક આવક રૂ. ૬ લાખ કે તેથી ઓછી હોય અને ધોરણ-૧૦ બોર્ડની પરીક્ષામાં ૫૦% કે તેથી વધુ ગુણ મેળવી વિજ્ઞાનપ્રવાહમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા વિદ્યાર્થીને કુલ રૂ. ૨૫,૦૦૦/- સહાય મળવાપાત્ર છે.

વધુમાં, ‘નમો લક્ષ્મી યોજના’ અંતર્ગત ધોરણ ૯ અને ૧૦માં મળી કુલ રૂ. ૨૦,૦૦૦/-ની સહાય ચૂકવવામાં આવશે. આ સહાયમાં ૯ અને ૧૦ ધોરણમાં શૈક્ષણિક વર્ષ દરમ્યાન ૧૦ માસ માટે માસિક રૂ. ૫૦૦/- મુજબ વાર્ષિક રૂ. ૫,૦૦૦/- પ્રમાણે બંને વર્ષના મળી કુલ રૂ. ૧૦,૦૦૦/-ચૂકવવામાં આવશે. જ્યારે બાકીના રૂ. ૧૦,૦૦૦/- ધોરણ ૧૦ બોર્ડની પરીક્ષા ઉત્તીર્ણ થયા બાદ ચૂકવવામાં આવશે. એવી જ રીતે ધોરણ ૧૧ અને ૧૨ના મળી કુલ રૂ. ૩૦,૦૦૦/- સહાય ચૂકવવામાં આવશે. જેમાં ધોરણ ૧૧ અને ૧૨માં શૈક્ષણિક વર્ષ દરમ્યાન ૧૦ માસ માટે માસિક રૂ. ૭૫૦ /- મુજબ વાર્ષિક રૂ. ૭,૫૦૦/- પ્રમાણે બંને વર્ષના મળી કુલ રૂ. ૧૫,૦૦૦/-ચૂકવવામાં આવશે. જ્યારે બાકીના રૂ. ૧૫,૦૦૦/- ધોરણ ૧૨ની બોર્ડ પરીક્ષા ઉત્તીર્ણ થયા બાદ ચૂકવવામાં આવશે. આમ ‘નમો લક્ષ્મી યોજના’ હેઠળ કુલ રૂ.૫૦,૦૦૦/ ચૂકવવામાં આવશે.

જ્યારે ‘નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના’ હેઠળ ધોરણ ૧૧ માટે વિદ્યાર્થી દીઠ વાર્ષિક રૂ. ૧૦,૦૦૦/- અને ધોરણ ૧૨ માટે વિદ્યાર્થી દીઠ વાર્ષિક રૂ. ૧૫,૦૦૦/- મળવાપાત્ર છે. જેમાં ધોરણ ૧૧ અને ૧૨ના મળી કુલ રૂ. ૨૫,૦૦૦/- સહાય ચૂકવવામાં આવશે. આ સહાયમાં ૧૧ અને ૧૨ ધોરણમાં શૈક્ષણિક વર્ષ દરમ્યાન ૧૦ માસ માટે માસિક રૂ. ૧૦૦૦/- મુજબ વાર્ષિક રૂ. ૧૦,૦૦૦/- પ્રમાણે બંને વર્ષના મળી કુલ રૂ. ૨૦,૦૦૦/-ચૂકવવામાં આવશે. જ્યારે બાકીના રૂ. ૫,૦૦૦/- ધોરણ ૧૨ની બોર્ડ પરીક્ષા ઉત્તીર્ણ થયા બાદ મળવાપાત્ર રહેશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, જૂન અને જુલાઇ માસની બંને યોજનાઓની સહાયની રકમ એક જ સાથે વિદ્યાર્થીના માતા અથવા વિદ્યાર્થીના ખાતામાં DBT દ્વારા જમા કરાવવામાં આવશે. જ્યારે લાભાર્થી વિદ્યાર્થિની સરકારની અન્ય યોજના હેઠળ સ્કોલરશિપના લાભ સાથે આ યોજનાનો વધારાનો લાભ પણ મેળવી શકશે. આ યોજનાઓના સુચારુ સંચાલન માટે “નમો લક્ષ્મી” અને “નમો સરસ્વતી” પોર્ટલ બનાવવામાં આવ્યા છે. જેમાં શૈક્ષણિક વર્ષ શરૂ થયેથી રાજ્યની શાળાઓએ ધોરણ ૯ થી ૧૨માં કોઈ પણ પ્રવાહમાં પ્રવેશ માટે અને ધોરણ ૧૦ પછી વિજ્ઞાનપ્રવાહમાં પ્રવેશ લેતા વિદ્યાર્થિનીઓની નોંધણી ગાંધીનગર ખાતે કાર્યરત વિદ્યા સમીક્ષા કેન્દ્ર અંતર્ગત CTS પોર્ટલ દ્વારા કરવામાં આવે છે.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો