holika dahan vaidik

Vaidik Holi: વૈદિક હોળી પાછળનું વિજ્ઞાન અને પર્યાવરણ વિષે જાણો વૈભવી જોશી ની કલમે

મણકો 1:- Vaidik Holi: વૈદિક હોળી પાછળનું વિજ્ઞાન અને પર્યાવરણ

લગભગ દોઢેક મહિના પહેલાં વસંતૠતુનાં આગમનની સત્તાવાર છડી પોકારતો દિવસ એટલે કે વસંતપંચમી આપણે સહુએ હર્ષોલ્લાસથી ઉજવ્યો તો ખરાં પણ આજે તમને એ પણ જણાવી દઉં કે આશરે છેલ્લાં ૧૦૦૦ વર્ષમાં વસંતઋતુની શરૂઆત ક્યારેય પણ વસંતપંચમીનાં દિવસથી નથી થઈ. મને તો હંમેશા એવું લાગ્યું છે કે જયારે ફાગણ મહિનો આવેને ત્યારે વસંતને પૂરબહારમાં સાથે લઈને આવે.

આશરે પંદરેક દિવસ પહેલાં અલબેલો ફાગણ પણ આવી પહોંચ્યો છે અને ફાગણનો મહિનો એટલે શૃંગાર, મસ્તી અને ઋતુસૌંદર્યનો ભારતીય લોકઉત્સવ. આ મહિનામાં સાધારણ ઠંડી અને કુણાં-કુણાં તાપવાળા મિશ્રણનો અનોખો સંગમ એટલે સહુનો મનગમતો ઋતુઓનો રાજા એવો વસંત પધરામણી કરે. આમ જોવાં જાઓ તો વસંતઋતુ એટલે થોડી મસ્તી તો થોડી પૂજા અર્ચના સાથે ઉજવવાની ઋતુ અને એમાં આવતો ઋતુપરિવર્તનનો રંગોત્સવ એટલે હોળી.

ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાને ‘ઋતુનાં કુસુમાકર:’ કહીને વસંતઋતુને પોતાની વિભૂતિ ગણાવી છે. વસંતઋતુનો મુખ્ય ઉત્સવ હોળી જે પ્રાચીન સમયથી ઋતુ-પરિવર્તનનાં તહેવાર તરીકે ઉજવાતો આવ્યો છે. હોલિકા અને ભક્ત પ્રહલાદની વાતો આપણે યુગોયુગોથી સાંભળતાં આવ્યાં છીએ પણ આજે વાત કરવી છે એની સાથે જોડાયેલાં પર્યાવરણ સંબંધિત અને વૈજ્ઞાનિક તથ્યોની જેના વિશે બહુ ઓછાં લોકો જાણે છે.

હોળી અને હોલિકાદહન સાથે જોડાયેલાં તમામ આધ્યાત્મિક પાસાઓ હવે પછીનાં મણકામાં સવિસ્તર રજુ કર્યા જ છે પણ આજે વાત કરવી છે આ ઉત્સવ પાછળ રહેલાં સમગ્ર જનસમુદાયનાં કલ્યાણની. આપણાં કૃષિપ્રધાન દેશમાં બે પાક લેવાય છે એક હોળી પર અને બીજો દિવાળી પર. હોળી પ્રસંગે ખેતરો અને ખળા નવાં ધનધાન્યથી છલકાઈ ઉઠે છે. હોળીની સાથે ભક્ત પ્રહલાદ અને હોલિકાની કથા ભલે ગૂંથાઈ ગઈ હોય પણ હોળી એ ‘નવાન્નેષ્ટિ’ નામનાં પ્રાચીન યજ્ઞનું પરિવર્તિત સ્વરૂપ જ છે.

