National Judicial Conference lamp ceremony

National Judicial Conference: દ્વિદિવસીય જ્યુડિશિયલ કોન્ફરન્સ ન્યાયમાં ઇચ્છિત પરિણામ માટે તમામ પક્ષોએ મધ્યસ્થીકરણ પ્રત્યે સકારાત્મક વલણ રાખવું જોઇએ: રાષ્ટ્રપતિ

National Judicial Conference: દેશભરના ન્યાયધીશોની ઉપસ્થિતિમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કોન્ફરન્સનો કરાવ્યો શુભારંભ

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ એન. વી. રમણા, કેન્દ્રીય કાયદા મંત્રી કિરણ રિજુજી તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની પ્રેરક ઉપસ્થિતિ


સ્ટેચ્યુ ઓફ યુનિટી, 09 એપ્રિલ: National Judicial Conference: ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ઝડપી ન્યાયિક પ્રક્રીયા પર ભાર મૂકતા જણાવ્યું હતું કે, ન્યાયમાં ઇચ્છિત પરિણામ માટે તમામ પક્ષોએ મધ્યસ્થીકરણ પ્રત્યે સકારાત્મક વલણ રાખવું જોઇએ. છેલ્લા બે દાયકાઓમાં તકરારોના વૈકલ્પિક નિવારણની પદ્ધતિ ન્યાયતંત્રમાં અસરકારક સાબિત થઇ છે. ખાસ કરીને દીવાની બાબતોના કેસોમાં આનાથી સુખદ સમાધાન લાવી શકાય છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજીએ એકતાનગર ખાતે દ્વિદિવસીય નેશનલ કોન્ફરન્સ ઓન મીડિએશન એન્ડ ઇન્ફર્મેશન ટેક્નોલોજીને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, ભારતના મુખ્ય ન્યાયધીશ એન. વી રમણા, કેન્દ્રીય કાયદામંત્રી કિરણ રિજુજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ તથા સુપ્રિમ કોર્ટ અને વિવિધ હાઇકોર્ટસ જજીસની ઉપસ્થિતમાં શુભારંભ કરાવ્યો હતો.

President Ramnath kovid at National Judicial Conference

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ
આ પ્રસંગે (National Judicial Conference) સંબોધન કરતા રાષ્ટ્રપતિએ તેમના લીગલ પ્રેક્ટિશનર તરીકેના દિવસોને યાદ કર્યા અને કહ્યું કે તે વર્ષો દરમિયાન, તેમના મન-મસ્તિષ્ક પર છવાયેલા રહેતા અનેક મુદ્દાઓ પૈકી એક ‘એક્સેસ ટુ જસ્ટીસ’ નો મુદ્દો હતો. ‘ન્યાય’ શબ્દમાં ઘણું બધું સમાયેલું છે અને આપણા બંધારણની પ્રસ્તાવનામાં તેના પર યોગ્ય રીતે ભાર મૂકવામાં આવ્યો છે. તેમણે દરેક વ્યક્તિ સુધી ન્યાયની પહોંચ કેવી રીતે સુધારી શકાય તે વિષય પર ભાર મુક્યો. તેમણે કોન્ફરન્સ માટેના વિષયો ખૂબ જ કાળજીપૂર્વક પસંદ કર્યા હોવાની વાત કહી હતી. ન્યાયતંત્રમાં વૈકલ્પિક વિવાદ નિરાકરણ (ADR) મિકેનિઝમ અને ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી (ICT) બંને ઘણા કારણોસર મહત્વપૂર્ણ છે; પરંતુ તેમના માટે તે એટલે મહત્વપૂર્ણ છે કારણ કે તે સિસ્ટમને વધુ કાર્યક્ષમ બનાવવામાં મદદ કરશે અને ન્યાય આપવા માટે વધુ સક્ષમ બનશે, એમ રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું.

