વડોદરા:પ્લાઝમા ડોનર સહિત ૧૭ કર્મયોગી કોરોના વોરિયર સન્માનિત
નર્મદા વિકાસ રાજ્યમંત્રીશ્રી યોગેશભાઈ પટેલના હસ્તે કોરોના વોરિયર્સને સન્માનિત કરવામાં આવ્યા
પ્લાઝમા ડોનર સહિત ૧૭ કર્મયોગી કોરોના વોરિયર સન્માનિત
મંત્રીશ્રી તથા મહાનુભાવોએ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.ઉદયકુમાર ટીલાવતને કોવીડ-૧૯ મહામારી દરમિયાન સતત અથાગ કામગીરી કરવા અને જિલ્લાની ટીમોને પ્રોત્સાહિત કરી કામગીરી કરી હતી. આ ઉપરાંત તેમના શીરે સમગ્ર જિલ્લાની આરોગ્યલક્ષી જવાબદારી આવતી હોય તેમના દ્વારા કોવીડ-૧૯ મહામારીના સમયગાળા દરમિયાન જિલ્લાકક્ષાએ તમામ માહિતીનું સંકલન કરવા ઉપરાંત તે અનુસાર જરૂરી પગલાઓ લેવા જેવી અત્યંત મહત્વપૂર્ણ કામગીરી બજાવવામાં આવી તે બદલ તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા.
સાંઢાસાલ મેડિકલ ઓફિસર ડૉ. ગૌરાંગ પટેલે, કોવીડ-૧૯ અંતર્ગત એસ.એસ.જી. હોસ્પિટલ ખાતે બાબરીયા કોવીડ કેર સેનટર ખાતે તથા કાશીબા હોસ્પિટલ સાવલીના કોવીડ કેર સેન્ટર ખાતે ખૂબ નિષ્ઠાપૂર્વક અને પ્રશંસનીય કામગીરી હતી, આથી તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા. ગોત્રી હોસ્પિટલ વડોદરા ખાતે કોવીડ અંતર્ગત દર્દીઓની સારી કામગીરી કરનાર ડૉ.તેજસ પટેલ, એસ.એસ.જી. હોસ્પિટલ ખાતે એનેસ્થેસીઓલોજીસ્ટ ડૉ. પીનલ બુમીયાને સન્માનિત કરવામાં આવી હતી.
ભાયલી વિસ્તારમાં કોવીડ સંબંધિત સારી કામગીરી કરવા બદલ મ.પ.હે.વ. વિશાલ હિંગુ, પાદરા અર્બનમાં કોવીડની સારી કામગીરી કરવા બદલ એફ.એચ.ડબલ્યુ સુશ્રી સોનલબેન રાઠવા, કોવીડ દર્દીઓની સારવાર માર્ચ-૨૦૨૦થી સતત કામગીરી કરી રહેલા સ્ટાફ નર્સ કમલેશ પંચાલ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ચાણોદ ખાતે ફરજ બજાવતા આશા વર્કર સુમનબેન વસાવા તથા કોવીડ દર્દીઓના વોર્ડમાં સાફસફાઇની કામગીરી કરતા સ્વીપર નયન સોલંકી તથા સંતોષબેન અશોકભાઇ પરમારને મંત્રીશ્રી તથા મહાનુભાવોને હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા.
વડોદરા ખાતે લોકડાઉન દરમિયાન આયુષના અમૃત્ત પેય ઉકાળા વિતરણની કામગીરીમાં અગ્રેસર રહી મોટા પ્રમાણમાં વિતરણ કરવાની કામગીરી કરનાર સરકારી આયુર્વેદિક મહાવિદ્યાલય વડોદરા ખાતેના દ્વિત્તિય વર્ષ પીજી સ્કોલર વૈદ્ય તેજન મહેન્દ્રભાઇ ભટ્ટને સન્માનિત કરવામાં આવ્યા હતા.
