જામનગરમાં રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના હસ્તે માનવ કલ્યાણ યોજનાના લાભાર્થીઓને કીટ વિતરિત કરાઈ
રિપોર્ટ:જગત રાવલ
રાજ્યના સામાન્યજન પણ આત્મનિર્ભર બની શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર અંતર્ગત માનવ કલ્યાણ યોજના કાર્યરત છે. આજરોજ જામનગરમાં અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના હસ્તે માનવ કલ્યાણ યોજનાના લાભાર્થીઓને કીટ વિતરિત કરવામાં આવી.
કાર્યક્રમમાં રાજ્યમંત્રીશ્રીના હસ્તે ૬ લાભાર્થીઓને સિલાઈ મશીન, પંચર કીટ, સાવરણા-સુપડા બનાવવાની કીટ, વિવિધ ફેરી-લારી અને રૂની દિવેટ બનાવવાના મશીનની કીટો વિતરિત કરવામાં આવી હતી.
રાજ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે, રાજયમાં બી.પી.એલ કાર્ડ ધારકોને સ્વાવલંબી બનાવવા મદદરૂપ થવા માનવ કલ્યાણ યોજના અંતર્ગત જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા જામનગરમાં ૨૮ જુલાઇથી આજરોજ સુધીમાં ૧૮૮ લાભાર્થીઓને સાધન સહાય આપવામાં આવી છે તેમજ કુલ ૫૫૭ લાભાર્થીઓને આ સહાય કીટ આપવામાં આવશે.
આ પ્રસંગે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના એસ. એ. વાઢેર અને જે.વી.જાની તથા આગેવાન શ્રી દિલીપસિંહ જેઠવા ઉપસ્થિત રહ્યા હતા.