રાષ્ટ્રપતિએ કહ્યું કે છેલ્લા બે દાયકા દરમિયાન, તમામ પક્ષકારોએ વિવાદના નિરાકરણ માટે મીડિયેશન એટલે કે મધ્યસ્થીને અસરકારક સાધન માન્યું છે અને તેને પ્રોત્સાહન આપ્યું છે. ઘણા કાનૂની વિદ્વાનોએ એવું પણ અવલોકન કર્યું છે કે, નાગરિક અધિકારોના સંદર્ભમાં વ્યક્તિઓ વચ્ચે અદાલતોમાં પેન્ડિંગ મોટાભાગના કેસ એવા છે કે તેમને નિર્ણયની જરૂર નથી. આવા કિસ્સાઓમાં પક્ષકારો મધ્યસ્થીઓના માળખાગત હસ્તક્ષેપ દ્વારા તેમના વિવાદનું સમાધાન કરી શકે છે.

Advertisement

રાષ્ટ્રપતિએ કહ્યું કે મધ્યસ્થીનો ઉદ્દેશ્ય વિવાદને કોઈ આદેશ અથવા સત્તા દ્વારા ઉકેલવાનો નહીં પરંતુ તેના બદલે, તે પક્ષકારોને મધ્યસ્થી દ્વારા વ્યવસ્થિત મધ્યસ્થી બેઠકો કરી સમાધાન પર પહોંચવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. કાયદો એક પ્રોત્સાહન પણ પૂરું પાડે છે: જો કોઈ પણ પેન્ડિંગ કેસની મધ્યસ્થી દ્વારા પતાવટ કરવામાં આવે, તો અરજદાર પક્ષ દ્વારા જમા કરવામાં આવેલી સમગ્ર કોર્ટ ફી પરત કરવામાં આવે છે. આમ, ખરેખર તો મધ્યસ્થીથી ઉકેલ લાવવામાં દરેક પક્ષ વિજેતા છે. રાષ્ટ્રપતિએ કહ્યું કે મધ્યસ્થતાની વિભાવનાને હજુ સમગ્ર દેશમાં વ્યાપક સ્વીકૃતિ મળી નથી.

તેમણે નોંધ્યું કે કેટલાક સ્થળોએ પૂરતા પ્રશિક્ષિત મધ્યસ્થીઓ ઉપલબ્ધ નથી. ઘણા મધ્યસ્થી કેન્દ્રો પર માળખાકીય સુવિધાઓને અપગ્રેડ કરવાની જરૂર છે. તેમણે કહ્યું કે આ અસરકારક સાધનથી વ્યાપક વસ્તીને લાભ મળે તે માટે આ અડચણોને વહેલી તકે દૂર કરવી પડશે. તદુપરાંત, જો આપણે ઇચ્છિત પરિણામો હાંસલ કરવા માંગતા હોઇએ, તો તમામ પક્ષકારોએ મધ્યસ્થી પ્રત્યે સકારાત્મક વલણ દર્શાવવું પડશે. આ સંદર્ભે, તાલીમ ઘણો ફરક લાવી શકે છે. તાલીમ વિવિધ સ્તરે પ્રદાન કરી શકાય છે, ઇન્ડક્શન સ્ટેજ પર પ્રારંભિક અભ્યાસક્રમોથી લઈને મિડ-કેરિયર વ્યાવસાયિકો માટે રિફ્રેશર અભ્યાસક્રમોનું પણ આયોજન કરી શકાય છે. તેમણે એ વાતની પણ પ્રશંસા કરી કે સુપ્રીમ કોર્ટની મધ્યસ્થી અને સમાધાન પ્રોજેક્ટ કમિટી રાજ્યોમાં તાલીમ કાર્યક્રમોનું આયોજન કરીને ઉત્તમ કાર્ય કરી રહી છે.

