Pooja Singhal: અમિત શાહ અને પૂજા સિંઘલની વિવાદિત પોસ્ટ હટાવવા ક્રાઈમ બ્રાંચે કોર્ટમાં કરી અરજી
Pooja Singhal: કોર્ટની હકુમત મામલે સરકાર ભીસમાં મુકાઇ આ મામલે આગામી દિવસોમાં સુનાવણી
અમદાવાદ, ૦૯ જૂન: Pooja Singhal: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ઝારખંડના આઈ એ એસ પૂજા સિંઘલના વિવાદિત ફોટો તેમજ રાષ્ટ્રીય ધ્વજના ચિહ્નવાળું અશોભનીય વસ્ત્ર પેહરેલ હોવાનું પેન્ટિંગ સોશ્યલ મીડિયામાં વાઈરલ કરવાના ચકચારી કેસમાં પોસ્ટ રિમુવ કરવા ક્રાઈમ બ્રાંચે મેટ્રોપોલીટન મેજિસ્ટ્રેટ એમ.એન.ચૌહાણ સમક્ષ અરજી કરી હતી. કોર્ટે પોતાનો હકુમત મામલે સરકારને ખુલાસો કરવા નિર્દેશ કર્યો છે. આ મામલે આગામી દિવસોમાં સુનાવણી હાથ ધરાશે.
ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કેન્દ્રીય મંત્રી અમિત શાહ અને પૂજા સિંઘલની વાયરલ થયેલી તસવીર અંગે તપાસ હાથ ધરી હતી. જેમાં સામે આવ્યું હતું કે, મુંબઈના અવિનાશ દાસ નામના શખ્સે પોતાના ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર એકાઉન્ટ પરથી 8મી મે 2022ના રોજ પોસ્ટ વાઇરલ કરી હતી. આ તસવીરમાં બંને એકબીજા સાથે વાતચીત કરતા જોવા જોવા મળ્યા હતા.
ઉપરાંત તેમાં એક સ્ત્રી ઉપર રાષ્ટ્રધ્વજના ચિહ્નવાળું વસ્ત્ર પહેરાવેલ હોવાનું પેન્ટિંગ જોવા મળ્યું હતું. આ પોસ્ટ વાઈરલ થતા ક્રાઈમ બ્રાન્ચે અવિનાશ દાસ વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી. જેમાં કેન્દ્રીય મંત્રીની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવા બાબતે આઇટી એકટ હેઠળની કલમો લગાવવામાં આવી હતી. ક્રાઈમ બ્રાન્ચે રજુઆત કરી છે કે વર્ષ 2017માં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઝારખંડના પ્રવાસે હતા, તે સમયની આ તસવીર છે.