ગુજરાતનાં 52 લાખ વિધાર્થીને મધ્યાહન ભોજનની યોજનાનો લાભ છેલ્લા છ મહિના કરતા વધુ સમયથી મળી રહ્યો નથી: ડો. મનિષ દોશી
અમદાવાદ, ૧૩ ડિસેમ્બર: વૈશ્વિક મહામારી કોરોનામાં જ્યારે ધંધા રોજગાર ઠપ્પ થયા છે સૌથી પહેલા શાળા-શિક્ષણ સંસ્થાનો બંધ થઈ અને હજુ સુધી ક્યારે ખુલશે એ અનિર્ણત છે ત્યારે ગુજરાતનાં 52 લાખ વિધાર્થીને મધ્યાહન ભોજનની યોજનાનો લાભ છેલ્લા છ મહિના કરતા વધુ સમયથી મળી રહ્યો નથી. કોરોનાકાળમાં ગરીબ-સામાન્ય વર્ગનાં બાળકોને મધ્યાહન ભોજન અન્વયે અનાજ અને આર્થિક સહાય આપવા માંગ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનાં મુખ્યપ્રવક્તા ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે ગુજરાતનાં મોટા શહેર અમદાવાદ, સુરત, રાજકોટ વગેરેમાં ફૂડ સિક્યુરિટી એલાઉન્સ છેલ્લા ૧૨૦ દિવસથી ચુકવણી કરવામાં આવી નથી.ગુજરાત રાજ્યના 52 લાખ વિધાર્થીઓ મધ્યાહન ભોજનથી વંચિત રહ્યા છે. રાજ્યમાં તત્કાલિક કોંગ્રેસ સરકારે મધ્યાહન ભોજન યોજના લાગુ કરી હતી ત્યારબાદ સમગ્ર દેશમાં કોંગ્રેસ નેતૃત્વ સરકારે લાગુ કરી. મધ્યાહન ભોજન યોજનાને લીધે બાળકોને યોગ્ય પોષણયુકત ખોરાક મળે- ડ્રોપ આઉટ રેટ ઘટે અને બાળ મજૂરી પર રોક લાગે એવા શુભ હેતુથી મધ્યાહન ભોજન યોજના શરૂ થઈ હતી જેનો લાભ ગુજરાતનાં 52 લાખ વિધાર્થીઓને મળી રહ્યો છે પરંતુ ગરીબ બાળકોના મહોમાંથી અનાજ છીનવાવનું કામ ભાજપ સરકાર અને તેના મળતીયાઓ કરી રહ્યા છે.સાથોસાથ ભાજપ સરકાર દ્વારા આદિવાસી વિસ્તારની શાળાઓમાં દૂધ સંજીવની યોજના અંતર્ગત મળતું દૂધ વિતરણ પણ છ મહિના જેટલા સમયથી બંધ કરવાં આવેલ છે. મધ્યાહન ભોજનની જાહેરાત અને અમલીકરણમાં ભારોભાર અનિયમિતા સામે આવી છે.
ભાજપ સરકારને ભ્રષ્ટાચારી- નીતિરીતિ અને અયોગ્ય અમલવારીને કારણે ગુજરાતનાં 52 લાખ વિધાર્થીઓ મધ્યાહન ભોજનથી વંચિત બન્યા છે તેઓને તાત્કાલિક અનાજ અને મળવા પાત્ર આર્થિક સહાય આપવાની માંગ કરતા ગુજરાત કોંગ્રેસનાં મુખ્યપ્રવક્તા ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે રાજ્યમાં સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં ધોરણ 1થી 8નાં વિધાર્થીઓને 100થી 150 ગ્રામ અનાજ અને વિધાર્થી દીઠ સાડા ચાર રૂપિયા કુકિંગ કોસ્ટ જે નિયમ મુજબ આપવાની થાય છે તે 52 લાખ વિધાર્થીઓને છેલ્લા છ મહિનાથી વંચિત રાખવામાં આવ્યા છે ત્યારે કોરોના જેવી મહામારીમાં ગરીબ-સામાન્ય વર્ગના વિધાર્થીઓને તાત્કાલીક અનાજ અને કુકિંગ કોસ્ટ સીધું જ મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવે. સાથોસાથ તેમને મળવા પાત્ર ફૂડ સિક્યોરીટી એલાઉન્સ જાહેરાત ૧૫-૨૦ દિવસે થતી હોવાથી મળવા પાત્ર જથ્થો ઓછો હોવાને કારણે એક સાથે વધુ જથ્થો આપવામાં આવે.આદિવાસી વિસ્તારોમાં દૂધ સંજીવની યોજના તાત્કાલિક અસરથી યોગ્ય અમલીકરણ કરવામાં આવે.
સમગ્ર દેશમાં કોંગ્રેસ નેતૃત્વની સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ મધ્યાહન ભોજન યોજના અંતર્ગત તમામ વિધાર્થીઓને પોષણક્ષમ ભોજન મળે એ સુનિશ્ચિત કર્યું હતું. ધોરણ એક થી પાંચનાં વિધાર્થી માટે 100 ગ્રામ અનાજ અને ધોરણ 6 થી 10 માટે 150 ગ્રામ અનાજ ફાળવવા આવે છે. ભાજપના સરકારની છેલ્લા છ મહિનાથી સ્કૂલના બાળકોનાં અનાજ મળ્યું નથી તેવી ગંભીર ગુનાહિત બેદરકારી આરટીઆઈમાં ખુલ્લી પડી ગઈ છે. આફતને ભ્રષ્ટાચારનો અવસર બનાવી ભાજપ સરકારે ગરીબ-સામાન્ય વર્ગનાં બાળકોનાં મોં માંથી અનાજનો કોળિયો છીનવી લીધો છે. શું 52 લાખ ગરીબ અને સામાન્ય વર્ગના વિધાર્થીઓનું હક્કનું અનાજ સગેવગે કરી દેવામાં આવ્યું છે ? ભાજપ સરકાર જવાબ આપે .