National Judicial Conference

કોન્ફરન્સના બીજા વિષય એટલે કે ઈન્ફોર્મેશન ટેક્નોલોજી વિશે વાત કરતા રાષ્ટ્રપતિએ કહ્યું કે આપણે બધા ખૂબ જ મુશ્કેલ સંકટમાંથી પસાર થયા છીએ. છેલ્લા બે વર્ષ દરમિયાન પહેલા ક્યારેય ન જોયેલા સંકટ વચ્ચે, જો એક આશા હતી તો તે માહિતી અને સંચાર ટેકનોલોજી થી હતી. આવશ્યક પ્રવૃત્તિઓ માટે અને અર્થવ્યવસ્થાના પૈડાંને ગતિમાન રાખવામાં ICT સૌથી વધુ મદદરૂપ સાબિત થયું. રિમોટ વર્કિંગની જેમ, રિમોટ લર્નિંગે શિક્ષણમાં વિક્ષેપ ટાળવામાં મદદ કરી. એક રીતે, આ કટોકટી ડિજિટલ ક્રાંતિ માટે એક તક સાબિત થઈ છે. જાહેર સેવા વિતરણને વધુ કાર્યક્ષમ બનાવવા માટે ICTને લોકો ઝડપથી અપનાવી રહ્યા છે. જ્યારે પ્રત્યક્ષ મેળાવડાઓને ટાળવા પડ્યા, તે સમયમાં વર્ચ્યુઅલ સુનાવણી દ્વારા ન્યાય આપવો પણ શક્ય બન્યો હતો.

Advertisement

રાષ્ટ્રપતિએ એ વાત પણ કરી કે મહામારી પહેલાં પણ ન્યાય વિતરણ પ્રણાલીને વકીલો અને તમામ હિતધારકોને આપવામાં આવતી સેવાઓની માત્રા અને ગુણવત્તા સુધારવા માટે ICT થી ફાયદો થયો હતો. તેમણે જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટમાં રચાયેલી ઈ-કમિટીના નેતૃત્વ હેઠળ અને ભારત સરકારના ન્યાય વિભાગની સક્રિય સહાય અને સંસાધન સહાયથી, નીતિ મુજબ ઈ-કોર્ટ પ્રોજેક્ટના બે તબક્કા પૂર્ણ કરવામાં આવ્યા છે અને ક્રિયા યોજનાને સંબંધિત તબક્કાઓ માટે મંજૂર કરીને અપનાવવામાં આવી છે. પરિણામે, ઈ-કોર્ટના પોર્ટલ પર પ્રકાશિત થયેલા આંકડાઓ સરળતાથી મેળવી શકાય છે.

રાષ્ટ્રપતિએ કહ્યું કે અન્ય જાહેર સંસ્થાઓની જેમ, ન્યાયતંત્રને પણ ડિજિટલ વિશ્વમાં સ્થાનાંતરિત કરવામાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હશે, તેને વ્યાપક રીતે ચેન્જ મેનેજમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે, અને તે પરિવર્તનનો જ એક ભાગ છે. આ કોન્ફરન્સમાં ‘ફ્યુચર ઓફ ટેક્નોલોજી ઇન ધ જ્યુડિશિયરી’ વિષયને સમર્પિત એક સંપૂર્ણ કાર્યકારી સત્ર હોવાની બાબતે તેમણે કહ્યું કે ICT અપનાવવાના ઘણા ઉદ્દેશ્યો પૈકી, ન્યાયની પહોંચમાં સુધારો કરવો એ સર્વોચ્ચ છે. આ ફક્ત પરિવર્તન ખાતર જ પરિવર્તન નથી, પરંતુ વધુ સારા વિશ્વ માટેનું પરિવર્તન છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ રાષ્ટ્રીય પરિષદ ન્યાયાલયોમાં મધ્યસ્થી અને ICT બંનેની વિશાળ સંભાવનાઓ જ નહીં, પરંતુ માર્ગમાં આવતા પડકારોનો શ્રેષ્ઠ પ્રતિસાદ રીતે કેવી રીતે આપવો તે અંગે પણ વિચારણા કરશે.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રત
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું કે સંસદ, સરકાર અને ન્યાયપાલિકા લોકશાહીના આધારસ્તંભ છે. ન્યાય પાલિકાને સૌના વિકાસ, વિશ્વાસ અને શ્રદ્ધાનું આસ્થા કેન્દ્ર ગણાવતા તેમણે ઉમેર્યું કે સરકાર અને ન્યાયપાલિકા પરસ્પર તાલમેલ અને પવિત્રતાથી કામ કરે તો રાષ્ટ્ર વિકાસની નવી ઉંચાઈઓ હાંસલ કરી શકે છે. તેમણે ઉમેર્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સક્ષમ નેતૃત્વમાં દેશ આત્મનિર્ભર બનવાની દિશામાં આગળ વધી રહ્યો છે.કોવિડ કાળમાં પણ ન્યાય પાલિકાએ સમયાંતરે સંકટની ઘડીમાં સરકારને માર્ગદર્શન આપી પોતાની ભૂમિકા નિભાવી છે.

