Harani Lake Tragedy: હરણી તળાવ દુર્ઘટના; મુખ્યમંત્રીએ આ ઘટનાની તપાસ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા કરવાનો આદેશ કર્યો
Harani Lake Tragedy: હરણી તળાવ દુર્ઘટનાને પગલે બચાવ કામગીરીનું જાત નિરીક્ષણ કરવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ વડોદરા દોડી આવ્યા
- ઘટના સ્થળની મુલાકાત લીધા બાદ હોસ્પિટલમાં જઈ હતભાગી બાળકોના પરિવારજનોને દિલસોજી પાઠવી
- મુખ્યમંત્રીએ આ ઘટનાની તપાસ ઉચ્ચ કક્ષાએ જિલ્લા મેજિસ્ટ્રેટ વડોદરા દ્વારા કરવાનો આદેશ પણ કર્યો
વડોદરા, 18 જાન્યુઆરી: વડોદરા શહેરના હરણી તળાવમાં બનેલી કરુણાંતિકાને પગલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ રાહત અને બચાવ કામગીરીનું જાત નિરીક્ષણ કરવા માટે વડોદરા દોડી આવ્યા હતા અને અસરગ્રસ્તોની હોસ્પિટલમાં મુલાકાત લઈ સંવેદના વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રીએ આ ઘટનાની મેજેસ્ટ્રીયલ તપાસ કરવાનો આદેશ પણ કર્યો છે.
વડોદરા શહેરની ન્યુ સન રાઇઝ સ્કૂલના બાળકો હરણી તળાવમાં બોટિંગ માટે ગયા હતા. બાળકો સાથેની બોટ સાંજના સમયે પલટી ખાતા આ દુર્ઘટના ઘટી હતી. ઘટનાની જાણ થતાં કલેકટર અતુલ ગોર, મ્યુનિ. કમિશનર દિલીપ રાણા, શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત ઘટના સ્થળે પહોંચ્યા હતા. ઘટના સ્થળે એન.ડી.આર.એફ,ફાયર બ્રિગેડના જવાનો દ્વારા યુદ્ધના ધોરણે બચાવ રાહત કામગીરી હાથ ધરવામાં આવી હતી.આ કરૂણ દુર્ઘટનામાં ૧૨ બાળકો અને બે શિક્ષકો સહિત કુલ ૧૪ લોકોના દુઃખદ મૃત્યુ થયા છે. ઘટનાની જાણ થતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી, વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુકલ, મુખ્ય સચિવ રાજકુમાર વડોદરા પહોંચી ઘટના સ્થળની મુલાકાત લઈ આ દુઃખદ ઘટનાની જાણકારી મેળવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શહેરની એસ.એસ.જી અને ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા બાળકોના ખબર અંતર પૂછ્યા હતા અને આ બાળકોને ઝડપી સારવાર મળે તે માટે તંત્ર વાહકોને સૂચનાઓ આપી હતી. મુખ્યમંત્રીશ્રીએ મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.

વડોદરાની આ કરૂણ દુર્ઘટનાની મેજિસ્ટ્રેટિયલ તપાસ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. આ માટે ગૃહ વિભાગ દ્વારા આદેશ પણ જારી કરી દેવામાં આવ્યો છે. વડોદરાની આ ઘટનામાં મૃતકના પરિવારજનોને રાજ્ય સરકારે દ્વારા રૂ.ચાર લાખ અને ઘાયલોને રૂ.૫૦ હજારની સહાયની જાહેરાત કરી છે.કેન્દ્ર સરકારે પણ મૃતકોના પરિવારજનોને રૂ.બે લાખની સહાયની જાહેરાત કરી છે. આ દુખદ ઘટના અંગે રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ,વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી,ગૃહ મંત્રી અમિતભાઈ શાહે મૃતકોના પરિવારજનોને પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.
Ram Mandir: રામ મંદિરના નામે ઠગાઈ શરૂ; તમારી એક ગલતી અને બેંક એકાઉન્ટ ખાલી, જાણો વિસ્તારે…
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો