Inactivity and retirement: નિવૃત્તિ એ માનવનો મૂળભૂત ધર્મ છે

નિષ્ક્રિયતા અને નિવૃત્તિ(Inactivity and retirement)

પૂજય સ્વામી વિદિતાત્માનંદ સરસ્વતીજીની વાણીભાગ-06

Inactivity and retirement: નિવૃત્તિ એ માનવનો મૂળભૂત ધર્મ છે એમ ભગવદ્‌ગીતા શીખવે છે. ચોવીસ કલાકના દિવસમાં પણ આપણી સૌથી પ્રિયમાં પ્રિય પ્રવૃત્તિ કઈ ? સઘળો બોજ બાજુમાં મૂકીને આરામથી પથારીમાં સૂઈ જાઉં અને ભગવાનની કૃપાથી છ-સાત કલાક નિંદર માણું તે મારી પ્રિયમાં પ્રિય પ્રવૃત્તિ.

   એ સુષુપ્તિ અર્થાત્‌ નિદ્રા શું છે ?

   એ નિવૃત્તિનું દૃષ્ટાંત છે.

બહેનો ગરબામાં કે લગ્નમાં બનીઠનીને ભારે સાડીઓ અને અલંકાર પહેરીને જાય છે, પરંતુ ઘરમાં આવીને બધું જ બાજુમાં મૂકી દે છે. કેમ ? જે બોજ હતો, તે હવે ન જોઈએ. હવે નિવૃત્ત બની જવું છે. નિવૃત્ત ન બની જાય ત્યાં સુધી ઊંઘ આવે જ નહીં. ઊંઘ નથી આવતી તેનું કારણ શું ? મન નિવૃત્ત નથી. મન જ્યારે બહારની જંજાળમાંથી મુક્ત થાય – ‘બસ, હવે મને દખલ ન કરો…. આવતી કાલે જોઈ લઈશું’ – એવી રીતે ધીમે ધીમે આપણે સ્થૂળ અને સૂક્ષ્મ દેહમાંથી નિવૃત્ત થઈએ ત્યારે ઊંઘ આવે અને પછી પૂર્ણ નિવૃત્તિનો આનંદ એટલે જ સુષુપ્તિનો આનંદ. સવારે એલાર્મ વાગે ત્યારે ઊઠવા કોઈ તૈયાર થતું જ નથી. નિવૃત્તિનો ત્યાગ કરી પાછંુ કોણ આ જંજાળમાં પડે ? સુષુપ્તિનો ત્યાગ કરવાનું કોઈ રીતે કોઈને ગમતું નથી. એ જ બતાવે છે કે જેમાં આનંદ છે તે પ્રિય છે.

   અર્થાત્‌ આનંદ ક્યાં છે ?

    આનંદ નિવૃત્તિમાં છે.

  માનવનું અંતિમ ધ્યેય છે આનંદની પ્રાપ્તિ. આનંદ નિવૃત્તિમાં છે. એટલે કે નિવૃત્તિ આપણું અંતિમ ધ્યેય છે. એ ધ્યેયને લક્ષમાં રાખીને પ્રવૃત્તિ કરીએ તો જ પ્રવૃત્તિ જીવનના ધ્યેયને પ્રાપ્ત કરવાનું સાધન બને, નહીંતર ના બને. એવી રીતે કર્મ કરવું, પ્રવૃત્તિ કરવી જે નિવૃત્તિમાં પરિણમે. તેને કહે છે કર્મયોગ. કર્મ જ્યારે આપણા અંતિમ ધ્યેયને, નિવૃત્તિને પ્રાપ્ત કરવાનું સાધન બને ત્યારે તે યોગ બની જાય, નહીં તો તે ઢસરડો બની જાય. આવો ઢસરડો કરીએ છીએ એટલે જ તો આપણે થાકી જઈએ છીએ. ચાલીસ-પચાસ વર્ષ થયાં, ન થયાં અને આપણે થાકી ગયા કામ કરી કરીને. કેમ ? કારણ કે આપણું કર્મ યોગ નથી, માત્ર બોજ વેંઢારતો ઢસરડો છે. ભગવદ્‌ગીતામાં ભગવાન પ્રવૃત્તિ કેમ કરવી એનો ઉપદેશ આપે છે, કારણ કે પ્રવૃત્તિ કરવી એ તો આપણો સ્વભાવ છે.