Advertisement

નાગરિકોને પારદર્શિ અને ઝડપી ન્યાય મળશે તો સુંદર સમાજની રચના થશે એવો વિશ્વાસ વ્યક્ત કરતા રાજ્યપાલ જણાવ્યું કે અપરાધી બચી ન શકે અને ધર્માત્મા દુઃખી ન થાય એવા સકારાત્મક અને સમર્પિત ભાવથી કાર્ય કરીશું તો નાગરિકોનો ન્યાય પ્રણાલી પ્રત્યેનો વિશ્વાસ વધશે અને રાષ્ટ્રની પ્રગતિ, ઉન્નતિ સાથે પ્રજાજનોની સમૃદ્ધિ પણ વધશે તેમ તેમણે ઉમેર્યું હતું. નાગરિકોને ઝડપી ન્યાય આપવા માટે આ કોન્ફરન્સ સફળ અને પ્રેરણાદાયી બની રહેશે એવો વિશ્વાસ રાજ્યપાલએ વ્યક્ત કર્યો હતો.

chief Justise National Judicial Conference


ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ એન. વી. રમણા
ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ એન. વી. રમણાએ જણાવ્યું કે, સંઘર્ષ એ માનવજાતનો બીજો ચહેરો છે. સંઘર્ષથી થતાં નુકસાન અને ગેરફાયદા જોવા માટે વ્યક્તિ પાસે દૂરદર્શિતા હોવી જોઈએ. વિવાદ પક્ષકારોના સંબંધને માત્ર બગાડતા જ નથી. પણ, લાંબા ચાલતા મુકદ્દમા તેના સંસાધનોને જ નષ્ટ કરી શકે છે અને જીવનભરની દુશ્મનાવટનું કારણ બને છે. દરેક સંઘર્ષ કે મતભેદનો અંત કોર્ટમાં જ થાય એ જરૂરી પણ નથી.

મહાભારતનું ઉદાહરણ આપતા તેમણે કહ્યું કે, તટસ્થ વાતાવરણમાં મતભેદો ઉકેલી શકાય છે. જ્યાં તમામ પક્ષોને તેમનો ઇચ્છિત ન્યાય મળતો હોય છે. કારણ કે જીવન એક સંતુલિત કાર્ય છે. ગુજરાત વેપારીઓ માટે જાણીતું છે અને તેમનાથી વધુ સારી રીતે કોઈ જાણતું નથી કે સમય ખોવાઈ ગયો એટલે પૈસા ગુમાવ્યા. એટલે વિવાદનો ઝડપથી ઉકેલ આવે તે જરૂરી છે. વિવાદોને અસરકારક રીતે અને ઝડપથી ઉકેલવાની જરૂરિયાતને સમજવા માટે વેપારીઓ કરતાં કોણ વધુ સારું ઉદાહરણ હોય. હકીકતમાં કુશળ ઉદ્યોગપતિ આવા વિવાદોનો સામનો કરે છે. લોક અદાલતો અને આર્બિટ્રેશન કેન્દ્રો દ્વારા વૈકલ્પિક તકરાર નિવારણનો ખ્યાલ ભારતમાં કાયદાકીય લેન્ડસ્કેપને બદલી શકે છે, એમ તેમણે ઉમેર્યુ હતું.

