Bharat Jodo Yatra: રાહુલ ગાંધી દેશના દક્ષિણી છેડા પર આવેલા કન્યાકુમારીથી 150 દિવસનું નવું મિશન ‘ભારત જોડો યાત્રા’ શરૂ કરી- વાંચો વિગત
Bharat Jodo Yatra: રાહુલ ગાંધીએ કહ્યું કે મે મારા પિતાને નફરત અને ભાગલાના રાજકારણમાં ગુમાવ્યા છે. હું મારા વ્હાલા દેશને પણ તેમાં ગુમાવવા નથી માંગતો.
નવી દિલ્હી, 07 સપ્ટેમ્બરઃBharat Jodo Yatra: આજે ભારત જોડો યાત્રા શરૂ કરતા પહેલા આજે રાહુલ ગાંદીએ શ્રીપેરાંબદુરમાં તેમના પિતા અને દેશના પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીના સ્મારક પર જઈને પુષ્પાંજલિ આપી. તેમણે કહ્યું કે મે મારા પિતાને નફરત અને ભાગલાના રાજકારણમાં ગુમાવ્યા છે. હું મારા વ્હાલા દેશને પણ તેમાં ગુમાવવા નથી માંગતો. તેમણે કહ્યું કે નફરત પર પ્રેમની જીત થશે.
કોંગ્રેસ પાર્ટી કાર્યકરોમાં નવો જોશ ભરવા માટે રાહુલ ગાંધી દેશના દક્ષિણી છેડા પર આવેલા કન્યાકુમારીથી 150 દિવસનું નવું મિશન ‘ભારત જોડો યાત્રા’ શરૂ કરી રહ્યા છે. આ યાત્રા કન્યાકુમારીથી શરૂ થઈને કાશ્મીરમાં પૂરી થશે. 150 દિવસ સુધી ચાલનારી કોંગ્રેસની આ ભારત જોડો યાત્રા દેશના 12 રાજ્યોમાંથી પસાર થશે અને 3570 કિલોમીટરનું અંતર કાપશે. રાહુલ ગાંધી સાથે કોંગ્રેસના નેતા અને સિવિલ સોસાયટી સાથે સંકળાયેલા 300 લોકો પદયાત્રામાં સામેલ થશે. કોંગ્રેસે પહેલા જ સ્પષ્ટ કરી દીધુ હતું કે રાહુલ ગાંધી યાત્રા દરમિયાન કોઈ હોટલમાં નહીં રોકાય.
3570 કિલોમીટરની આ ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલ ગાંધી એક કન્ટેઈનરમાં સૂઈ જશે એટલે કે એ જ તેમનું હરતું ફરતું ઘર હશે. તેઓ 150 દિવસ સુધી આ જ કન્ટેઈનરમાં રહેશે. સૂવા માટે બેડ, ટોઈલેટ, અને અન્ય વ્યવસ્થા પણ તેમાં કરવામાં આવી છે. ભારત જોડો યાત્રા દરમિયાન અનેક વિસ્તારોમાં તાપમાન વધુ હશે. 3570 કિલોમીટરની આ યાત્રામાં અનેક વિસ્તારો એવા છે જ્યાં ભારે ગરમી હશે. આથી કન્ટેઈનરમાં એસીની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત કન્ટેઈનરમાં જ સૂવા માટે ગાદલા અને ટોઈલેટ બનાવડાવવામાં આવ્યા છે.
રાહુલ ગાંધી ભારત જોડો યાત્રાને સામાન્ય લોકો સાથે જોડવાની કવાયત કરી રહ્યા છે. આથી ચમકદમકથી દૂર એકદમ સાધારણ રીતે આ યાત્રા પૂરી કરવા માંગે છે. સ્પષ્ટ છે કે રાહુલ ગાંધી તેને એક યાત્રા કહે છે પરંતુ રાજકીય વિશેષજ્ઞો તેને 2024ની તૈયારી માને છે. આવામાં રાહુલ ગાંધી કોઈ પણ હોટલમાં રોકાવવાની જગ્યાએ કન્ટેઈનરમાં રહેશે અને ટેન્ટમાં પાર્ટી નેતાઓ સાથે ભોજન કરશે.
કન્યાકુમારીથી કાશ્મીર સુધી 3570 કિલોમીટર સુધી ચાલનારી ભારત જોડો યાત્રા દરમિયાન દરરોજ કન્ટેઈનર દ્વારા એક નવું ગામ વસાવવામાં આવશે. જ્યાં રાહુલ ગાંધી અને તેમની સાથે ચાલનારા યાત્રીઓ રોકાશે. આ માટે લગભગ 60 જેટલા કન્ટેઈનરને આશિયાના તરીકે તૈયાર કરાયા છે. જેમને ટ્રકો પર રાખવામાં આવ્યા છે. આ તમામ કન્ટેઈનર રાહુલ ગાંધીની યાત્રા દરમિયાન સાથે નહીં જોવા મળે પરંતુ દિવસના અંતમાં નિર્ધારિત જગ્યા પર યાત્રામાં સામેલ લોકો પાસે તેને પહોંચાડવામાં આવશે.
રાહુલ ગાંધી મહાત્મા ગાંધી મંડપમ ઉપર પણ જશે જ્યાં તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિન, રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત અને છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ તેમને ભારતનો ઝંડો સોંપશે. આ ઝંડો ભારત યાત્રા દરમિયાન પાર્ટી નેતા આગળ લઈને ચાલશે. આ ઉપરાંત અન્ય કેટલાક નેતાઓ પણ પોતાના હાથમાં તિરંગો લઈને ચાલશે. આવામાં જોવાનું એ રહેશે કે પાંચ મહિનાની આ ‘ભારત જોડો યાત્રા’ દ્વારા પદયાત્રા કરીને રાહુલ ગાંધી કોંગ્રેસને સંજીવની આપી શકશે?
અત્રે જણાવવાનું કે આજથી યાત્રાની શરૂઆત કરી દેવાઈ પરંતુ ખરેખર આ પદયાત્રાની શરૂઆત આવતી કાલથી 8 સપ્ટેમ્બરે સવારે 7 વાગે શરૂ કરશે. જે રોડમેપ બનાવવામાં આવ્યો છે તે હેઠળ આ યાત્રા તમિલનાડુ, કેરળ, કર્ણાટક, તેલંગાણા, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, હરિયાણા, દિલ્હી, પંજાબ, ચંડીગઢ, અને જમ્મુ કાશ્મીરમાંથી પસાર થશે. જો કે જ્યાં ચૂંટણી છે તે ગુજરાત અને હિમાચલ પ્રદેશને તેમાં સામેલ કરાયા નથી. જો કે એક વાત એ પણ છે કે જ્યારે આ બંને રાજ્યોમાં ચૂંટણી હશે ત્યારે કોંગ્રેસની આ યાત્રા રાજસ્થાનમાંથી પસાર થઈ રહી હશે.