કોરોનાગ્રસ્ત પેશન્ટ અટેન્ડેન્ટ કરતી બહેનોએ વૈદિક પંચતત્વ યુક્ત રાખડીઓ બનાવી
સકારાત્મક ઉર્જાનું નિર્માણ કરવા અસરકારક છે આ પંચતત્વો
સુતરના તાંતણે પંચતત્વો પરોવીને બહેનોની રક્ષા કામના
ખાસ લેખ-અમિતસિંહ ચૌહાણ
ભાઈ-બહેનના પરસ્પર સ્નેહના પ્રતીક સમૂહ પર્વ એટલે રક્ષાબંધન… આ પાવન પર્વ દરેક બહેન પોતાના ભાઈની રક્ષા કામના કરતી હોય છે. સિવિલ સંકુલમાં 1200 બેડની હોસ્પિટલમાં સેવારત બહેનોએ પંચતત્વોને સુતરના તાંતણે પરોવીને ભાઇ-બહેનના સ્નેહને વધુ મજબૂત બનાવ્યો છે.
કોરોના સંક્રમિત દર્દીઓના ઉપચારમાં એલોપેથીની સાથે સાથે આયુર્વેદિક ઉપચાર પદ્ધતિ પણ અસરકારક સાબિત થઈ રહી છે તેને કેન્દ્ર સ્થાને રાખીને કોરોના ડેડિકેટેડ ૧૨૦૦ બેડ હોસ્પિટલમાં દર્દીઓની સેવા-શુશ્રુષા કરતા પેશન્ટ એટેન્ટેન્ટ બહેનો દ્વારા દર્દીઓ માટે પંચતત્વયુક્ત રાખડી બનાવવામાં આવી છે.
અસ્તરના કાપડનો ઉપયોગ કરીને તેમાં આ પંચતત્વો એટલે કે દૂર્વા (દાસ), અક્ષત(ચોખા),કેસર,ચંદન, રાઈ/સરસવ દાણા ઉમેરીને બહેનો દ્વારા સંપૂર્ણપણે દેશી પધ્ધતિથી રાખડીઓ બનાવવામાં આવી છે.
આ પંચતત્વનું મહત્વ જોઈએ તો
દૂર્વા(ઘાસ)….દૂર્વાનો એક અંકુર વાવતા તે તેજીથી ફેલે છે અને હજારોની સંખ્યામાં ઉગી જાય છે તે જ રીતે ભાઈનો વંશ અને તેમાં સદગુણનો વિકાસ તેજીથી થાય. સદાચાર, મનની પવિત્રતા તીવ્રતાથી વધી જાય. દૂર્વા વિઘ્નહર્તા ગણેશજીને પ્રિય છે. એટલે જે રાખી બાંધી રહ્યા છે તેના જીવનમાં વિઘ્નોના નાશ થઈ જાય.
અક્ષત(ચોખા)…. પરસ્પર એક બીજાના પ્રત્યે શ્રદ્ધા ક્યારે ક્ષત-વિક્ષત ના હોય અને હંમેશા અક્ષત રહે છે.
કેસર…..કેસરની પ્રકૃતિ તીવ્ર હોય છે એટલે જેને રાખડી બાંધી રહ્યા છે તે તેજસ્વી હોય તેમના જીવનમાં આધ્યતમિકતાનો તેજ, ભક્તિનો તેજ ક્યારે ઓછું ના હોય.
ચંદન….. ચંદનની પ્રકૃતિ શીતળ હોય છે અને આ સુગંધ આપે છે તેવી જ રીતે ભાઈના જીવનમાં શીતળતા બની રહે છે. માનસિક તણાવ અનુભવાતો નથી સાથે જ તેમના જીવનમાં પરોપકાર, સદાચાર અને સંયમની સુગંધ ફેલાતી રહે.
રાઈ/સરસવ દાણા…… સરસવની પ્રકૃતિ તીક્ષ્ણ હોય છે. એટલે તેનાથી આ સંકેત મળે છે કે સમાજના દુર્ગુણને કંટકને સમાપ્ત કરવામાં અાપણે તીક્ષ્ણ બનીએ. સરસવના દાણા ભાઈની નજર ઉતારવા અને બુરી નજરથી ભાઈને બચાવવા માટે પણ પ્રયોગમાં લેવાય છે.
આ પંચતત્વયુક્ત રાખડીઓ બહેનો દ્વારા ભાઈઓને બાંધીને તેમનામાં ઉક્ત ઉપયોગીતાના સકારાત્મત્ક પરિણામો મળે તેમજ તેમના જીવનમાં નવીન ઉર્જાનો ઉદભવ થાય તે હેતુસર બનાવવામાં આવી છે.
લાંબા સમયથી કોવિડ ડેડિકેટેડ હોસ્પિટલમાં જ કોરોનાગ્રસ્ત દર્દીઓની સેવા કરતા આ પેશન્ટ એટેન્ડેન્ટ બહેનો લાગણીઓના તાંતણે હોસ્પિટલથી બંધાઈ ગયા હોવાથી પોતાની લાગણીઓને સુતરના તાંતણામાં પરોવીને તબીબો, સ્ટાફ મિત્રો, દર્દીઓના દીર્ધાયુ અને સર્વાર્થ સિદ્ધિની બહેનો દ્વારા આજના પર્વ નિમિત્તે પ્રાર્થના કરવામાં આવી હતી.