Advertisement

એડીઆર ન્યાયિક સંસાધનોને પણ બચાવી શકે છે. પ્રિ-લિટીગેશન સ્ટેજ પર મધ્યસ્થી અને વાટાઘાટ એ વિવાદોને ઉકેલવા માટેની સૌથી વધુ સારી પદ્ધતિ છે. કારણ કે તે પક્ષકારોની સહભાગિતાને મહત્તમ બનાવે છે. પ્રક્રિયામાં બહારના લોકોને બદલે, તેમની સીધી ભાગીદારી ધરાવતા નાગરિકો પ્રક્રિયાના અંદરના લોકો હશે. મધ્યસ્થી આંતરરાષ્ટ્રીય વ્યાપારી ક્ષેત્રમાં પણ ચલણમાં આવી રહી છે. પ્રિ-લિટીગેશન સ્ટેજ પર ખાનગી મધ્યસ્થી પણ સામાન્ય બની રહી છે. એડીઆરની સંપૂર્ણ સંભાવનાને સાકાર કરવામાં અદાલતોની ભૂમિકા નિર્ણાયક છે.
કેસ મેનેજમેન્ટ માટે મધ્યસ્થી અને વાટાઘાટોને ફરજિયાત બનાવવા માટે અદાલતો દ્વારા સક્રિય પ્રયત્નો કરવા જોઈએ. વકીલોએ પ્રિ-લિટીગેશન મધ્યસ્થીની દરેક તકને છોડવી ના જોઇએ. પ્રક્રિયાના વહેલા ઉકેલની ખાતરી કરવાની અને વિલંબની યુક્તિ તરીકે તેનો ઉપયોગ ન કરવાની જવાબદારી પક્ષકારોની છે.

મધ્યસ્થી દરમિયાન કેટલાક મહત્વપૂર્ણ મુદ્દાઓ નક્કી કરવા માટે અમને કુશળ મધ્યસ્થીઓની જરૂર છે, ખાસ કરીને જ્યારે તે એક પક્ષની તરફેણમાં હોય અને જો તે નબળા પક્ષ માટે અન્યાયી હોય અને જો મધ્યસ્થી મૂક પ્રેક્ષક હોવો જોઈએ અને ભારત જેવા વૈવિધ્યસભર સામાજિક તાણાવાળ દેશ માટે આ અસરકારક છે. મહાત્મા ગાંધીએ કહ્યું હતું કે વકીલનું સાચું કામ પક્ષકારોને એક કરવાનું છે. વકીલો અને કાયદાના વિદ્યાર્થીઓ માટે મધ્યસ્થી અને વાટાઘાટોમાં કુશળતા વિકસાવવી ખૂબ જરૂરી છે. તેમ મુખ્ય ન્યાયમૂર્તિએ ઉમેર્યુ હતું.
ન્યાયિક પ્રક્રીયામાં હવે નવી ટેક્નોલોજીનો ઉપયોગ થતો જાય છે. કોરોનાની વૈશ્વિક મહામારીએ ન્યાયતંત્રને વધુ ટેક્નોસાવી બનાવી છે. હવે, આ સેમિનાર જનકલ્યાણ માટે ટેક્નોલોજીના ઉપયોગ માટે અસરકારક સાબીત થશે, એવી અપેક્ષા તેમણે દર્શાવી હતી.

