Putrada Ekadashi: પુત્રદા એકાદશી; એની પાછળની એક પૌરાણિક કથા
Putrada Ekadashi: શ્રાવણ મહિનો હિંદુઓ માટે અતિ પવિત્ર મહિનો મનાય છે. શ્રાવણ માસનાં શુક્લ પક્ષમાં આવતી અગિયારસને પવિત્રા એકાદશી કહેવામાં આવે છે. શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે ભગવાનને નવા વાઘા અને સુતરનાં હાર પહેરાવવાનો શુભ દિવસ એટલે પવિત્રા એકાદશી.
આ શ્રાવણ સુદ એકાદશીને કેટલાક પુત્રદા એકાદશી પણ કહે છે. જો કે શાસ્ત્રીય રીતે પુત્રદા એકાદશી પોષ સુદ અગિયારસને કહેવાય છે. બંન્ને એકાદશીની પૌરાણીક કથામાં અનુક્રમે મહિષ્મતિ નગરીનાં રાજા મહિપતિને તથા ભદ્રાવતી નગરીનાં રાજા સુકેતુમાનને એકાદશીનાં વ્રતથી પુત્ર પ્રાપ્તિ થાય છે આથી કદાચ પુત્રદા એકાદશી નામ આપેલ હશે.
એની પાછળની એક પૌરાણિક કથા એવી છે કે દ્વાપર યુગનાં આરંભે મહિષ્મતિ નામની એક નગરી હતી. એ નગરમાં રાજા મહિજીત રાજ કરતાં હતાં. નિ:સંતાન હોવાને કારણે રાજા ખૂબ જ દુ:ખી હતાં. મંત્રીઓથી રાજાનું દુ:ખ સહન નહોતું થતું. તેથી તેઓ લોમશ ઋષિની પાસે ગયા. ઋષિને રાજાનાં નિ:સંતાન હોવાનાં કારણ અને ઉપાય પુછ્યાં.
મહાજ્ઞાની લોમશ ઋષિએ થોડી વાર આંખો બંધ કરી અને રાજાનાં પૂર્વ જન્મનું વૃતાંત જાણીને કહ્યું કે ગત જન્મમાં રાજાને એકાદશીનાં દિવસે ભુખ્યા-તરસ્યા રહેવું પડ્યું. પાણીની તલાશમાં તેઓ એક સરોવર સુધી પહોચ્યાં તો એક ગર્ભવતી ગાય ત્યાં પાણી પી રહી હતી. રાજાએ ગાયને ભગાડી દીધી અને પોતાની તરસ બુઝાવી હતી તેમનાંથી અજાણતા એકાદશીનાં દિવસે ગર્ભવતી ગાયને તેમને તરસી રાખી.
આ કારણે જ રાજા નિ:સંતાન છે. લોમેશ ઋષિએ મંત્રિઓને કહ્યું કે, જો આપ લોકો ઇચ્છો છો કે રાજાને પુત્રની પ્રાપ્તિ થાય તો શ્રાવણ શુક્લ એકાદશીનું વ્રત રાખો અને દ્વાદશીનાં દિવસે વ્રતનું પુણ્ય રાજાને દાન કરો. મંત્રિઓએ ઋષિની જણાવેલી વિધિ અનુસાર વ્રત કરીને તેનું ફળ રાજાને મળે તેવી કામના કરી. તે બાદ રાજાને પુત્રની પ્રાપ્તિ થઇ.
એવું કહેવાય છે કે વિક્રમ સંવત ૧૫૪૯માં ગોકુળમાં ગોવિંદ ઘાટ ઉપર શ્રી મહાપ્રભુજી પોઢયા હતા. ત્યાં મધ્યરાત્રિએ શ્રી ગોવર્ધન પ્રભુ પ્રગટ થયા. શ્રી મહાપ્રભુજીને સાક્ષાત દર્શન આપ્યા અને દૈવી જીવોને બ્રહ્મસબંધ મંત્ર આપવાની આજ્ઞા કરીને કહ્યું તમે જે જીવને શરણે લેશો તે જીવનો હું કદાપિ ત્યાગ નહી કરું. શ્રી મહાપ્રભુજી ખૂબ જ પ્રસન્ન થયા તે સમયે જનોઇ બદલવા માટે તૈયાર કરેલી માળા પવિત્રા રૂપે શ્રીનાથજી બાવાને ઘરી મીસરીનો ભોગ ધર્યો અને વિશ્વ પ્રસિદ્ધ મધુરાષ્ટક ગાયું.
શ્રીજી બાવાની સ્તુતિ કરી શ્રીજી અને શ્રી વલ્લભનું મિલન થયું. બીજા દિવસે આ મંત્રની પ્રથમ ગુરૂ દીક્ષા દામોદરદાસ હરસાનીજીને આપી. આ દિવસ આજે પુષ્ટિમાર્ગનો સ્થાપના દિવસ તરીકે ઉજવાય છે. પુષ્ટીમાર્ગ પ્રમાણે પવિત્રા એકાદશી અને બારસ એટલે પ્રભુ અને ગુરૂનાં ઋણને ચુકવવાનો દિવસ છે. આ પ્રસંગે શહેરની હવેલીઓ મોટામંદિર, નંદાલય, વ્રજવિલાસ, શ્રીનાથજી, ગોવિંદજી, લલ્લુજી મહારાજ, ગોવર્ધનનાથ અને પુષ્ટિધામ હવેલીમાં બે દિવસ ભગવાનને પવિત્રાનાં હિંડોળા સહિત વિવિધ મનોરથો કરાશે.
આપ સહુને પવિત્રા અગિયારસની ખૂબ ખૂબ શુભકામનાઓ…!! વૈભવી જોશી