Atal bihari

સ્વ. અટલબિહારી વાજપેયીજીના આગામી જન્મદિવસ રપ ડિસેમ્બરે ગુજરાતમાં યોજાશે કિસાન કલ્યાણ કાર્યક્રમો

Atal bihari
  • પૂર્વ પ્રધાનમંત્રી સ્વ. અટલબિહારી વાજપેયીજીના આગામી જન્મદિવસ રપ ડિસેમ્બર-૨૦૨૦ને સુશાસન દિવસે ગુજરાતમાં યોજાશે કિસાન કલ્યાણ કાર્યક્રમો
  • મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની પ્રેરણાથી રાજ્યભરમાં ર૪૮ તાલુકાઓમાં કિસાન કલ્યાણ કાર્યક્રમનું આયોજન-મંત્રીશ્રીઓ-પદાધિકારીઓ સહભાગી થશે
  • મુખ્યમંત્રીશ્રી ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ દ્વારા રાજ્યની કિસાન શક્તિનું માર્ગદર્શન કરશે
  • નાયબ મુખ્યમંત્રીશ્રી મહેસાણામાં ઉપસ્થિત રહેશે
  • કિસાન સમૃદ્ધિની ગુજરાતની સફળગાથા ‘‘સાત પગલાં ખેડૂત કલ્યાણ યોજના’’ અંતર્ગત રાજ્યભરમાં ખેડૂતોને સહાય વિતરણ કરાશે પ્રધાનમંત્રી કિસાન સન્માન નીધિનો પ૧.૩૪ લાખ ખેડૂત પરિવારોને પ્રધાનમંત્રીશ્રી દ્વારા સિંગલ કલીકથી ડી.બી.ટી. લાભ મળશે
  • ફરતા પશુ દવાખાના અન્વયે ૧૫૦ જેટલાં વાહનો-મોબાઇલ ડિસ્પેન્સરીના લોકાર્પણ
  • ગરીબ કલ્યાણ મેળા અંતર્ગત લાભ-સહાય માનવ કલ્યાણ યોજના-માનવ ગરિમા યોજનામાં નિ:શૂલ્ક સાધનો-ઓજારો અપાશે
  • સુશાસન-ગુડ ગર્વનન્સ ડે કૃષિ કલ્યાણ-વંચિતોના વિકાસ પર્વ તરીકે ઉજવી-સૌના સાથ સૌના વિકાસની સંકલ્પબદ્ધતા સાકાર કરશે-ગુજરાત

અહેવાલ: ઉદય વૈષ્ણવ,સીએમ-પી. આર.ઓ

ગાંધીનગર, ૨૩ ડિસેમ્બર: ભારતના પૂર્વ પ્રધાનમંત્રી ભારત રત્ન સ્વ. અટલબિહારી વાજપેયી જીના આગામી જન્મદિવસ તા.રપ મી ડિસેમ્બર-૨૦૨૦ સુશાસન દિવસ ગુડ ગર્વનન્સ ડે અન્વયે ગુજરાતમાં ર૪૮ તાલુકા મથકોએ કિસાન કલ્યાણ કાર્યક્રમો યોજીને ધરતીપુત્રોને કૃષિ કલ્યાણલક્ષી વિવિધ લાભ-સહાય અપાશે. મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યના ખેડૂતોના સર્વગ્રાહી ઉત્કર્ષ અને કૃષિ વિકાસ દ્વારા ખેડૂતોની આવક ર૦રર સુધીમાં બમણી કરવાના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના લક્ષ્યને સિદ્ધ કરવા ‘સાત પગલાં ખેડૂત કલ્યાણના’ યોજના રાજ્યમાં શરૂ કરાવી છે. પૂર્વ પ્રધાનમંત્રી શ્રી અટલબિહારીજીએ જય જવાન, જય કિસાન સાથે જય વિજ્ઞાનનું જે સૂત્ર આપેલું છે તેને સાકાર કરતાં મુખ્યમંત્રીશ્રીના પ્રેરણા માર્ગદર્શનમાં આ કૃષિ કલ્યાણ કાર્યક્રમો માં ર૪૮ સ્થળોએ ઉપસ્થિત રહેનારા ધરતીપુત્રો-લાભાર્થીઓને મુખ્યમંત્રીશ્રી ટેકનોલોજી-વિજ્ઞાન ના માધ્યમ દ્વારા ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ દ્વારા શ્રી વિજયભાઇ રૂપાણી એક સાથે માર્ગદર્શન આપવાના છે.

whatsapp banner 1

રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ મહેસાણા ખાતેના કાર્યક્રમમાં તેમજ રાજ્ય મંત્રીમંડળના મંત્રીશ્રીઓ, સાંસદશ્રીઓ-ધારાસભ્યો અને પદધિકારીઓ, બોર્ડ-નિગમ અધ્યક્ષો રાજ્યના જુદા જુદા જિલ્લાના કુલ ર૪૮ તાલુકાઓમાં આ કાર્યક્રમમાં સહભાગી થઇ સાધન-લાભ વિતરણ કરશે.મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના દૃષ્ટિવંત નેતૃત્વમાં એગ્રીકલ્ચર, ઇન્ડસ્ટ્રી અને સર્વિસ સેકટર સહિતના સર્વગ્રાહી વિકાસમાં નવા સંશોધનો અને અદ્યતન ખેતી સાથે ગુજરાત દેશમાં વિકાસનું રોલ મોડેલ પ્રસ્થાપિત થયું છે. હવે, મુખ્યમંત્રીશ્રીએ ‘‘સાત પગલાં ખેડૂત કલ્યાણ’’ના અન્વયે ધરતીપુત્રોના આર્થિક ઉત્થાનને નવી દિશા આપવા સિમાંત કિસાનો અને ખેત મજુરોને અદ્યતન ઓજારો વિતરણ, ગાય આધારિત ખેતી તેમજ કિસાન પરિવહન યોજના અને મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રકચર યોજનામાં ઉદારત્તમ સહાય આપવાનો કલ્યાણ અભિગમ અપનાવ્યો છે.

મુખ્યમંત્રીશ્રીએ ખેત સમૃદ્ધિથી ગ્રામીણ સંસ્કૃતિ, સમૃદ્ધિ અને તે દ્વારા શહેર-રાજ્ય-દેશ સમૃદ્ધિની દિશામાં સુઆયોજિત ઢબે આગળ વધી ગુજરાતને ઉત્તમથી સર્વોત્તમ બનાવવાનો સુશાસન-ગુડ ગર્વનન્સનો સંકલ્પ સેવેલો છે. તદઅનુસાર, પૂર્વ પ્રધાન મંત્રી શ્રી સ્વ. વાજપેયીજી ના જન્મદિવસ તા.રપ ડિસેમ્બરે સુશાસન દિવસે ગુજરાતના કિસાનોને આવા સાધન-સહાયની મોટી ભેટ મુખ્યમંત્રીશ્રી આપશે. મહાત્મા મંદિર ગાંધીનગર પરિસરમાં રાજ્યકક્ષાનો સમારંભ આ અન્વયે યોજાશે અને મુખ્યમંત્રીશ્રી ર૪૮ તાલુકામથકે ઉપસ્થિત રહેલા ધરતીપુત્રો-લાભાર્થીઓને પ્રેરણા માર્ગદર્શન આપશે. મુખ્યમંત્રીશ્રી સંપૂર્ણ દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતા ૧ લાખથી વધુ લાભાર્થી ખેડૂતોને સુશાસન દિવસની આ ઉજવણીના ઉપલક્ષમાં રૂ. ૪૮ કરોડની સહાય આપશે.
આ ઉપરાંત ૧ર૪૦૦ લાભાર્થીઓને જિવામૃત બનાવવા ૭પ ટકા સહાય, કિસાન પરિવહન યોજનાના ૧૦૦૦ ખેડૂત લાભાર્થીઓને સહાય, ફળ-શાકભાજી બગાડ અટકાવવા ૧૬૫૦૦ વેચાણકારોને ગુજરાત સરકારનો છાંયડો અન્વયે વિનામૂલ્યે છત્રી/શેડ વિતરણ પ્રતિકરૂપે કરવાના છે.

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધી અંતર્ગત ગુજરાતના પ૧.૩૪ લાખ ખેડૂત પરિવારોને એટ વન કલીક રૂ. ૧૦ર૭ કરોડની ચૂકવણી ડી.બી.ટી.થી આ અવસરે વડાપ્રધાનશ્રી દ્વારા કરવામાં આવશે.
મુખ્યમંત્રીશ્રીએ સુશાસન દિવસની આ ઉજવણીને પશુપાલકોના ગરીબ કલ્યાણ અને વંચિતોના અને સૌના સાથ, સૌના વિકાસના મંત્રને ચરિતાર્થ કરવાનો દિવસ તરીકે મનાવવાનું પણ આયોજન કર્યુ છે. આ અંતર્ગત પશુપાલકોને પોતાના ગામે-ઘર આંગણે પશુ સારવાર સુવિધા મળી રહે તે માટે ફરતા પશુ દવાખાના યોજનામાં રાજ્યકક્ષાએ પ૧ વાહનોનું અને તાલુકા કક્ષાએ ૯૯ વાહનોનું લોકાર્પણ પણ થશે.

શ્રી વિજયભાઇ રૂપાણીએ વંચિતો-દરિદ્રનારાયણોના વિકાસથી સુશાસનની સ્વરાજ્યથી સુરાજ્યની નેમ પાર પાડવા આ સુશાસન દિવસે ગરીબ કલ્યાણ મેળા અંતર્ગત ૩૪ હજાર લાભાર્થીઓને સહાય-લાભ આપવાનું આયોજન કર્યુ છે. રાજ્યના આર્થિક રીતે પછાત વર્ગોના સમૂહોને પર્યાપ્ત આવક આપવા અને સ્વરોજગાર ઊભા કરવા ૩૦ હજારથી વધુ લાભાર્થીઓને માનવ કલ્યાણ યોજના અને માનવ ગરિમા યોજના અંતર્ગત વિનામૂલ્યે સાધનો-ઓજારો પણ આ ર૪૮ તાલુકાઓમાં વિતરીત કરાશે.

આ પણ વાંચો….