CM Bhupendra Patel National Judicial Conference

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેવડીયા ખાતે યોજાઈ રહેલ દ્વિ દિવસીય નેશનલ જયુડીસરી કોન્ફરન્સ પ્રસગે મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઇ પટેલ, મોરારજી દેસાઇ અને વિશ્વ નેતા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇની ભૂમિ ગુજરાતમાં સૌને આવકારતા કહ્યું કે, આ કોન્ફરન્સ એ દેશમાં ન્યાયપાલિકાને વધુ સુદ્દઢ બનાવવા માટે મહત્વની પુરવાર થશે, ન્યાયાલયમાં ઇન્ફર્મેશન ટેકનોલોજીનો ઉપયોગ થતા નાગરિકોને ઝડપથી અને સરળતાથી ન્યાય મળે તે માટે આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે યોજાઇ રહેલી આ કોન્ફરન્સ દેશભરમાં ન્યાયતંત્ર માટે અમૃતકાળ બનશે એમ મુખ્યમંત્રીએ ઉમેર્યુ હતું.

Advertisement

મુખ્યમંત્રી પટેલ ઉમેર્યું કે, ભારતની એકતા અખંડિતતાના પ્રતિક અને એક ભારત-શ્રેષ્ઠ ભારતના પ્રેરણાસ્ત્રોત લોહપુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલે આઝાદી પહેલાં ના પ૬ર જેટલા નાના-મોટા રજવાડાઓને સ્વતંત્રતા મળ્યા પછી ભારત રાષ્ટ્રમાં વિલીનીકરણ કરવામાં એ સમયે સરદાર સાહેબે મીડીએશન-મધ્યસ્થીકરણની આગવી મિશાલ પ્રસ્થાપિત કરેલી હતી. આપણી સનાતન સંસ્કૃતિમાં પણ સદીઓથી આવી મધ્યસ્થીકરણની પરંપરા અસ્તિત્વમાં હતી. ત્યારે આ પરંપરા હાલની ન્યાય પ્રણાલિમાં સુસંગત નીવડી રહી છે.

મીડીએશન દ્વારા પક્ષકારો પોતાના વિવાદને અલગ અલગ દ્રષ્ટિકોણથી જાણી, સમજી મીડીએશનની મદદથી તેમને માન્ય હોય તેવું સમાધાન અપનાવીને ન્યાય મળે એ માટે આજની કોન્ફરન્સ મહત્વની પુરવાર થશે, એવો વિશ્વાસ વ્યકત કર્યો હતો. મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે વિવાદોનું સત્વરે પક્ષકારો દ્વારા નિરાકરણ થાય તે માટે મીડીએટર મદદરૂપ થાય છે. જેના કારણે પક્ષકારો વચ્ચેના વિવાદનું નિરાકરણ લાવી કોર્ટ કેસનો અંત આવે છે અને કોર્ટ પરનું ભારણ ઓછું થાય છે. તેમણે ઉમેર્યુ કે, ‘વસુધૈવ કુટુંબકમ’ની પરિવાર ભાવનાને યથાવત જાળવી રાખીને, પારિવારિક વિવાદોનું નિવારણ કોર્ટ-કચેરીની બહાર સામાજિક, ધાર્મિક, પ્રતિષ્ઠિત વ્યક્તિઓની દરમ્યાનગીરીથી સમાધાન માટે ‘ફેમિલી ફર્સ્ટ’ સમજાવટનું સરનામું કન્સેપ્ટ અપનાવ્યો છે.

