RC Faldu

આપત્તિના સમયે પ્રામાણિક્તાથી ખેડૂતોના પડખે ઊભા રહેવું એ અમારો ધર્મ છે :આર.સી.ફળદુ

રાજ્યમાં હજુ પણ વરસાદ પડશે અને ખેડૂતોને નુક્સાન થશે તો ખેડૂતોને સહાયરૂપ થવા સરકારનું મન ખુલ્લુ છે – સરકાર ચોક્કસ સહાય કરશે :- મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી

  • મુખ્યમંત્રી શ્રી કિસાન સહાય યોજના હેઠળ રાજ્યના ૫૬ લાખથી વધુ ખેડૂતોને ખરીફ ઋતુના તમામ પાકો માટે આવરી લેવાશે
  • ખરીફ ઋતુમાં થયેલ પાકની નુકસાનની ટકાવારી ૩૦ થી ૬૦ ટકા હોય તો હેક્ટરદીઠ રૂા.૨૦ હજારની સહાય વધુમાં વધુ ૪ હેક્ટર સુધી
  • ૬૦ ટકાથી વધુ પાક નુકસાની હોય તો હેક્ટરદીઠ રૂા.૨૫ હજારની સહાય ૪ હેક્ટરની મર્યાદામાં અપાશે
  • અન્ય યોજનામાં પ્રીમીયમ લેવાય છે આ યોજનામાં કોઇ પ્રીમીયમ લેવાશે નહી
  • આ સરકારે ૧૦ ઇંચ વરસાદ પણ પડ્યો હોય તો તેને અછતગ્રસ્ત ગણવાનો અભિગમ અપનાવ્યો છે

ગાંધીનગર, ૨૨ સપ્ટેમ્બર: મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી વિધાનસભા ગૃહના નેતા તરીકે આજે વિધાન ગૃહની કાર્યવાહીમાં ‘મુખ્યમંત્રી કિસાન સહાય’ યોજના અંગેના ટૂંકી મૂદ્દતના પ્રશ્ન ની ચર્ચામાં સહભાગી થયા હતા.
મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, ખેડૂતોને અગાઉ ખરીફ પાકમાં જ વિમાનો લાભ મળતો હતો, ઉનાળુ કે શિયાળુ પાક માટે કોઇ લાભ વીમાનો મળતો ન હતો
તેમણે એમ પણ ઉમેર્યું કે, આપણે ત્યાં ક્યારેક અતિવૃષ્ટિ થાય તો ક્યારેક દુકાળ પડે. ખેડૂત પોતાના પાક માટે જે મહેનત કરે છે તેને નુકશાનીમાં પણ ટેકો મળી રહે તે માટે યોજના લાવ્યા છીએ. મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે, દુષ્કાળ કોને ગણવો તે બાબતે પણ એસ.ડી.આર.એફ.ના નોર્મ્સમાં પાંચ ઇંચ વરસાદ વાળા વિસ્તારને વર્ષો સુધી અછતગ્રસ્ત વિસ્તાર જાહેર કરવામાં આવતા હતા આ સરકારે ૧૦ ઇંચ વરસાદ પણ પડ્યો હોય તો તેને અછતગ્રસ્ત ગણવાનો અભિગમ અપનાવ્યો છે

આમ, દુષ્કાળની પરિભાષા આપણે નક્કી કરી છે તેમ તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, ૪૮ કલાકમાં ૨૫ ઇંચ અને ૩૫ ઇંચના વરસાદને અતિવૃષ્ટિ ગણવાનું ધોરણ સરકારે નક્કી કર્યું છે. જે ખેડૂતો આકાશી ખેતી કરે છે તેમને સુરક્ષા આપવા સરકારે આ ‘મુખ્યમંત્રી કિસાન સહાય’ યોજના જાહેર કરી છે. મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, આ યોજના ખેડૂતોને ઊંચુ પ્રીમીયમ ભરવું ન પડે, એ જ ભાવનાથી જાહેર કરાઇ છે. ખેડૂતોને સહાયરૂપ થવા માટે આ વર્ષથી અમલી બનાવેલ આ યોજનામાં આગામી સમયમાં જરૂર હશે તો પરિસ્થિતિને અનુલક્ષીને ધોરણો સુધારવા માટે પણ અમારી સરકારનું મન ખુલ્લું છે. સૌ સાથે બેસીને ખેડૂત અને ખેતીના વ્યાપક હિતમાં યોગ્ય નોર્મસ નક્કી કરીશું એમ તેમણે સ્પષ્ટ પણે જણાવ્યુ હતું.

