લોકોને વધુ સારી આરોગ્ય સુવિધા ઉપલબ્ધ બનાવી તેમને કોરોના મૂક્ત બનાવવાની સરકારની નેમ
મુખ્યમંત્રીશ્રી અને નાયબ મુખ્યમંત્રીશ્રીએ રાજકોટ સીવીલ હોસ્પિટલની લીધી વર્ચ્યુઅલ મુલાકાત
કોવીડ – ૧૯ હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓ સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી
કોવીડ હોસ્પિટલમાં અપાતી સારવારથી સંતોષ વ્યક્ત કરતાં દર્દીઓ
રાજકોટ, ૩, સપ્ટેમ્બર : કોરોના સંક્રમણને ધ્યાને લઈ રાજકોટ સીવીલ હોસ્પિટલમાં અપાતી સારવાર સંદર્ભે મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીશ્રી નીતીનભાઈ પટેલે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સીવીલ હોસ્પિટલની વર્ચ્યુઅલ મુલાકાત લઈ કોરોના સંક્રમિત દર્દીઓ તેમજ તેમની રાત-દિવસ જોયા વગર ખડે પગે રહી સારવાર કરી રહેલા ડોક્ટરો તથા નર્સ સાથે સીધો સંવાદ સાધ્યો હતો.
મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, રાજ્યમાં કોરોના સંક્રમણ ફેલાતું અટકે અને લોકોને વધુ સારી આરોગ્ય સુવિધા મળી રહે તે સરકારની નેમ છે, આ માટે રાજ્યની સરકારી હોસ્પિટલોમાં વિશેષ સુવિધાઓ ઉપલબ્ધ બનાવી ધન્વંતરી રથની સાથે સર્વેલન્સની સઘન વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
રાજકોટમાં કોરોના સંક્રમણને અટકાવવા હાથ ધરાયેલા આ પ્રયાસોને બિરદાવતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં ૧૦૪ની સુવિધા સાથે સંજીવની રથ દ્વારા ઘરે રહી સારવાર લઈ રહેલા લોકોના ઘરે જઈને તેની વિનામૂલ્યે તબીબી તપાસ અને સારવાર પણ કરવામાં આવી રહી છે.
મુખ્યમંત્રીશ્રીએ સિવિલ હોસ્પિટલમાં જાનની પરવા કર્યા વગર દિવસ-રાત લોકોની સેવા કરી રહેલા ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ એવા તબીબો અને આરોગ્ય કર્મીઓને તેમના કાર્ય બદલ અભિનંદન પાઠવી આઈ.સી.યુ.માં રહેલા દર્દીઓની દિવસમાં બે વખત સીનીયર ડોક્ટરો દ્વારા વીઝીટ કરવા જણાવ્યું હતું. તેમણે સરકારી હોસ્પિટલમાં સારવાર માટેની જવાબદારી સરકાર સંનિષ્ઠતા સાથે વહન કરી રહી છે, તેમ પણ જણાવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રી તથા નાયબ મુખ્યમંત્રીશ્રીને રાજકોટ સિવિલ હોસ્પિટલની વર્ચ્યુઅલ મુલાકાત કરાવતા ડોક્ટર સંજય કાપડીયાએ હોસ્પિટલમાં ઉપસ્થિત સુવિધાઓ જેવી કે, વેન્ટિલેટર, ઓક્સિજન, બેડ વગેરેની સાથે હોસ્પિટલમાં દાખલ દર્દીઓ અને તેમને અપાતી સારવાર બાબતની વિસ્તૃત વિગતો આપી હતી.
આ તકે મુખ્યમંત્રીશ્રી તથા નાયબ મુખ્યમંત્રીશ્રીએ હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓને વિડીયો કોન્ફરન્સના માધ્યમથી તેમને મળી રહેલ સારવાર સંબંધે પૃચ્છા કરતાં દર્દીઓએ તેમને મળતી સારવાર બાબતે સંપૂર્ણ સંતોષ વ્યક્ત કર્યો હતો.
મુખ્યમંત્રીશ્રીની રાજકોટ સિવિલ હોસ્પિટલની આ વર્ચ્યુઅલ મુલાકાત વેળાએ અગ્ર સચિવશ્રી જ્યંતિ રવી, સચિવશ્રી મીલીન્દ તોરવણે, ઉદ્યોગ કમિશ્નરશ્રી ડો. રાહુલ ગુપ્તા, કલેકટરશ્રી રેમ્યા મોહન, મ્યુનિ. કમિશ્નરશ્રી ઉદીત અગ્રવાલ ઉપસ્થિત રહયાં હતા.
મુખ્યમંત્રીશ્રી સાથે થયેલ સંવાદના અંશો
મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ વર્ચ્યુઅલ ટૂર દરમ્યાન રાજકોટના ૨૧ વર્ષના યુવક મેહુલ જાદવ સાથે વાતચીત કરીને તેને મળતી સારવારનો ખ્યાલ મેળવ્યો હતો. સિવીલ હોસ્પિટલમાં તેને મળેલી સારવાર અંગે સંતોષ વ્યક્ત કરતા મેહુલે કહ્યું હતું કે, અહીં મને શ્રેષ્ઠ સારવાર મળી રહી છે. આ પહેલા મારી કિડની યોગ્ય રીતે કામ ન કરતા મારે ડાયાલીસીસ કરાવવુ પડે તેવી નોબત આવી. આવા સંજોગોમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધી હતી. આ સારવારનો ખર્ચ પરવડે તેમ ન હોવાથી, સિવીલ હોસ્પિટલમાં સારવાર લેવાનું નક્કી કર્યું. મારા ઘર પાસે સંજીવની રથ આવ્યો હતો. જેમાં મને ગળામાં દુખતું હોવાથી ચેકીંગ કરાવ્યું હતું. જેનો રિપોર્ટ પોઝીટીવ આવતા હું સિવીલમાં કોરોનાની સારવાર લઈ રહ્યો છું. તે દરમ્યાન મારે ડાયાલીસીસની જરૂર પડતા મને તાત્કાલીક સારવાર આપવામાં આવી. અહીં મળેલી શ્રેષ્ઠ સારવાર બાદ હવેથી હું મારા ડાયાલીસીસ સિવીલ હોસ્પિટલમાં કરાવવાને જ પ્રાથમિકતા આપીશ.
આ ઉપરાંત મુખ્યમંત્રીશ્રીએ અન્ય દર્દીઓ ફરજ બજાવતા ડોક્ટરો તથા પત્રકારો સાથે મુલાકાત કરીને સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.