સહુથી પહેલાં તો આ શબ્દ ‘નવાન્નેષ્ટિ’ સમજીયે. નવાન્નેષ્ટિ એટલે નવ ( નવું ) + અન્ન ( અનાજ ) + ઇષ્ટિ ( યજ્ઞ ) નવું અનાજ તૈયાર થતાં કરાતો યજ્ઞ. ‘નવાન્નેષ્ટિ’ એટલે શેકેલાં અનાજની અગ્નિમાં આહુતિ આપવાં કરાતો યજ્ઞ. શેકેલાં અન્નને સંસ્કૃતમાં ‘હોલાકા’ કહે છે અને આ ‘હોલાકા’ ને હિન્દીમાં ‘હોલી’ કે ‘હોળી’ કહેવાય છે.

vaidik holi

આર્યપ્રણાલી અનુસાર સૃષ્ટિનાં સર્જક, પોષક અને રક્ષક દેવતાઓને અર્ધ્ય આપ્યાં વિનાં કોઈ વસ્તુ ઉપયોગમાં લેવાતી નથી એટલે આર્યો દેવોને અન્નનો ભોગ ધરાવીને પછી જ તેનો ઉપયોગ કરતાં. આમ, નવાં અન્નનો ઉત્સવ એટલે હોળીનો તહેવાર જે હોળીકાત્સોવ તરીકે પણ ઓળખવામાં આવતો.

ઋગ્વેદનાં સમયગાળાનો સમાજ ખેતી આધારિત હતો. ઈન્દ્ર, અગ્નિ જેવા દેવોને આહુતિ વડે ખુશ કરીને સુખાકારીની કામના કરવાની વૈદિકપ્રથા સાથે સમાજજીવન પણ આબાદ જોડાયેલું છે. હોળીનાં ઉત્સવમાં આજે પણ તેનું પ્રતિબિંબ વર્તાય છે. ફાગણ એ ઋતુસંધિનો મહિનો ગણાય છે. આ માસમાં શિશિર અને વસંતનું મિલન થાય છે.

એ સમયે શિયાળો ઉતરી ચૂક્યો હોય અને ઉનાળાનું આગમન થવામાં હોય એવા આ મિશ્રઋતુનાં સમયે રોગજન્ય કીટાણુઓ હવામાં ઘૂમરાતાં હોય છે. વળી, આ જ સમયગાળામાં રવિપાક ખેતરમાંથી ઉતરીને ખળા ભણી જઈ રહ્યો હોય ત્યારે ખેતઊપજ સાથે ચોંટેલા કીટાણું પણ રહેઠાણ વિસ્તારમાં ગતિ કરતાં હોય. આ સમયે સ્વાસ્થ્યને અને ધાર્મિક આરાધનાને ધ્યાનમાં રાખીને વૈદિકકાળમાં આ પર્વને નવાન્નેષ્ટિ યજ્ઞનાં નામે ઉજવાતું હતું.

ઋતુસંધિકાળમાં વિવિધ પ્રકારનાં કીટાણુઓનું પ્રમાણ સામાન્ય દિવસો કરતાં વધે છે. જેનાથી સામાન્ય પ્રજાનાં સ્વાસ્થ્યને અનેક પ્રકારે હાની પહોચે છે. આયુર્વેદ અને વેદમાં હોલિકા દહન સમયે આવાં કીટાણુઓને નાશ કરવાનાં ઉપાયો બતાવવામાં આવેલા છે. શિયાળાની ઠંડી વખતે શરીરમાં વધી ગયેલા કફને હોળીની પ્રદક્ષિણાથી ઓગાળવાનો આ શ્રેષ્ઠ અવસર છે પણ એ સાથે જ વસંતઋતુમાં આવા કીટાણુઓને ફેલાવાની જોઈતી તક પણ મળી રહે છે.

ખેતરમાં પાકેલાં અનાજને સામૂહિક રીતે પ્રગટાવેલાં વિરાટ યજ્ઞની ભભૂકતી જ્વાળાઓમાં આહુતિ અપાતી અને એ રીતે અનાજને પવિત્ર બનાવાતું હતું. અગ્નિમાં તુલસી, કંદ, જ્યેષ્ઠિમધુ, દર્ભ, લીમડાનાં લાકડાં જેવી વનસ્પતિ, ઔષધિની આહુતિ વડે પ્રગટતાં ધુમાડાથી હવામાં ઘૂમરાતાં આરોગ્ય માટે હાનિકારક એવા કીટાણુઓનો નાશ પણ થતો. આમ, હોળીનાં આ પર્વ સાથે વૈદિકકાળનાં મંત્રદૃષ્ટા ઋષિઓએ સામૂહિક સ્વાસ્થ્યની ખેવના પણ વ્યક્ત કરી છે.

સાર્વજનિક વૈદિક હોલિકા દહન એક જ દિવસે અને નિશ્ચિત સમયે, ચોક્કસ પ્રકારનાં ઝાડનાં લાકડા અને ઔષધી દ્રવ્યોથી થતું હોવાથી “MASS LEVEL FUMIGATION AT A SINGLE TIME” છે. યજ્ઞમાં ૧૧૧ પ્રકારની દિવ્ય ઔષધિઓ, ૧૧ પ્રકારનાં યજ્ઞ સમિધ કાષ્ઠ અને નવા ઊગેલાં શિયાળુ પાકો (ઘઉં-જવ,ચણા, ધાણા, જીરૂ, લસણ, વરીયાળી) હોમવાથી ઉત્સર્જીત વાયુઓ (Acetylene, Ethylene, Oxide, Formaldehyde, Propylene Oxide, Menthol, Ammonia, Phenol) અને તેની વ્યક્તિગત અને સામાજિક સ્વાસ્થ્ય પર થતી તાત્કાલિક અસરો બાબતે જર્મની, રશિયા, અમેરિકા, શાંતિકુંજ, હરિદ્વાર વગેરે સ્થળોએ વૈજ્ઞાનિક પ્રયોગો પણ થયેલા છે. પર્યાવરણ શુદ્ધિમાં આવા વાયુઓનું પ્રદાન પ્રસિદ્ધ છે અને એટલે જ ભારતમાં વૈદિક હોળીનું ખૂબ મહત્વ છે.

વૈદિક કાળમાં વ્યક્તિ પોતાની જમણાં હાથની મુઠ્ઠી ભરીને વધુમાં વધુ ૬ વાર સુધી મહામૃત્યુંજય મંત્રથી સળગતાં અગ્નિમાં હોમ કરતાં હતાં અને એ રીતે વૈદિક વિધિવત્ ઉચ્ચારણ સાથે હોલિકાપૂજન કરવામાં આવતું હતું જે આજે અદ્રશ્ય થતું જાય છે. જેમ હજારો વ્યક્તિની દાળમાં થોડીક જ હિંગનો વઘાર કરતા તે સુગંધિત થઇ જાય છે, થોડુંક જ મરચું અગ્નિસંયોગને કારણે ખુબ મોટાં વિસ્તારમાં તીવ્ર ગતિથી ફેલાઈ જાય છે તેમ સામગ્રીમાંના ઔષધી દ્રવ્યો સળગતાં અગ્નિસંયોગથી પોતાની તીવ્ર અસરો કરે છે.

આ પણ વાંચો:- Swamiji ni vani Part-28: સંજોગોવશાત્‌ જૂઠું બોલવું પડે તો તે બોલનારને અસત્ય બોલવાનું પાપ લાગતું નથી !’

Holi: રંગો ઠલવાતા જાય એ સ્નેહ ને લાગણી અપરંપાર

Holika Dahan 2024 Muhurat: ક્યારે કરવામાં આવશે હોલિકા દહન, જાણો શુભ મુહૂર્ત સમય અને પૂજા વિધિ

આ એક નેનો ટેકનોલોજીનું સ્વરૂપ છે. કેમિકલયુક્ત દ્રવ્યો અને તેની ખરાબ અસરો પણ તેજ રીતે તીવ્ર ગતિથી અસર કરે છે એ પણ ધ્યાન રાખવા જેવી બાબત છે. દહન માટે વપરાતા સંપૂર્ણ સૂકા લાકડા વાપરવાથી તે ઝડપથી અને પૂરેપૂરાં સળગી જતાં હોઈ કાર્બન મોનોક્સાઈડ જેવા હાનિકારક વાયુઓ ઉત્પન્ન કરતા નથી. સળગતી હોળીની પ્રદક્ષિણાની પાછળ વ્યક્તિગત સ્વસ્થ્યરક્ષાનું વિજ્ઞાન છે, માટે પ્રદક્ષિણા અવશ્ય કરવી, નાનાં મોટાં સહુને પણ કરાવવી.

ટૂંકમાં શરીરની રક્ષા માટે ધર્મ સાથે જોડી દીધેલું એક પર્વ એટલે હોળી. આ હોળી એ માત્ર છાણાં-લાકડાંનાં ઢગલાં બાળવાનો તહેવાર નથી, એ તો એની સાથે ચિત્તની દુર્બળતા દૂર કરવાનો, મનની મલિન વાસનાઓ, આપણા જીવનમાં રહીને આપણને પજવતાં રહેતાં અંત:શત્રુઓ અને ખોટા વિચારો બાળવાનો પવિત્ર દિવસ પણ છે.

ટૂંકમાં હોળીનો ઉત્સવ એ ફાગણનાં રંગોથી આપણાં જીવનનને રંગીન બનાવતો, વસંતોત્સવમાં પણ સંયમની દીક્ષા આપતો, સત્યનિષ્ઠાનો મહિમા સમજાવતો તેમજ માનવ મનમાં અને માનવ સમાજમાં રહેલી અસહ્ય પ્રવૃત્તિને બાળવાનો સંદેશ આપનારો ઉત્સવ છે. હોળીનાં ઉત્સવ પ્રસંગે આજનાં સમયને જોતાં હોળી પ્રગટાવવાની સાથે-સાથે સંસ્કારની જયોત પણ પ્રગટાવવાની ખાસ જરૂર ઉભી થઈ છે.

ભવિષ્યપુરાણમાં દર્શાવ્યાં મુજબ હોળીને હોમ અને લોક સાથે સબંધ છે. હોમ એટલે યજ્ઞ અને લોક એટલે માનવ. આમ, માનવજાતિનાં કલ્યાણ માટે કરવામાં આવેલો યજ્ઞ એટલે હોળી. હોળીની અંદર જેમ આપણે વાતાવરણની શુદ્ધિ માટે વિવિધ સામગ્રીઓ નાંખીએ છીએ તેની સાથે-સાથે આપણે આપણાં કામ, ક્રોધ, લોભ, ઈર્ષ્યા જેવાં દોષોને હોમવાની ખાસ જરુર છે. આવાં દોષોને તિલાંજલિ આપીશું તો જ આપણને મનથી શાંતિ મળશે અને તો જ આપણે ખરાં અર્થમાં હોળીની ઉજવણી કરી કહેવાશે.

સામાજિક કાર્યકરો, ગામડાનાં આગેવાનો, સમાજસેવી સંસ્થાઓ, વ્યક્તિગત સંસ્થાઓ, ઉદ્યોગગૃહો, યુવકો / યુવતીઓ વગેરે કોઈ પણ જો આ સાચી વૈદિક હોળીને અનુસરશે તો એનો મુળ આશય ચોક્કસ પાર પડશે એવું મારું દ્રઢપણે માનવું છે.

તન ને મન સ્વસ્થ કરે આ અગન તાપ,

ઊની આંચ ન આવે આ શ્રદ્ધા પ્રતાપ..!!

(હવે પછીનાં બીજા મણકામાં આ તહેવાર સાથે જોડાયેલાં તમામ ધાર્મિક પાસાઓ વિશે વિગતે વાત કરીશ.)

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *