Gujarat FCI Godown: ગુજરાતના જે જિલ્લામાં ગોડાઉન ના હોય ત્યાં આગામી સમયમાં ગોડાઉન બનાવવા અંગે પણ અધિકારીઓ સાથે વાતચીત કરી હતી
Gujarat FCI Godown: કેન્દ્રીય ગ્રાહક બાબતો, અનાજ અને જાહેર વિતરણ રાજ્ય મંત્રી સાધ્વી નિરંજન જ્યોતિ ગુજરાતની મુલાકાતે
- દેશના 80 કરોડ લોકોને મફત અનાજ આપવું ખૂબ જ મોટી ઉપલબ્ધિ: રાજ્ય મંત્રી સાધ્વી નિરંજન જ્યોતિ
- ગુજરાતમાં ફૂડ વિતરણનું કામ ખૂબ જ સારી રીતે ચાલી રહ્યું છે
- ટૂંક સમયમાં દેશમાં મફત રસીકરણનો આંક એક અબજે પહોંચશે
ગાંધીનગર, ૧૮ ઓક્ટોબર: Gujarat FCI Godown: કેન્દ્રીય ગ્રાહક બાબતો, અનાજ અને જાહેર વિતરણ રાજ્યમંત્રી સાધ્વી નિરંજન જ્યોતિ ગુજરાતની એક દિવસની મુલાકાત લીધી. તેમણે આજે અમદાવાદમાં એનેક્ષી સરકીટ હાઉસ ખાતે ફૂડ કોર્પોરેશનના અધિકારીઓ, સેન્ટ્રલ વેરહાઉસ કોર્પોરેશન (સીડબલ્યૂસી) તેમજ ફૂડ કંટ્રોલર અધિકારીઓ સાથે બેઠક આયોજિત કરી હતી.
આ બેઠકમાં તેમણે લાભાર્થીઓને નિયમિત રાશન અનાજનો પુરવઠો મળી રહે તે માટે તકેદારી રાખવા કહ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત આપવામાં આવતું અનાજ ચોખ્ખું હોવું જરૂરી છે તેનું પણ ધ્યાન રાખવું જોઈએ. તેમણે સીડબલ્યૂસી એટલે કે સેન્ટ્રલ વેરહાઉસ કોર્પોરેશનના અધિકારીઓ સાથે ગુજરાતમાં ગોડાઉનની સ્થિતિ અંગે પણ માહિતી મેળવી હતી.
તેમણે જે જિલ્લામાં ગોડાઉન (Gujarat FCI Godown) ના હોય ત્યાં આગામી સમયમાં ગોડાઉન બનાવવા અંગે પણ અધિકારીઓ સાથે વાતચીત કરી હતી, જેથી અનાજના સ્ટોરેજની સમસ્યા ગુજરાતમાં ના થાય. ખેડૂતોને એમએસપી અંતર્ગત ભાવ મળી રહ્યા છે કે કેમ તે અંગે પણ અધિકારીઓ સાથે વાતચીત કરી હતી.
તેમણે જણાવ્યું હતું કે દેશમાં 80 કરોડથી પણ વધુ લોકોને મફત રાશન આપવામાં આવી રહ્યું છે જે મોટી ઉપલબ્ધિ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા દેશભરમાં મફત રસીકરણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, ત્યારે હવે આપણે દેશના એક અબજ લોકોને ટૂંક સમયમાં રસી આપવાના લક્ષ્યાંકને પૂરો કરવા જઈ રહ્યા છીએ જે કોરોનાને રોકવા માટે ઉપયોગી બની રહેશે.
મંત્રી સાથેની બેઠકમાં ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના જનરલ મેનેજર શ્રીકાંત પ્રસાદ, સીડબલ્યૂસીના રીજનરલ મેનેજર માતેશ્વરી મિશ્રા તેમજ એડિશનલ ફૂડ કંટ્રોલર જશવંત જગોડાજી તેમજ અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.