Gyanvapi case Judgment: જ્ઞાનવાપી કેસમાં જિલ્લા કોર્ટે મોટો ચુકાદો આપ્યો, ઓવૈસીએ કહ્યું- આ નિર્ણય વિરુદ્ધ અરજી કરવી જોઇએ- વાંચો શું છે કોર્ટનો ચુકાદો
Gyanvapi case Judgment: અદાલતે આ કેસની સુનાવણી કરતા કહ્યું હતું કે, આ મામલો સુનાવણી યોગ્ય છે અને હવે આ કેસમાં આગળની સુનાવણી 22 સપ્ટેમ્બરના રોજ થશે.
નવી દિલ્હી, 12 સપ્ટેમ્બરઃ Gyanvapi case Judgment: જ્ઞાનપાવી પરિસરમાં શ્રૃંગાર ગૌરીની પૂજા કરવાના અધિકારની માગણી કરતી હિન્દુ પક્ષની અરજીને વારાણસીની જિલ્લા અદાલતે સુનાવણી યોગ્ય માની છે. અદાલતે આ કેસની સુનાવણી કરતા કહ્યું હતું કે, આ મામલો સુનાવણી યોગ્ય છે અને હવે આ કેસમાં આગળની સુનાવણી 22 સપ્ટેમ્બરના રોજ થશે. અદાલતમાં મુસ્લિમ પક્ષે 1991ના પ્લેસ ઓફ વર્શિપ એક્ટ હેઠળના દાવાને ફગાવી દેવાની માગણી કરી હતી. આ અંગે કોર્ટે કહ્યું હતું કે, હિન્દુ પક્ષે કોઈ નવા બાંધકામની વાત કરી નથી પરંતુ યથાસ્થિતિ જાળવીને પૂજા કરવાનો અધિકાર માગ્યો છે. હિન્દુ પક્ષના વકીલે કહ્યું હતું કે, કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે આ મામલામં 1991નો પ્લેસ ઓફ વર્શિપ એક્ટ લાગૂ નહીં થાય.
હવે આ મામલામાં અસદુદ્દીન ઓવૈસીએ કહ્યુ છે કે આ ચુકાદા બાદ એવું લાગે છે કે આપણે બાબરી મસ્જિદવાળા રસ્તા પર જઈ રહ્યાં છીએ.
ઓવૈસીએ કહ્યું- અમારે આ નિર્ણય વિરુદ્ધ હાઈ કોર્ટમાં અરજી આપવી જોઈએ. મને આશા છે કે અંજુમન ઇન્તેજામિયા મસ્જિદ કમિટી નિર્ણય વિરુદ્ધ અરજી આપશે. આ આદેશ બાદ 1991ના પૂજા સ્થળ કાયદાનો કોઈ મતલબ રહી જતો નથી. તેમણે આગળ કહ્યું, આ નિર્ણય બાદ અસ્થિરતા વધશે. આપણે બાબરી મસ્જિદવાળા રસ્તા પર જઈ રહ્યાં છીએ. જ્યારે બાબરી પર નિર્ણય આપવામાં આવ્યો હતો ત્યારે મેં ચેતવણી આપી હતી કે તેનાથી સમસ્યા થઈ જશે.
ઓવૈસીએ દાવો કર્યો કે અયોધ્યા મામલાનો નિર્ણય આસ્થાના આધાર પર આપવામાં આવ્યો હતો. નોંધનીય છે કે જિલ્લા અદાલતના નિર્ણયને જોતા યુપીમાં પોલીસ એલર્ટ પર હતી. તો વારાણસીમાં કલમ 144 લાગૂ કરી દેવામાં આવી હતી. ઓવૈસીની સાથે મુસ્લિમ પક્ષના લોકો કહી રહ્યાં છે કે અદાલતે પૂજા સ્થળ એક્ટ 1991નું પાલન કર્યું નથી.
તો જે પૂજાસ્થળ એક્ટની વાત કરવામાં આવી રહી છે તેમાં કહેવામાં આવ્યું છે કે આઝાદી પહેલા અસ્તિત્વમાં આવેલા કોઈપણ ધર્મના પૂજા સ્થળને બીજા ધર્મના પૂજા સ્થળમાં પરિવર્તિત ન કરી શકાય. જો કોઈ આમ કરવાનો પ્રયાસ કરે છે તો તેને દંડ અને ત્રણ વર્ષની કેદ થઈ શકે છે. તે સમયે અયોધ્યાનો મામલો કોર્ટમાં હતો તેથી તેને આ કાયદાની બહાર રાખવામાં આવ્યો હતો. આ એક્ટ લાવવાનો ઉદ્દેશ્ય તે હતો કે જે રીતે અયોધ્યામાં મંદિર મસ્જિદનો વિવાદ શરૂ થયો, તે પ્રકારનો અન્ય જગ્યાએ ન થાય.