આ માટે જિલ્લા અને તાલુકા સ્તરે સમિતિઓ પણ રચવામાં આવેલી છે. બંધારણના મૂળભૂત સિદ્ધાંતો એવા સામાજિક સૌહાર્દ, સમરસતા, બંધુત્વને સાકાર કરવામાં આ પ્રયોગ એક સફળ માધ્યમ બન્યો છે. મુખ્પમંત્રીએ કહ્યુ કે, દેશના રોલ મોડલ ગુજરાતે ઇન્ફર્મેશન ટેક્નોલોજીના ક્ષેત્રે પણ અનેકવિધ નવતર આયામો હાથ ધરીને જનસેવા પ્રકલ્પો, જનહીત કાર્યોમાં ઓનલાઇન પ્રક્રિયાના ઉપયોગ કરીને જન સેવાઓ વધુ પારદર્શી બનાવીને દેશભરમા મોખરે રહીને પ્રધાનમંત્રીના ડિઝીટલ ઇન્ડીયાના સંકલ્પને પૂર્ણ કરવામા મહત્વની ભૂમિકા પૂરી પાડીને દેશને રાહ ચિંધ્યો છે તેમણે ઉમેર્યુ કે, રાજ્યના અંતરિયાળ વિસ્તારના નાગરિકોને રાજ્ય સરકારની યોજનાઓના લાભો ધર આગણે પહોચાડવા માટે ડિઝીટલ સેવા સેતુ કાર્યક્રમનો નવતર અભિગમ અપનાવી સેવાઓ પુરી પાડી છે.

Advertisement

એટલુ જ નહી ૧૪ હજારથી વધુ ગ્રામ પંચાયતોને ભારત નેટ અન્વયે બ્રોડબેન્ડ કનેક્ટીવીટી, ઇ-ધરા અને ઇ-ગ્રામ વિશ્વગ્રામ પ્રોજેક્ટથી ગુજરાતમાં સામાન્યમાં સામાન્ય માનવી સુધી ઇન્ફરમેશન ટેક્નોલોજીનો વ્યાપ વિસ્તાર્યો છે. મુખ્યમંત્રીએ કહ્યું કે ન્યાયતંત્રમાં ડિઝીટલાઇઝેશન અને આઇ.ટી.નો વ્યાપક ઉપયોગ ગુજરાતે કર્યો છે, કોરોનાની વૈશ્વિક મહામારી વચ્ચે પણ કોઇ ન્યાયથી વંચિત ન રહે તેવા સુપ્રિમ કોર્ટ અને હાઇકોર્ટના જનહિત અભિગમને રાજ્ય સરકારે વર્ચ્યુઅલ માધ્યમથી કોર્ટ કાર્યવાહીમાં સહયોગ આપીને જરૂરી સુવિધાઓ રાજ્ય સરકારે અદાલતોને પૂરી પાડી છે. સાથે સાથે ઇન્ફરમેશન ટેક્નોલોજીનો ન્યાયપાલિકામાં મહત્તમ ઉપયોગ થાય તે માટે રેકર્ડ ડિઝીટલાઇઝેશન સહિત વર્ચ્યુઅલ સુનાવણી દ્વારા પારદર્શિતા લાવવા અગે પણ રાજ્ય સરકારે ન્યાયતંત્રને સહયોગ આપ્યો છે.

ગુજરાતની ન્યાયપાલિકાએ હાઇકોર્ટની કાર્યવાહીનું યુ-ટયુબના માધ્યમથી લાઇવ ટેલિકાસ્ટ કરવાની દેશભરમાં પ્રથમ પહેલ કરીને દેશને રાહ ચીધ્યો છે.

kiren rijiju, National Judicial Conference


કેન્દ્રીય કાયદા અને ન્યાય મંત્રી કિરણ રીજ્જુ
કેન્દ્રીય કાયદા અને ન્યાય મંત્રી કિરણ રીજ્જુએ જ્યુડીશયરી અને એક્ઝિક્યુટિવ વચ્ચે તાલમેલની જરૂરિયાત ઉપર ભાર મૂકતા જણાવ્યું કે લોકોને સરળ, ઝડપી, સસ્તો અને ઘરઆંગણે ન્યાય મળે તે માટે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર સતત પ્રયાસો કરી રહી છે. રામાયણ અને મહાભારત કાળથી આપણી પ્રાચીન પરંપરામાં પણ મધ્યસ્થીની ભૂમિકા મહત્વની રહી છે, એમ જણાવતાં તેમણે ઉમેર્યું કે સરદાર સાહેબે અખંડ ભારતનું નિર્માણ કર્યું હતું એમ સર્વગ્રાહી પ્રયાસો દ્વારા નાગરિકોને ઝડપી ન્યાય મળે તે માટે મિડીએશન અને ન્યાય પ્રણાલીમાં ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો મહત્તમ વિનિયોગ થાય તે માટે સરકારે સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કર્યું છે.