loading…

કૃષિમંત્રી શ્રી આર.સી.ફળદુએ ટૂંકી મુદતના પ્રશ્નના પ્રત્યુત્તરમાં કહ્યું કે, આપત્તિના સમયે પ્રામાણિકતાથી ખેડૂતોની પડખે ઊભું રહેવું એ અમારો ધર્મ છે અને એ ધર્મ અમે સુપેરે નિભાવી રહ્યા છીએ. છેલ્લાં ૨૫ થી ૩૦ વર્ષમાં રાજ્યના કિસાનોના હિતમાં ખરીફ સિઝન દરમિયાન આપદા આવી હોય એવે વખતે અગાઉની કોઇ સરકારે મદદ ન કરી હોય એવી મદદ અમારી સરકારે કરી છે.
ભૂતકાળમાં સરકારોએ ખેડૂતોને ઇશ્વરના ભરોસે છોડી દીધા હતા અમે એમની પડખે ઊભા છીએ. આ મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાં રાજ્યના ૫૬ લાખથી વધુ નાના-સીમાંત ખેડૂતોને આવરી લેવાયા છે. એસ.ડી.આર.એફ.ના લાભો યથાવત રાખીને લાભ આપવામાં આવશે.
શ્રી ફળદુએ ઉમેર્યુ કે, આ યોજના હેઠળ અનાવૃષ્ટિ, અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદના જોખમોથી થયેલ પાક નુકસાનને સહાય માટે પાત્ર ગણવામાં આવશે. અમુક ઋતુમાં થયેલ પાક નુકસાન ૩૩ ટકાથી ૬૦ ટકા માટે પ્રતિ હેક્ટર રૂા. ૨૦ હજાર લેખે વધુમાં વધુ ૪ હેક્ટર સુધી સહાય ચૂકવાશે. એ જ રીતે ૬૦ ટકાથી વધુ નુકસાન માટે પ્રતિ હેકટરદીઠ રૂા.૨૫ હજારની સહાય વધુમાં વધુ ૪ હેક્ટરની મર્યાદામાં મળવાપાત્ર થશે. આ માટે ખેડૂતે ઓનલાઇન પોર્ટલ પર અરજી કરવાની રહેશે. મંજૂર થયેલ સહાય લાભાર્થીઓના બેન્ક એકાઉન્ટમાં સીધી DBT દ્વારા ચૂકવાશે તેમ તેમણે ઉમેર્યુ હતું.
મંત્રી શ્રી ફળદુએ આ યોજનાના આ ત્રણેય જોખમો સામે સહાયના ધોરણોની વિગતો આપતા કહ્યુ કે,

  1. અનાવૃષ્ટિ (દુષ્કાળ)ના કિસ્સામાં:- જે તાલુકામાં ચાલુ સિઝનનો ૧૦ ઈંચથી ઓછો વરસાદ પડેલ હોય અથવા રાજયમાં ચોમાસુ શરૂ થાય ત્યાંથી તા. ૩૧ ઓગસ્ટ સુધીના સમયગાળામાં બે વરસાદ વચ્ચે સતત ચાર અઠવાડિયા (૨૮ દિવસ) વરસાદ પડેલ ન હોય એટલે કે સતત શૂન્ય વરસાદ હોય અને ખેતીના વાવેતર થયેલ પાકને નુકસાન થયેલ હોય તેને અનાવૃષ્ટિ (દુષ્કાળ)નું જોખમ ગણવામાં આવશે.
  2. અતિવૃષ્ટિ હોય તેવી સ્થિતિમાં :- તાલુકાને યુનિટ ગણી અતિવૃષ્ટિના પ્રસંગો જેવા કે વાદળ ફાટવું, સતત ભારે વરસાદ કે જેમાં દક્ષિણ ગુજરાત રિજિયનના જિલ્લાઓ (ભરુચ, નર્મદા, તાપી, સુરત, નવસારી, વલસાડ અને ડાંગ) માટે ૪૮ કલાકમાં ૩૫ ઇંચ કે તેથી વધુ અને તે સિવાયના રાજ્યના તમામ જિલ્લાઓમાં ૪૮ કલાકમાં ૨૫ ઇંચ કે તેથી વધુ વરસાદ મહેસૂલી તાલુકાના રેઇન ગેજ મુજબ નોંધાયેલ હોય અને ખેતીના વાવેતર કરેલ ઊભા પાકમાં થયેલ નુકસાનને અતિવૃષ્ટિનું જોખમ ગણવામાં આવશે.
  3. કમોસમી વરસાદ (માવઠું)ની સ્થિતિ સજાર્ય ત્યારે:- ૧૫ ઓક્ટોબર થી ૧૫ નવેમ્બર સુધીમાં મહેસૂલી તાલુકાના રેઇન ગેજમાં સળંગ ૪૮ કલાકમાં ૫૦ મી.મી.થી વધુ વરસાદ પડે અને ખેતીના પાકને ખેતરમાં નુકસાન થાય તો તે કમોસમી વરસાદ (માવઠું)નું જોખમ ગણવામાં આવશે તેમ તેમણે ઉમેર્યું હતું.
Reporter Banner FINAL 1