જિયોના ટ્રેડમાર્કનો ઉપયોગ કરી ઘઉંનો લોટ વેચવા બદલ સુરતમાં ચારની ધરપકડ
જિયો બ્રાન્ડનેમનો ઉપયોગ કરી ઘઉંનો લોટ વેચવા બદલ સુરત સ્થિત રાધાક્રિષ્ણ ટ્રેડિંગ કંપની સામે એફઆઇઆર દાખલ
સુરત, 21 જાન્યુઆરી: રિલાયન્સ જિયોના ટ્રેડમાર્કનો ઉપયોગ કરીને ઘઉંનો લોટ વેચવા બદલ સુરત પોલીસે ચાર જણાની ધરપકડ કરી છે. કંપનીની ફરિયાદના આધારે બુધવારે સુરત પોલીસે આ કાર્યવાહી કરી હતી.
જિયોના બ્રાન્ડનેમ અને લોગોનો ઉપયોગ કરીને ઘઉંનો લોટ વેચવા માટે સુરત સ્થિત ટ્રેડિંગ કંપની સામે સચીન પોલીસ સ્ટેશનમમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જિયોના લોગો અને ડિઝાઇનનો ઉપયોગ કરવા બદલ ટ્રેડ માર્ક એક્ટ 1999નો ભંગ કરવા બદલ સુરતની રાધાક્રિષ્ણ ટ્રેડિંગ કંપની સામે એફઆઇઆર દાખલ કરવામાં આવી હતી.
સુરત ઝોન-3ના ડેપ્યૂટી પોલીસ કમિશનર વિધિ ચૌધરીએ જણાવ્યું હતું કે, ટ્રેડ માર્ક એક્ટ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. “જિયોના ટ્રેડમાર્કનો ઉપયોગ કરીને ઘઉંનો લોટ વેચવા માટે રામ ક્રિષ્ણ ટ્રેડલિન્ક નામની કંપની વિરુદ્ધ રિલાયન્સ જિયોએ ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે અમે આ મામલે ચાર વ્યક્તિઓની ધરપકડ કરી છે.”
પોલીસ ફરિયાદ મુજબ, ગત આઠમી જાન્યુઆરીના રોજ ઇન્ડિયા ટીવી નેટવર્ક ઉપર એવા સમાચાર પ્રસારિત થયા હતા કે “જિયો ડેટા કે બાદ જિયો આટા” અને સુરતની રાધાક્રિષ્ણ ટ્રેડિંગ કંપની જિયો લખેલી બોરીમાં ઘઉંનો લોટ વેચે છે તેમ પણ પ્રસારિત થયેલા સમાચારમાં જણાવવામાં આવ્યું હતું. આ બાબત ધ્યાને આવતાં રિલાયન્સ દ્વારા સુરતના પોલીસ કમિશનરને આ બાબતે તપાસ કરવા અરજી કરવામાં આવી હતી.
એફઆઇઆરમાં વધુમાં જણાવ્યું છે કે, રાધાક્રિષ્ણ ટ્રેડિંગ કંપની તથા તપાસમાં નીકળી આવે એ તમામ લોકોએ રિલાયન્સ કંપનીના ટ્રેડ માર્ક એવા “Jio”ના લોગો અને ડિઝાઇનનો ઉપયોગ કરી ઘઉંનો લોટ ભરવાની બોરી ઉપર આ લોગો તથા ડિઝાઇન છાપી બજારમાં વેચાણ કર્યું હતું. પરંતુ રિલાયન્સ જિયો બ્રાન્ડથી આવા કોઈ ખેતીવાડી ઉત્પાદન વેચતું નથી. આ તમામ લોકોએ પોતાના આર્થિક લાભ મેળવવા રિલાયન્સના ટ્રેડ માર્કનો ખોટી રીતે ઉપયોગ કર્યો છે. માટે આ તમામ લોકો વિરુદ્ધ કાયદેસરના પગલાં લેવા માટે આ ફરિયાદ કરવામાં હતી.