ગોત્રી હોસ્પિટલમાં ૧૦.૬ ટન સંગ્રહ ક્ષમતા ધરાવતી પ્રવાહી પ્રાણવાયુની ટાંકી કાર્યરત કરવામાં આવી
૧૦ દિવસના વિક્રમ સમયમાં વડોદરાની ગોત્રી હોસ્પિટલમાં ૧૦.૬ ટન સંગ્રહ ક્ષમતા ધરાવતી પ્રવાહી પ્રાણવાયુની ટાંકી સ્થાપિત અને કાર્યરત કરવામાં આવી
વડોદરા, ૧૮ સપ્ટેમ્બર:કોરોનાની સારવારમાં ઓકિસજનનું નિર્ણાયક મહત્વ છે.તેને અનુલક્ષીને ખાસ ફરજ પરના અધિકારી અને શિક્ષણ સચિવ ડો.વિનોદ રાવના માર્ગદર્શન હેઠળ માત્ર ૧૦ દિવસના ટૂંકા અને વિક્રમ સમાન સમયગાળામાં ૧૦.૬૭ ટન/૧૩ હજાર લિટર સંગ્રહ ક્ષમતા ધરાવતી પ્રવાહી પ્રાણવાયુની ટાંકી પ્રસ્થાપિત અને કાર્યરત કરવામાં આવી છે.સામાન્ય રીતે આ કામગીરી કરતા ૩૦ થી ૪૫ દિવસનો સમયગાળો લાગી શકે છે. ડો.રાવે આ લિકવિડ ઓકિસજન ટેન્ક કાર્યરત થવાથી ગોત્રી હોસ્પિટલ ખાતે તેના વિષયક મુશ્કેલીઓનું કાયમી નિવારણ થવાનો સંતોષ વ્યક્ત કર્યો છે.
તેમણે ગોત્રી હોસ્પિટલ ખાતે બેઠક યોજીને પ્રવર્તમાન પરિસ્થિતિ ની વિગતવાર સમીક્ષા કરી હતી.આ હોસ્પિટલ ખાતે હાલમાં ૧૦૦ અદ્યતન વેન્ટિલેટર ઉપલબ્ધ છે જે પૈકી ૬૫ નો ઉપયોગ દર્દીઓ માટે કરવામાં આવી રહ્યો છે અને ૩૫ વેન્ટિલેટર ઉપલબ્ધ(ખાલી) છે. અહીં ૫૭૫ કોવિડ બેડ્સ ની વ્યવસ્થા છે જે પૈકી હાલમાં ૩૩૫ પર દર્દીઓની સારવાર ચાલી રહી છે અને ૨૪૦ પથારીઓ ખાલી છે.અત્રેના માનવ સંપદા અને સેવાઓને લગતા મોટાભાગના પ્રશ્નો હલ કરવામાં આવ્યા છે.