 ભગવાન કહે છે કોઈ પણ મનુષ્ય એક ક્ષણ માટે પણ નિષ્ક્રિય રહી શકે જ નહીં. શરીરથી કદાચ આપણે નિષ્ક્રિય હોઈએ તો પણ મનથી તો આપણે ખૂબ જ પ્રવૃત્ત હોઈએ છીએ. જ્ઞાની પુરુષોને બાદ કરતાં ભાગ્યે જ કોઈ એવું હશે જે લાંબો સમય નિવૃત્ત રહી શકે. જપ કે ધ્યાન કરવાનો પ્રયત્ન કરીએ ત્યારે આપણને અનુભવ થાય જ છે કે મન કેટલું સક્રિય છે ! ‘શ્રીરામ જય રામ જય જય રામ’ પાંચ-છ વાર બોલીએ ત્યાં રામને બદલે શ્યામ મનમાં આવી જાય, અયોધ્યા કે વૃન્દાવનથી માંડીને ઑસ્ટ્રેલિયા સુધી મન ચક્કર મારી આવે !

કેમ ? કારણ કે મનનો એ સ્વભાવ છે. કોઈ પણ મનુષ્ય ક્ષણભર માટે પણ નિષ્ક્રિય બેસી શકતો નથી. આપણી અંદર જે રજોગુણ છે, અનેક પ્રકારની ચંચળતા આપણામાં ભરી પડી છે તે કોઈ ને કોઈ પ્રકારે પોતાની અભિવ્યક્તિનો માર્ગ શોધતી જ હોય છે. તેથી કશું પણ ન કરતા હોઈએ ત્યારે પણ આપણી આંગળી ફર્યા કરતી હોય છે. શેતરંજી પર બેઠા હોઈએ તો તેનાં રુવાંટાં ઉખાડ્યા કરીએ. ટેલિફોન બૂથમાં ટેલિફોન જોડીએ, ક્યાંય સુધી ટક ટક થયા જ કરે, પાંચ મિનિટ સુધી ઘંટડી વાગ્યા કરે તો પછી આપણે શું કરીએ ? ત્યાં પડેલી ટેલિફોનની ડિરેકટરીનાં પાનાં ખોલીને એમાં લીટા કર્યા કરીએ. ટેલિફોન ડિરેક્ટરીમાં આવાં અનેક પ્રકારનાં ગૂંચળાં, અનેક પ્રકારના આકારો દૃષ્ટિગોચર થતા હોય છે, જેના દ્વારા માણસોના મનમાં પડેલા અનેક ગૂંચવાડાઓ બહાર વ્યક્ત થતા હોય છે.

ચોપાટી પર પ્રવચન ગોઠવાય ત્યારે લોકોને રેતીમાં સરસ ધંધો મળી જાય છે. પ્રવચન સાંભળતા જાય અને હાથથી રેતી આમતેમ નાખતા જાય. એમને ખ્યાલ પણ નથી હોતો કે આ પ્રકારનું કામ તેમના વડે થઈ રહ્યું છે ! અંદરની જે ચંચળતા છે તે પોતાને અભિવ્યક્ત કરવા માર્ગ શોધતી જ હોય છે અને તેથી આ ચંચળતાને આપણે દબાવી ન શકીએ. દબાવી રાખીએ તો કોઈ વાર એકદમ બળવો પોકારશે અને અનેક પ્રકારના વિકારો આપણા વ્યક્તિત્વમાં જાગૃત કરશે. માટે નિષ્ક્રિયતા આપણને સ્વીકાર્ય નથી. અભીષ્ટ પણ નથી.

વળી, ભગવાન કહે છે કે, હાથ-પગ જોડીને નિષ્ક્રિય બેસી રહેવાથી જીવનનિર્વાહ કરવાનું પણ દોહ્યલું થઈ પડે અને તો શરીરયાત્રા લાંબી ટકી શકે નહીં.

આમ, બધી રીતે જોતાં પ્રવૃત્તિ વગર રહેવાનું મનુષ્ય માટે શક્ય નથી.

આ પણ વાંચો:-Toll tax income: ટોલટેક્સથી ગુજરાતમાં રોજાના થાય છે કરોડોની કમાણી, જાણો આંકડા…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *