One Nation One Ration Card: ‘વન નેશન વન રેશનકાર્ડ’ યોજનાનો લાભાર્થીઓ લાભ મેળવે એ હેતુથી ૨૮મીએ જનજાગૃતિ કાર્યક્રમ
જાણો: કેવી રીતે કરી શકાય અરજી?
‘વન નેશન વન રેશનકાર્ડ’ યોજનાનો બહોળા પ્રમાણમાં લાભાર્થીઓ લાભ મેળવે એ હેતુથી તા.૨૮મીએ સુરત ખાતે જનજાગૃતિ કાર્યક્રમ યોજાશે
સુરત, 27 ઓગસ્ટ: રાજ્યમાં ‘વન નેશન વન રેશનકાર્ડ’ (ONORC) યોજનાનું સુવ્યવસ્થિત અમલીકરણ થઈ રહ્યું છે, ત્યારે આ યોજના અંગે લાભાર્થીઓને યોગ્ય જાણકારી મળે, પાત્ર લોકો જાગૃત્ત બની બહોળા પ્રમાણમાં આ યોજનાનો લાભ લઈ શકે તે હેતુસર કેન્દ્ર સરકાર દ્વારા નિયામક, પબ્લિક ડિસ્ટ્રીબ્યુશનના ઉપક્રમે તા.૨૮ ઓગસ્ટના રોજ સવારે ૧૦.૩૦ વાગ્યે સંજીવકુમાર ઓડિટોરિયમ, પાલ ખાતે જનજાગૃતિ કાર્યક્રમ યોજાશે.
જેમાં આ યોજનાની તલસ્પર્શી જાણકારી, મેરા રેશન એપ્લીકેશનનો લાઈવ ડેમો નિદર્શન, વાજબી ભાવની દુકાનધારકોના યોજનાના અમલ અંતર્ગત પ્રતિભાવો, તજજ્ઞો દ્વારા યોજનાની માહિતી આપતો વર્કશોપ, મહાનુભાવોના વક્તવ્યો રજૂ કરવામાં આવશે.
શું છે ‘વન નેશન વન રેશન કાર્ડ’ યોજના?
અન્ય રાજ્યોમાંથી રોજગારી માટે આવીને વતનથી દૂર સ્થાયી થયેલા લાખો શ્રમિક પરિવારો માટે વન નેશન વન રેશન કાર્ડ’ યોજના આશીર્વાદરૂપ બની છે. લાભાર્થી કે તેના પરિજન તેમને મળવાપાત્ર રાશન દેશમાં ગમે ત્યાં લઈ શકે છે, તે પણ રેશન કાર્ડ બતાવ્યા વિના. વડાપ્રધાનએ દેશના કોઈ પણ રાજ્યમાં કે ગામ-નગરમાં રોજગારી કે અન્ય આવશ્યકતાઓ માટે જતા લોકોને રાશન મેળવવામાં કોઈ સમસ્યા ન રહે તે માટે ‘વન નેશન વન રેશન કાર્ડ’ની વ્યવસ્થાઓ ઊભી કરવાનો ગરીબલક્ષી નિર્ણય કર્યો હતો, જેનો ગુજરાતમાં પણ સફળ અમલ થઈ રહ્યો છે.
N.F.S.A હેઠળના લાભાર્થીઓને મળવાપાત્ર જથ્થો દેશની, રાજ્ય કે જિલ્લાની કોઈપણ વાજબી ભાવની દુકાનેથી સમયસર, સરળતાથી અને પૂરતા પ્રમાણમાં મળી રહે તે માટે “વન નેશન વન રેશનકાર્ડ” (One Nation One Ration Card) યોજનાનો ભારત સરકાર દ્વારા વર્ષ-૨૦૧૯થી અમલ કરાઈ રહ્યો છે. ગુજરાત સહિત આજે દેશના મોટાભાગના રાજ્યોનો સમાવેશ કરીને સમગ્ર દેશના N.F.S.A હેઠળ લાભાર્થીઓને લાભ પૂરો પાડવામાં આવી રહ્યો છે. આ યોજના હેઠળ અંત્યોદય કુટુંબોને પ્રતિ કુટુંબ ૩૫ કિ.ગ્રા અનાજ તથા અગ્રતા ધરાવતા કુટુંબોને પ્રતિ વ્યકતિ ૫ કિ.ગ્રા અનાજનું વિતરણ કરવામાં આવે છે.
કેવી રીતે કરી શકાય અરજી?
આ યોજનાના લાભ લેવા માટે વિગતવાર માહિતી લોકો સુધી સરળતાથી પહોંચે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા “મેરા રેશન” મોબાઈલ એપ્લીકેશન જુદી જુદી પ્રાદેશિક ભાષામાં તૈયાર કરાઈ છે, જેમાં લાભાર્થી પોતાનું રજિસ્ટ્રેશન કરીને નજીકની વાજબી ભાવની દુકાન અંગેની વિગતો, મળવાપાત્ર જથ્થાની વિગતો વગેરે આંગળીના ટેરવે ઝડપથી મેળવી શકે છે.