સારા સમાચાર: ભારતમાં છેલ્લા 24 કલાકમાં નવા 16,504 પોઝિટીવ કેસ નોંધાયા
છેલ્લા 24 કલાકમાં કુલ સક્રિય કેસની સંખ્યામાં 3,267 દર્દીનો ચોખ્ખો ઘટાડો નોંધાયો છે.
- ભારતમાં છેલ્લા 24 કલાકમાં નવા 16,504 પોઝિટીવ કેસ સાથે દૈનિક ધોરણે નવા કેસનું નીચું સ્તર જળવાઇ રહ્યું
- દુનિયામાં સૌથી વધુ સાજા થયેલાની સંખ્યા ભારતમાં, કુલ 99.5 લાખ દર્દી સાજા થયા
- છેલ્લા 11 દિવસમાં એક કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા
અમદાવાદ, ૦૪ જાન્યુઆરી: ભારતમાં દૈનિક ધોરણે નવા નોંધાતા કેસની સંખ્યામાં સતત ઘટાડો નોંધાઇ રહ્ય છે. છેલ્લા 24 કલાકમાં સમગ્ર દેશમાં સંક્રમિત થયેલા કેસની સંખ્યામાં નવા 16,504 દર્દીનો ઉમેરો થયો છે.
દૈનિક ધોરણે કેસની સંખ્યામાં ઘટાડાના કારણે સક્રિય કેસના ભારણમાં પણ એકધારો ઘટાડો સુનિશ્ચિત થઇ શક્યો છે. ભારતમાં સક્રિય કેસનું ભારણ ઘટીને આજે 2,43,953 થઇ ગયું છે. દેશમાં કુલ નોંધાયેલા પોઝિટીવ કેસમાંથી સક્રિય કેસની ટકાવારી વધુ ઘટીને માત્ર 2.36% રહી છે.
ભારતમાં આજદિન સુધીમાં કુલ 17.5 કરોડ (17,56,35,761) પરીક્ષણો કરવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 7,35,978 નમૂનાનું પરીક્ષણ કરવામાં આવ્યું છે.
દેશમાં અત્યારે પરીક્ષણ માટે કુલ 2,299 લેબોરેટરીની ઉપલબ્ધતા સાથે ભારતમાં પરીક્ષણોના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં પણ નોંધપાત્ર વધારો થયો છે.
છેલ્લા 11 દિવસમાં એક કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા છે. પરીક્ષણોની ઘણી વધુ સંખ્યાના કારણે એકંદરે પોઝિટીવિટી દર (5.89%)માં વધુ ઘટાડો થયો છે.
દૈનિક ધોરણે નવા સાજા થનારા દર્દીઓની વધુ સંખ્યા અને નવા સંક્રમિત કેસની ઘટતી સંખ્યાના કારણે દેશમાં કુલ સાજા થયેલા દર્દીઓનો આંકડો 1 કરોડના મહત્વપૂર્ણ આંકની નજીક પહોંચી રહ્યો છે. કુલ સાજા થયેલા દર્દીની સંખ્યા આજે 99.5 લાખની નજીક (99,46,867) થઇ ગઇ છે જેના કારણે કુલ સાજા થવાનો દર વધીને 96.19% થઇ ગયો છે.
છેલ્લા 24 કલાકમાં નવા 19,557 દર્દીઓ સાજા થઇ ગયા છે.
નવા સાજા થયેલા દર્દીઓમાંથી 76.76% દર્દીઓ 10 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી હોવાનું ધ્યાનમાં આવ્યું છે.
સમગ્ર દેશમાં કેરળમાં એક દિવસમાં સૌથી વધુ નવા 4,668 દર્દીઓ સાજા થયા હોવાનું નોંધાયું છે. મહારાષ્ટ્રમાં નવા 2,064 દર્દીઓ સાજા થયા છે. પશ્ચિમ બંગાળમાં એક દિવસમાં વધુ 1,432 દર્દીઓ સાજા થઇ ગયા છે.
આ પણ વાંચો….નવો કોરોના વાયરસ ચેપી છે પણ જીવલેણ નથી: બ્રિટનના આરોગ્ય વિભાગનો દાવો