Vidhan sabha

ગુજરાત વિધાનસભાનું આગામી ચોમાસુ સત્ર તા. ૨૧મી સપ્ટેમ્બરથી મળશે: પ્રદિપસિંહ જાડેજા

Vidhan sabha
  • પાંચ દિવસના આ ઐતિહાસિક સત્ર દરમિયાન જનહિતને લગતા ૨૪ જેટલા સરકારી વિધેયકો પસાર કરાશે
  • કોરોના કાળમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર ‘કોરોના વોરિયર્સ’ને બિરદાવવા માટે નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ દ્વારા સરકારી સંકલ્પ રજૂ કરાશે
  • કોરોનાનું સંક્રમણ ન ફેલાય એ માટે પૂરતી તકેદારીના પગલાં લેવાશે : તમામ ધારાસભ્યશ્રીઓના કોરોના ટેસ્ટ કરાશે : મુલાકાતીઓને પ્રવેશ નહીં અપાય

અહેવાલ: દિલીપ ગજજર, ગાંધીનગર

ગાંધીનગર,૧૬ સપ્ટેમ્બર:વૈધાનિક અને સંસદીય બાબતોના મંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજા એ જણાવ્યું છે કે ગુજરાત વિધાનસભાનું આગામી ચોમાસુ સત્ર તા. ૨૧મી સપ્ટેમ્બરથી યોજાશે. પાંચ દિવસ સુધી ચાલનારા આ ઐતિહાસિક સત્રમાં જનહિતને લગતાં ૨૪ જેટલા વિધેયકો રજૂ કરીને પસાર કરાશે.

આજે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષે મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં વિધાનસભાના સત્ર સંદર્ભે થયેલ વિસ્તૃત ચર્ચા બાદ આ અંગે મીડિયાને વિગતો આપતા મંત્રી શ્રી જાડેજાએ કહ્યું કે, ગુજરાતમાં પ્રવર્તી રહેલ કોરોનાની પરિસ્થિતિને અનુલક્ષીને વિધાનસભાના અધ્યક્ષશ્રી દ્વારા સંક્રમણ ન થાય એ માટે પૂરતી તકેદારીના પગલા લેવામાં આવ્યા છે. મુખ્યમંત્રીશ્રી સહિત મંત્રીમંડળના સભ્યો, તમામ ધારાસભ્યશ્રીઓને ટેસ્ટિંગ કર્યાં બાદ જ પ્રવેશ અપાશે. ગૃહમાં યોગ્ય સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે માટે પણ પૂરતુ આયોજન કરાયું છે. વિધાનસભાના સત્ર દરમિયાન તકેદારીના ભાગરૂપે અરજદારો મુલાકાતીઓને પ્રવેશ અપાશે નહીં.

loading…

મંત્રી શ્રી જાડેજાએ ઉમેર્યું કે રાજ્યમાં કોરોના કાળના વિપરીત સંજોગોમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર કોરોના વોરિયર્સની કામગીરીને બિરદાવવા માટે નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ દ્વારા સરકારી સંકલ્પ રજૂ કરાશે. જે ૨૪ વિધેયકો રજૂ થવાના છે તેમાં મુખ્યત્વે ગુંડા ધારા એકટ, પાસાના કાયદામાં સુધારો, ભૂમાફિયા એકટ અને મહેસૂલી સેવાના રજીસ્ટર એક્ટ અંગેના વિધેયકો પસાર કરીને જનહિત લક્ષી નિર્ણય લેવાશે.

તેમણે કહ્યું કે, આગામી તા.૨૦મી સપ્ટેમ્બરના રોજ ભાજપના ચૂંટાયેલા ધારાસભ્યોશ્રીની બેઠક મળનાર છે. અધ્યક્ષશ્રી દ્વારા કોરોના સંદર્ભે લેવાયેલા પગલાં અંગે આ બેઠકમાં ધારાસભ્યોશ્રીને માહિતી આપી તેને અનુસરવા માર્ગદર્શન અપાશે. તેમણે ઉમેર્યું કે, વિધાનસભાના અધ્યક્ષશ્રી દ્વારા સત્ર દરમિયાન જરૂરિયાતવાળા લોકોને જ પ્રવેશ આપવામાં આવશે. મુલાકાતીઓને પ્રવેશ મળશે નહીં. અરજદારો પણ આ પાંચ દિવસ દરમિયાન વિધાનસભા આવવાનું ટાળે જેથી સંક્રમણ ફેલાય નહીં, ગૃહમાં પણ યોગ્ય સોશ્યલ ડિસ્ટન્સ જળવાય તે પ્રકારની તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. અરજદારોએ પોતાની રજૂઆતો સચિવાલય સંકુલમાં કરી શકે તેવી વ્યવસ્થા માટે સુચના આપવામાં આવી છે તેમ તેમણે ઉમેર્યું છે.