Advertisement

આ પણ વાંચો..Seema darshan Project at Nadabet: નડાબેટ ખાતે ‘સીમાદર્શન પ્રોજેક્ટ’નું ઉદ્દઘાટન કરશે દેશના કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહ

તેમણે ઉમેર્યું કે નીચલી કોર્ટથી લઈ સર્વોચ્ય ન્યાયાલયમાં પડતર અને વિવાદી કેસોના ઉકેલ માટે વૈકલ્પિક વ્યવસ્થાઓ ઊભી કરવી જરૂરી છે. આ બાબતોને ધ્યાને લઇ કેન્દ્ર સરકારે ન્યાય પ્રણાલીમાં મિડીએશન બિલ લોકસભામાં પસાર કર્યું છે. ન્યાય પ્રક્રીયા ઝડપી બનાવવા માટે તજજ્ઞો, નિવૃત ન્યાયમૂર્તિઓ, કાયદાપંચ સહિતની કાનૂની સંસ્થાઓના અભિપ્રાયો લેવામાં આવશે. તેમણે જણાવ્યું કે ટીમ વર્કથી આપણે સૌ એક ઝૂટ થઈ કામ કરીશું તો લોકોના દ્વાર સુધી ન્યાયને લઈ જવામાં સફળતા મેળવી શકશું. નીચલી કોર્ટેથી લઇ સુપ્રીમ કોર્ટ સુધી લોકોને ઝડપી ન્યાય મળે તે માટે કેન્દ્ર સરકારનો જરૂરી તમામ સહયોગ અને યોગદાન મળી રહેશે. એમ તેમણે ઉમેર્યું હતું.

ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ અરવિંદ કુમાર
સ્વાગત પ્રવચન કરતા ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ અરવિંદ કુમારે જણાવ્યું કે મધ્યસ્થી દ્વારા વિવાદનું નિરાકરણ એ ભારતની પ્રાચીન ન્યાય પ્રણાલીનો હિસ્સો છે. ભારતમાં હજુ પણ વિવાદનું વૈકલ્પિક નિવારણ માટે ઉચિત પગલાને અપનાવવામાં આવે છે. કોઈ વિવાદના સમાધાનકારી મધ્યસ્થી થી ઉકેલ માટે જિલ્લા ન્યાય તંત્રો મહત્વની ભૂમિકા અદા કરી શકે છે. તેમને એવું પણ કહ્યું કે ઇન્ફોર્મેશનટેકનોલોજી અત્યારના યુગમાં જીવનનો મહત્વનો હિસ્સો બની ગઈ છે. ત્યારે ન્યાય પ્રણાલીમાં તેના ઉપયોગથી ન્યાય તંત્રને વધુલોકાભિમુખ બનાવી શકાશે. સરદાર પટેલના સૌથી ઉંચા સ્ટેચ્યુના સાનિધ્યમાં થયેલું વિચાર મંથન ફળદાયી નીવડશે. તેવો આશાવાદ તેમણે અંતે વ્યક્ત કર્યો હતો.

Advertisement

આ કોન્ફરન્સમાં સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ નાગેશ્વર રાવ, એમ.આર.શાહ, અબ્દુલ નઝિર, વિક્રમ નાથ, બેલાબેન ત્રિવેદી, મહેસુલ અને કાયદા મંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી, વિવિધ રાજ્યોની વડી અદાલતોના ચીફ જસ્ટિસ, રજિસ્ટ્રાર, મુખ્ય સચિવ પંકજકુમાર, અધિક મુખ્ય સચિવ રાજીવ ગુપ્તા ઉપસ્થિત રહ્યા હતા.

Gujarati banner 01

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *