Malaria vaccine: આખરે મળી મેલેરિયાની રસી, વિશ્વને થશે આ સૌથી મોટી ફાયદો
Malaria vaccine: વૈજ્ઞાનિકોને 3 દાયકાની અથાગ જહેમત બાદ મલેરિયા સામે લડવા સૌથી અસરકારક અને કારગર જડીબુટ્ટી એટલેકે વેક્સિન મળી છે
હેલ્થ ડેસ્ક, 08 ઓક્ટોબરઃ Malaria vaccine: આખરે 3 દાયકાની ભારે જહેમત બાદ સમગ્ર વિશ્વને મલેરિયાની સૌપ્રથમ વેક્સિન મળી છે. દુનિયાની સૌથી જૂની અને જીવલેણ બિમારીઓ પૈકીની એક મલેરિયાના ઇલાજ માટે અત્યાર સુધી કોઇ વેક્સિન નહોતી. પરંતુ હવે મલેરિયાની નવી વેક્સિન આવવાથી સમગ્ર વિશ્વને એ અપેક્ષા છે કે મચ્છરોને કારણે કમસે કમ તેમનું મોત તો નહીં થાય. ત્યારે આવો જાણીએ મલેરિયાની વેક્સિનનું અથથી ઇતિ.
દુનિયાભરમાં દર વર્ષે હજારો માસૂમ બાળકોનો ભોગ લેતા મલેરિયાને રોકવા હવે વિજ્ઞાનને સૌપ્રથમ સંજીવની બુટ્ટી હાથ લાગી છે. આમ તો છેલ્લા 30 વર્ષોથી વિવિધ પ્રકારની વેક્સિન(Malaria vaccine)નો ઉપયોગ કરી લોકોને મલેરિયામાંથી બચાવવામાં આવી રહ્યા છે. જો કે તેના માટે કોઇ એક કારગર વેક્સિન નહોતી. પરંતુ હવે વૈજ્ઞાનિકોને 3 દાયકાની અથાગ જહેમત બાદ મલેરિયા સામે લડવા સૌથી અસરકારક અને કારગર જડીબુટ્ટી એટલેકે વેક્સિન મળી છે.
દવાનું ઉત્પાદન કરતી ટોચની કંપની ગ્લેક્સો સ્મિથ ક્લાઇન એટલે કે જીએસકેએ મલેરિયાની રસી બનાવી છે. જેનું નામ છે. મોસક્વિરિક્સ. વિશ્વ આરોગ્ય સંગઠને મોસક્વિરિક્સને મલેરિયાની વિશ્વની સૌથી પહેલી અધિકૃત વેક્સિન તરીકે માન્યતા આપી છે. મોસક્વિરિક્સનું વૈજ્ઞાનિક નામ રિકોમ્બિનેન્ટ પ્રોટીન બેઝ્ડ મલેરિયા વેક્સિન. આરટીએસ-એસ પણ છે.
આ વેક્સિન(Malaria vaccine) લીધા બાદ તમારા શરીરમાં મલેરિયાનું સંક્રમણ કરનારા પેરાસાઇટ પ્લાઝમોડિયમ ફાલ્સીપેરમની અસર બેહદ ઓછી થઇ જશે. કારણ કે આ વેક્સિનની બિમારી સામે લડવાની ક્ષમતા એટલે કે એફિશયન્સી અંદાજે 77 ટકા છે. મેલેરિયાનું કારણ બનતા પેરાસાઇટ સમગ્ર વિશ્વમાં જોવા મળે છે. પરંતુ તેની સૌથી વધુ અસર આફ્રિકાના દેશોમાં મળી છે.
વિશ્વ આરોગ્ય સંગઠનના મલેરિયા કાર્યક્રમના પ્રમુખ ડો. પેડ્રો અલોન્સોએ જણાવ્યું કે મોસક્વિરિક્સ બાળકો માટે પણ બિલકુલ સુરક્ષિત છે. આ વેક્સિન પાંચ પ્રકારના મલેરિયા પેરાસાઇટથી લોકોને બચાવશે. વિશ્વ આરોગ્ય સંગઠને માન્યતા આપ્યા બાદ હવે દવા કંપની જીએસકે તેમની વેક્સિનને સમગ્ર દુનિયામાં આપવા માટે તૈયાર છે. અમેરિકા જેવા વિકસિત દેશોમાં મલેરિયાના કેસો દુર્લભ હોય છે. આવા દેશોમાં દર વર્ષે અંદાજે 2 હજાર જેટલા મલેરિયાના કેસ સામે આવે છે. ખાસ કરીને એવા લોકોમાં મલેરિયાનું સંક્રમણ ફેલાય છે કે જે આ બિમારીવાળા દેશોમાંથી આવે છે.
વેક્સિન ઉત્પાદન કંપની જીએસકેનો દાવો છે કે મોસક્વિરિક્સ ફક્ત મલેરિયા માટે જ નહીં પરંતુ કોઇ પણ પ્રકારની પેરાસાઇટ જનિત બિમારીના ઇલાજમાં કારગર છે. પેરાસાઇટ કોઇ પણ વાયરસ અથવા બેક્ટેરિયાથી પણ વધુ જટિલ હોય છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ જણાવ્યું કે મોસક્વિરિક્સનો વિકાસ હજુ તો પ્રથમ પગથિયું છે. આ રસી પેરાસાઇટ વિરૂદ્ધ માનવીઓની લડાઇમાં પહેલી પેઢીની રસી છે. હજુ તેના અનેક નવા તાકાતવર વેરિયન્ટ્સ વિકસિત કરવામાં આવશે. કે જેથી વધુને વધુ લોકોને બચાવી શકાય.