Swami ji ni vani Part-41: વિષધરો: પૂજય સ્વામીશ્રી વિદિતાત્માનંદ સરસ્વતીજી
વિષધરો: (Swami ji ni vani Part-41)
ભગવાને મનુષ્યના મનને બહિર્મુખ બનાવ્યું છે. તેથી મનુષ્ય બહાર જ નજર કરતો હોય છે, ક્યારેય અંતરાત્મા પ્રત્યે નજર કરતો નથી. તેથી જ્યારે જ્યારે આપણને સુખી થવાની ઇચ્છા થાય ત્યારે ત્યારે તેની પૂર્તિ માટે આપણે બહારના વિષયોમાં જ નજર કરતા હોઈએ છીએ. બહારના વિષયો – શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ – પંચમહાભૂતમાંથી બન્યા છે. આપણી પાંચ જ્ઞાનેન્દ્રિયો પણ આ પંચમહાભૂતમાંથી બનેલી છે. એક તત્ત્વમાંથી બનેલાં હોવાથી આ જ્ઞાનેન્દ્રિયો અને વિષયોને સ્વાભાવિક મિત્રતા હોય, જ્ઞાનેન્દ્રિયોને વિષયો પ્રત્યે સ્વાભાવિક આકર્ષણ હોય તે સમજી શકાય છે. તેમાં વળી આપણા વ્યક્તિત્વમાં રજોગુણનું પ્રાધાન્ય હોય ત્યારે આ આકર્ષણ ખૂબ વધી જાય છે.

ભગવાન શ્રીશંકરાચાર્યજી તેમના શિવાપરાધક્ષમાપન સ્તોત્રમાં કહે છે કે, ભગવાન ! મારો અપરાધ ક્ષમા કરો. હું ક્યારેય પણ આપનું ચિંતન કે ભજન ન કરી શક્યો. માના ગર્ભમાં હતો ત્યારે એ નરક જેવી જગ્યામાં મહાભયંકર યાતના હું ભોગવતો હતો. ત્યાં મને આપ યાદ જ ન આવ્યા. જન્મ થયા પછી બાળક હતો ત્યારે પરવશ હતો. સ્તનપાનની સતત લાલસા. અનેક જંતુઓ મને પીડે. અનેક પ્રકારના રોગ થયા કરે. આ પરવશતાને કારણે બાળપણમાં પણ હું આપને યાદ ન કરી શક્યો. તે પછી હું યુવાન થયો.
આ પણ વાંચો:- Victory over desire: કામના ઉપર વિજય: પૂજય સ્વામીશ્રી વિદિતાત્માનંદ સરસ્વતીજી
યુવાનીમાં રજોગુણનું પ્રાધાન્ય હોવાથી આપે સર્જેલા શબ્દાદિ પાંચ વિષયોરૂપી વિષધરો – કર્ણેન્દ્રિયનો વિષય શબ્દ, ચમેર્ન્દિ્રયનો વિષય સ્પર્શ, ચક્ષુનો વિષય રૂપ, જીભનો વિષય રસ અને નાસિકાનો વિષય ગંધ – સતત મને પાંચ જ્ઞાનેન્દ્રિયો દ્વારા ડંખતા હતા. મારા મર્મસ્થાન હૃદયમાં તે સતત ડંખ મારતા હતા. સાપ ડંખ મારે ત્યારે આપણે બેભાન બની જઈએ, આપણું ભાન જતું રહે, આપણે વિચાર ન કરી શકીએ. તે રીતે ઇન્દ્રિયના આ પાંચ વિષયો સર્પ બની જ્યારે ડંખ મારતા હતા ત્યારે મારી બુદ્ધિમાંથી વિવેક જતો રહેતો અને સતત ધન, યુવતી, સ્વાદ, સુખ ઇત્યાદિનું જ મન ચિંતન કરતું. આમ, યુવાનીમાં આપના ચિંતનની કોઈ તક ન મળી.
કહેવાનો ભાવાર્થ એ છે કે જ્યારે રજોગુણનું આપણા વ્યક્તિત્વમાં પ્રાધાન્ય હોય ત્યારે એવી અવસ્થામાં વિષયો પ્રત્યે આપોઆપ જ આકર્ષણ હોય. આ વિષયો આપણને મર્મસ્થાન પર જ ડંખ મારતા હોય છે. આ બધી કુદરતની રચના છે.
હવે એ સમજવાની આવશ્યકતા છે કે કામનાની પૂર્તિથી ખરેખર કામનો સંતોષ થતો હોય છે ?
યયાતિ એટલો બધો કામાંધ હતો કે તેણે તેના પોતાના નાના પુત્રનું યૌવન પ્રાપ્ત કરીને એક હજાર વર્ષ સુધી ભોગ ભોગવ્યા. અંતે તેણે તારણ કાઢ્યું કે કામનાનો ઉપભોગ કરવાથી કામના ક્યારેય શમતી નથી. ઉપરથી અગ્નિમાં જેમ ઘી નાખીએ અને અગ્નિ વધુ પ્રજ્વલિત થાય તેવી રીતે જેમ જેમ કામનાની પૂર્તિ કરતા જઈએ તેમ તેમ તે વધુ ને વધુ પ્રજ્વલિત થાય છે.
આ કામના, તૃષ્ણા એવી છે જે ક્યારેય પૂર્ણ કે જીર્ણ થતી જ નથી. ભર્તૃહરિ કહે છે ઃ ‘ભોગો ભોગવીને હું જીર્ણ થઈ ગયો પરંતુ મારી તૃષ્ણા જરા પણ જીર્ણ ના થઈ.’ માનવી વૃદ્ધ થાય તેમ તેની કામના જાણે કે વધુ તરુણ બનતી જાય છે. વિષયભોગને લીધે ઇન્દ્રિયોનું તેજ, બુદ્ધિનું તેજ ક્ષીણ થતું જાય છે, પરંતુ વિષયો પ્રત્યેની કામના ક્ષીણ થતી નથી.
વળી, વિષયો જડ છે તેથી જડ વસ્તુનું ચિંતન કરવાને કારણે મનુષ્યની બુદ્ધિ પણ જડ થઈ જાય છે અને તેથી કોઈ પણ વસ્તુનું સૂક્ષ્મ ચિંતન કરવાને તે અયોગ્ય બની જાય છે. એવા લોકોને તમે ભગવદ્ગીતાનું પુસ્તક આપો તો દશ જ મિનિટમાં તેમનું માથું દુખવા આવે. જે માણસો ‘ફિનાન્શિયલ ટાઇમ્સ’ અને એવાં છાપાં કલાકોના કલાકો સુધી વાંચે તેમને દશ મિનિટ ગીતાજી વાંચતાં માથાનો દુખાવો થઈ આવે ! તેનું કારણ એ છે કે સૂક્ષ્મ વિષયના ચિંતન માટે તેમની બુદ્ધિ નકામી બની ગઈ છે.
કહેવાયું છે કે વિષધર સર્પ તો માનવીને એક જ વખત મારે, પણ આ વિષય-વિષધરો તો તે જેટલી વાર સંપર્કમાં આવે તેટલી વાર મારે. આમ, મરતાં મરતાં જીવવું એ કોઈ યોગ્ય જીવન નથી.