મહેસાણાના ખેરવા ખાતે રૂ.૦૫ કરોડના ખર્ચે નિર્મિત સરકારી આર્યુવેદિક હોસ્પિટલનું લોકાર્પણ
આયુર્વેદની ઔષધિની હજારો વર્ષ જૂની પરંપરાને વિશ્વમાં સ્વીકૃતિ મળી છે : નાયબ મુખ્યમંત્રીશ્રી નિતીનભાઇ પટેલ
- મહેસાણાના ખેરવા ખાતે રૂ.૦૫ કરોડના ખર્ચે નિર્મિત સરકારી આર્યુવેદિક હોસ્પિટલનું લોકાર્પણ
- આંબલીયાસણ ખાતે રૂ.૪૫ કરોડના ખર્ચે રેલ્વે ઓવરબ્રિજનું લોકાર્પણ
- નવી સેઢાવી ખાતે રૂ.૩૪ કરોડના ખર્ચે તૈયાર થયેલ ઓવરબ્રિજનું લોકાર્પણ
આખા વિશ્વમાં સ્વાસ્થ્ય પ્રત્યેની નિરામય જીવનની આરોગ્ય સંભાળ માટેની સાર્વત્રિક જાગૃતિનું વાતાવરણ છે ત્યારે ભારતીય વિરાસત એવા આયુર્વેદની વિશ્વપ્રતિષ્ઠા માટે આયુર્વેદ માટેની વિશ્વસનિયતા પ્રસ્થાપિત થઇ છે તેમ ખેરવા ખાતે આર્યુવેદિક હોસ્પિટલના લોકાર્પણ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીશ્રી નિતીનભાઇ પટેલે જણાવ્યું હતું.
નાયબ મુખ્મમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે કોરોના સંક્રમણ બાદ આયુર્વેદ વિશે દુનિયાભરમાં નવો વિશ્વાસ જાગ્યો છે તેમજ ભારતીય ચિકિત્સા તથા આયુર્વેદની સાંસ્કૃતિક વિરાસત માટેનું આકર્ષણ વધ્યું છે
નાયબ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે આયુર્વેદ ચિકિત્સા પધ્ધતિથી થતી સારવારથી જટીલ રોગ જડમુળથી નાશ પામે છે તેમ જણાવી ખેરવા ખાતે સરકાર દ્વારા વિનામૂલ્યે આર્યુવેદિક સારવાર અપાઇ રહી છે તેમ જણાવ્યું હતું.તેમણે ઉમેર્યું હતું કે રૂ ૦૫ કરોડના ખર્ચે તૈયાર થયેલ આર્યુવેદિક હોસ્પિટલમાં આગમી સમયમાં ફીજીયોથેરાપીની સગવડ પણ ઉપલ્બધ થનાર છે.આ હોસ્પિટલમાં ઓ.પી.ડી,આઇ.પી.ડી. પંચકર્મ જેમાં સ્નેહન,સ્વેદન,વમન,વિરેચન,બસ્તિ,નસ્ય અને રક્તમોક્ષણ જેવી સારવાર ઉપલ્બધ છે. આ ઉપરાંત આર્યુવેદિની મહત્વની સારવાર એવી અગ્નિકર્મ,મર્મચિકિત્સા,યોગ,પ્રાણાયમ જેવી સારવારનો નાગરિકો લાભ લઇ શકે છે તેમ જણાવ્યું હતું.
નાયબ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે કોરોના સમયે રાજ્યમાં ૬,૭૯,૧૨,૯૩૫ નાગરિકોને આર્યુવેદ એમૃતપેય ઉકાળા,૩૨,૪૪,૩૩૫ રોગપ્રતિકાર શક્તિવર્ધક સંશમનીવટી અને ૩,૬૪,૮૦,૯૧૫ હોમિયોપેથીક આર્સેનિક આલ્બમનું વિતરણ કરવામાં આવ્યું હતું.તેમજ મહેસાણા જિલ્લામાં ૫૪,૮૫,૦૮૮ આર્યુવેદ અમૃતપેય ઉકાળા,૯૯૯૫૦ રોગપ્રતિકારક શક્તિવર્ધક સંશમનીવટી,૬૧,૯૯,૪૪૨ હોમિયોપેથીક આર્સેનિક આલ્બમનું વિતરણ કરાયું હતું. જિલ્લામાં કોવિડ-૧૯ના ૨૭૯ લાભાર્થીઓને આર્યુવેદિક પ્રધ્ધતિથી સારવાર અપાઇ છે.
નાયબ મુખ્યમંત્રીશ્રીની હસ્તે રૂ.૪૪.૬૦ કરોડના ખર્ચે નિર્મિત રેલ્વે વિભાગ અને માર્ગ મકાન વિભાગના સહયોગથી મહેસાણા જિલ્લાના આંબલીયાસણથી જોરણંગ-ચલુવા રસ્તા પર નિર્મિત રેલ્વે ઓવરબ્રિજ અને રૂ ૩૩.૬૭ કરોડના ખર્ચે નિર્મિત મહેસાણા જિલ્લાના કડી તાલુકાના વડપુરાથી મહેસાણા તાલુકાન શેઢાવી-જુની શેઢાવી રસ્તા પર નિર્મતિ રેલ્વે ઓવરબ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સંસદ સભ્યશ્રી શારદાબેન પટેલ,રાજ્યસભા સંસદ સભ્યશ્રી જુગલજી ઠાકોર,ધારાસભ્યશ્રી કરશનભાઇ સોલંકી,જિલ્લા કલેકટર એચ.કે.પટેલ,જિલ્લા વિકાસ અધિકારી એમ.વાય.દક્ષિણી,આયુષ નિયામક વૈધ ભાવના બેન પટેલ,જિલ્લા આર્યુવેદ અધિકારી વર્ષાબેન પટેલ,અગ્રણી ધીરેનભાઇ ચૌધરી અધિકારીઓ,પદાધિકારીઓ,પ્રબુધ્ધ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.