કોવીડ-૧૯ મહામારી દરમિયાન રોગપ્રતિકારક શક્તિવર્ધક ઉકાળા વિતરણ, આયુષ-એસડીજી ડિજિટલ કેલેન્ડરમાં સંપાદન તેમજ આયુષ ગ્રામ પ્રોજેકટ વાઘોડીયામાં ઉત્તમ આયુષ સેવાઓ બજાવવા બદલ વસવેલ દવાખાના ખાતે ફરજ બજાવતાં મેડિકલ ઓફિસર વૈદ્ય આશુતોષ આર. પંડ્યાને સન્માનિત કરવામાં આવ્યા હતા.
કોરોનાથી સાજા થયેલા દર્દીઓ દ્વારા પ્લાઝમા થેરાપી માટે પ્લાઝમા દાતાઓનો હકારત્મક અભિગમ જોવા મળી રહ્યો છે. વડોદરામાં ઇન્દુ બ્લડ બેંક ખાતે શ્રી ડૉ.ભાઇ સાહેબે બે વખત પ્લાઝમા ડોનેશન કર્યુ. વધુમાં તેમણે જેટલી વખત જરૂર પડે તેટલી વાર પ્લાઝમા ડોનેશનની તૈયારી બતાવી છે.
ડભોઇ પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા અ.હે.કો. રાજેન્દ્રસિંહ મહેન્દ્રસિંહને કોવીડ-૧૯ મહામારી દરમિયાન નિષ્ઠાપૂર્વક ફરજો બજાવી હતી. લૂંટના ગુનાના આરોપીની ધરપકડ કરી, તે આરોપી કોરોના પોઝીટીવ હતો તેથી અ.હે.કો. રાજેન્દ્રસિંહ મહેન્દ્રસિંહને પણ કોરોના થયો અને હાલ તેઓ સ્વસ્થ થયા છે. કપરા કાળ દરમિયાનની તેમની ફરજને લીધે તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા. કોવીડ-૧૯ સંબંધિત બંદોબસ્ત દરમિયાન લોકડાઉનનો ચૂસ્ત અમલ થાય અને તે ફરજ વખતે કોરોના પોઝીટીવ આવ્યો તેવા એલસીબી વડોદરા ગ્રામ્ય ખાતે ફરજ બજાવતા આ.પો.કો. કિરણકુમાર ભાઇલાલને સન્માનિત કરવામાં આવ્યા હતા.
કારેલીબાગ પોલીસ સ્ટેશન વડોદરા ખાતે ફરજ બજાવતા પોલીસ ઇન્સપેકટર આર.એ. જાડેજાએ લોકડાઉન દરમિયાન લોકોને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ સરળતાથી મળી રહે તે માટે વહીવટી તંત્ર સાથે લાઇઝનીંગની કામગીરી કરી હતી. આ ઉપરાંત કારેલીબાગ પોલીસ સ્ટેશન વિસ્તારનો નાગરવાડા ઝોન રેડ હોટ સ્પોટ જાહેર થયો હતો ત્યારે આ વિસ્તારમાં અન્ય વિસ્તારના લોકો ન જાય, સંક્રમણ ન થાય તે માટે ઉત્કૃષ્ટ બંદોબસ્ત ગોઠવવાની કામગીરી બદલ તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા.
શહેરમાં કાર્યરત સિનિયર સીટીઝન સેલ તથા નિર્ભયા સેલનું સંચાલન કરી ટીમના કર્મચારીઓને સાથે રાખી શહેરમાં એકલવાયું જીવન જીવતા સિનિયર સીટીઝનનો સંપર્ક કરી તેમના ઘરે જઇને તેમને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ, મેડિકલ સારવાર તથા એકલતા અનુભવતા હોય તો તેમને મનોચિકિત્સક સહિતની મદદ અને માર્ગદર્શન પહોંચાડવા બદલ કારેલીબાગ પોલીસ સ્ટેશન વડોદરા ખાતે ફરજ બજાવતા મહિલા પોલીસ ઇનસ્પેકટર શ્રીમતી જે.આર. સોલંકીને સન્માનિત કરવામાં આવ્યા હતા.